ભારત તેની વિવિધતા અને રહસ્યમયી પરંપરાઓ માટે વિશ્વભરમાં વિખ્યાત છે. દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં નીલગિરીની પહાડીઓ વચ્ચે વસતો 'ટોડા' (Toda) સમુદાય એક એવી જ અનોખી જનજાતિ છે, જેમના રીતિ-રિવાજો આધુનિક દુનિયા માટે ચોંકાવનારા છે. આ સમુદાય માટે ભેંસ માત્ર એક પ્રાણી નથી, પરંતુ તેમના જીવનનું કેન્દ્ર અને સાક્ષાત્ ભગવાન છે. પ્રકૃતિ અને પશુધનને સમર્પિત આ લોકોની જીવનશૈલી એટલી વિશિષ્ટ છે કે યુનેસ્કોએ પણ તેમના નિવાસસ્થાનને વિશ્વ ધરોહર જાહેર કર્યું છે.
ટોડા જનજાતિની માન્યતાઓ મુજબ, તેમના આરાધ્ય દેવતા 'ઓન' એ પૃથ્વીમાંથી પવિત્ર ભેંસોને બહાર કાઢી હતી. એવી લોકવાયકા છે કે જ્યારે છેલ્લી ભેંસ પૃથ્વીમાંથી બહાર આવી રહી હતી, ત્યારે તેની પૂંછડી પકડીને પ્રથમ 'ટોડા પુરુષ'નો જન્મ થયો હતો. બસ, આ જ કારણ છે કે આ સમાજમાં ભેંસને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ, આ સમુદાયની વસ્તી હવે માત્ર બે હજારની આસપાસ જ મર્યાદિત રહી છે. તેઓ પોતાની આગવી 'ટોડા ભાષા' બોલે છે, જે સમજવી અત્યંત જટિલ છે.
ભેંસનું મંદિર અને પૂજારીના કડક નિયમો
ટોડા સમુદાય માટે ભેંસનું દૂધ દોહવું એ કોઈ સામાન્ય કામ નથી, પણ એક પવિત્ર ધાર્મિક વિધિ છે. તેમના મંદિરોમાં દૂધ અને માખણ વલોવવા માટે વિશેષ પૂજારીઓની નિમણૂક કરવામાં આવે છે. આ પૂજારીઓએ અત્યંત કડક શિસ્તનું પાલન કરવું પડે છે. નવાઈની વાત એ છે કે, આ પૂજારીઓને નદી પાર કરવા માટે પુલનો ઉપયોગ કરવાની સખત મનાઈ છે, તેમણે હંમેશા પાણીમાં ચાલીને જ નદી પાર કરવી પડે છે.
બહુપતિ પ્રથા: એક પત્ની અને પાંચ ભાઈઓ
ઐતિહાસિક રીતે આ જનજાતિમાં 'બહુપતિ પ્રથા' (Polyandry) પ્રચલિત હતી. એટલે કે, એક જ પરિવારના તમામ ભાઈઓ મળીને એક જ મહિલા સાથે લગ્ન કરતા હતા. આ પ્રથા પાછળનું મુખ્ય કારણ મર્યાદિત સંપત્તિ અને ભેંસોના ભાગલા રોકવાનું હતું. જ્યારે મહિલા ગર્ભવતી બને, ત્યારે તેને ધનુષ-બાણ આપવાનો એક ખાસ સમારોહ યોજાતો, જે નક્કી કરતું કે આવનારા બાળકનો સામાજિક પિતા કોણ ગણાશે. જોકે, શિક્ષણના પ્રસાર સાથે હવે આ પ્રથા લગભગ નાબૂદ થઈ ગઈ છે.
ઢોલ આકારની ઝૂંપડીઓ અને નાના દરવાજા
ટોડા લોકોના રહેઠાણને 'મંડ' કહેવામાં આવે છે. તેમની ઝૂંપડીઓ 'ડોગલ્સ' તરીકે ઓળખાય છે, જે અડધા બેરલ કે ઢોલ જેવી દેખાય છે. વાંસ અને સૂકા ઘાસમાંથી બનેલી આ ઝૂંપડીઓના દરવાજા એટલા નાના હોય છે કે અંદર જવા માટે માણસે પેટે સરકીને જવું પડે છે. આ પરંપરા પાછળનું કારણ જંગલી જાનવરોથી રક્ષણ મેળવવાનું હતું.
સંપૂર્ણ શાકાહારી અને પ્રકૃતિ પ્રેમી
ટોડા લોકો પરંપરાગત રીતે સંપૂર્ણ શાકાહારી છે. તેમનો મુખ્ય ખોરાક ચોખા, તાજું દૂધ, દહીં અને માખણ છે. આ સમુદાયમાં અંતિમ સંસ્કાર વખતે પણ અનોખી વિધિ થાય છે, જેમાં મૃતકની સાથે પરલોકમાં જવા માટે ભેંસોની બલિ આપવામાં આવે છે, જેથી મૃત વ્યક્તિને ત્યાં પણ દૂધની ખોટ ન પડે.



















