Strait of Hormuz Reopen: ભારતની ઊર્જા સુરક્ષા અને ઇંધણ પુરવઠા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ એશિયામાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી તણાવના કારણે ચર્ચામાં રહેલો હોર્મુઝનો દરિયાઈ માર્ગ (Strait of Hormuz) હવે ફરીથી ખુલ્લો થઈ ગયો છે. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ તથા તણાવમાં ઘટાડા બાદ ભારત તરફ આવતાં ક્રૂડ ઓઈલ, LPG અને LNGથી ભરેલા જહાજોની અવરજવર ફરી શરૂ થઈ છે. અત્યાર સુધીમાં ભારત માટે નીકળેલા 30થી વધુ જહાજો સફળતાપૂર્વક હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ચૂક્યા છે, જ્યારે હજુ પણ અનેક જહાજો પોતાની વારો આવવાની રાહ જોઈ રહ્યા છે. હોર્મુઝનો દરિયાઈ માર્ગ ખુલતાં ભારત માટે સૌથી મોટો ફાયદો ઊર્જા પુરવઠાની સતત ઉપલબ્ધતાનો થશે. જો આ માર્ગ લાંબા સમય સુધી બંધ રહ્યો હોત તો દેશમાં LPG, LNG અને ક્રૂડ ઓઈલના સપ્લાય પર અસર પડવાની સાથે ઇંધણના ભાવમાં પણ વધારો થવાની શક્યતા હતી. હવે માર્ગ ફરી કાર્યરત થતાં સપ્લાય ચેઇન સામાન્ય થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
શા માટે બંધ થયો હતો હોર્મુઝનો માર્ગ?
તાજેતરમાં પશ્ચિમ એશિયામાં વધેલા તણાવ દરમિયાન ઈરાન અને અમેરિકા વચ્ચે સ્થિતિ અત્યંત ગંભીર બની હતી. આ સંજોગોમાં હોર્મુઝ સ્ટ્રેટ પરથી જહાજોની અવરજવર પર અસર પડી હતી અને અનેક વેપારી જહાજો પર્શિયન ગલ્ફ વિસ્તારમાં અટવાઈ ગયા હતા. હવે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ અને સમજૂતી બાદ આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ ફરી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય વેપાર અને ઊર્જા પુરવઠાને ફરી ગતિ મળી રહી છે.
ભારત માટે હોર્મુઝ સ્ટ્રેટનું શું મહત્વ છે?
હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી વેપાર માર્ગોમાંનો એક ગણાય છે. વિશ્વમાં દરિયાઈ માર્ગે થતો કુલ ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસના વેપારનો લગભગ 20 ટકા હિસ્સો આ માર્ગ પરથી પસાર થાય છે. ભારત પોતાની ઊર્જાની મોટી જરૂરિયાતો માટે કતાર, સાઉદી અરેબિયા, યુએઈ, કુવૈત સહિતના ખાડી દેશો પર નિર્ભર છે. આ દેશોમાંથી આવતું મોટાભાગનું ક્રૂડ ઓઈલ, LPG અને LNG હોર્મુઝ સ્ટ્રેટ મારફતે જ ભારત પહોંચે છે. તેથી આ માર્ગમાં કોઈપણ અવરોધ ભારતની ઊર્જા સુરક્ષા અને અર્થતંત્ર બંને માટે મહત્વપૂર્ણ બની જાય છે.
આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલ સસ્તા થવાની આશા : ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો, ઈરાનની એન્ટ્રીથી વૈશ્વિક બજારમાં સપ્લાય વધ્યો
30 જહાજોએ સફળતાપૂર્વક હોર્મુઝ પાર કર્યું
શિપિંગ સંબંધિત માહિતી મુજબ અત્યાર સુધીમાં ભારત તરફ આવતાં કુલ 30 જહાજો હોર્મુઝ સ્ટ્રેટ સફળતાપૂર્વક પાર કરી ચૂક્યા છે. આ જહાજોમાંથી 15 જહાજોમાં LPG અને LNG ગેસ ભરેલો છે, જ્યારે 7 જહાજો ક્રૂડ ઓઈલ લઈને આવી રહ્યા છે. ઉપરાંત 8 જહાજોમાં બલ્ક કાર્ગો છે. આ જહાજોમાંથી કેટલાક ભારતીય બંદરો પર પહોંચી ગયા છે, જ્યારે અન્ય જહાજો આગામી દિવસોમાં પહોંચવાની સંભાવના છે. માહિતી મુજબ, આ 30 જહાજોમાંથી 17 વિદેશી ધ્વજ ધરાવતા જહાજો છે, જેમાં સૌથી વધુ જહાજો માર્શલ આઇલેન્ડ્સમાં નોંધાયેલા છે.
હજુ 26 જહાજો રાહ જોઈ રહ્યા છે
રાહતના સમાચાર વચ્ચે હજુ પણ ભારત સાથે જોડાયેલા 26 જહાજો પર્શિયન ગલ્ફ વિસ્તારમાં પોતાની વારો આવવાની રાહ જોઈ રહ્યા છે. આ જહાજોમાં 3 ઇંધણવાહક જહાજો, 10 ખાતર (ફર્ટિલાઇઝર) લઈને આવતા જહાજો અને 13 અન્ય પ્રકારનો માલ લઈને આવતા કાર્ગો જહાજોનો સમાવેશ થાય છે. માર્ગ સંપૂર્ણપણે સામાન્ય બનતાં આ તમામ જહાજો પણ ટૂંક સમયમાં ભારત તરફ આગળ વધશે.
આ પણ વાંચો: રામ મંદિર દાન વિવાદમાં આજે મોટો ખુલાસો? : SIT સમક્ષ પુરાવા રજૂ કરશે સંજય સિંહ
ભારતને શું મળશે સૌથી મોટો ફાયદો?
હોર્મુઝ સ્ટ્રેટ ફરી શરૂ થતાં ભારત માટે ક્રૂડ ઓઈલ અને ગેસની સપ્લાય વધુ સ્થિર બનશે. પરિણામે રિફાઇનરીઓને પૂરતો કાચો માલ મળશે અને LPG તથા LNGના પુરવઠા પર પણ કોઈ મોટી અસર નહીં પડે. વિશ્લેષકોનું માનવું છે કે, જો પશ્ચિમ એશિયામાં સ્થિતિ સામાન્ય રહેશે તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પણ સ્થિર રહી શકે છે, જેનો સીધો લાભ ભારત જેવા મોટા આયાતકાર દેશોને મળશે.





