Venezuela earthquake: દક્ષિણ અમેરિકાના વેનેઝુએલામાં આવેલા બે શક્તિશાળી ભૂકંપ બાદ સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. અમેરિકાની ભૂસ્તરશાસ્ત્રીય સંસ્થા USGSના PAGER (Prompt Assessment of Global Earthquakes for Response) મોડલ મુજબ આ વિનાશક આપત્તિમાં 10,000થી વધુ લોકોના મોત થઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે આ આંકડો અંતિમ મૃત્યુઆંક નથી, પરંતુ ભૂકંપની તીવ્રતા, વસ્તી ઘનતા અને સંભવિત નુકસાનના આધારે કરાયેલ પ્રાથમિક અંદાજ છે.
બુધવારે સાંજે વેનેઝુએલાના કેરેબિયન કિનારા નજીક લગભગ એક મિનિટના અંતરે 7.2 અને 7.5 તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપ આવ્યા હતા. આ બંને ભૂકંપને USGS દ્વારા "ડબલેટ ઇવેન્ટ" તરીકે વર્ણવવામાં આવ્યા છે. ભૂકંપના કેન્દ્રબિંદુ મોરોન વિસ્તાર નજીક હતા અને તેના આંચકા રાજધાની કારાકાસ સહિત દેશના અનેક વિસ્તારોમાં અનુભવાયા હતા.
કટોકટી જાહેર, રાષ્ટ્રને સંબોધન
ભૂકંપ બાદ કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે દેશને સંબોધન કરીને રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરી છે. તેમણે લોકોને શાંતિ જાળવવા અને એકતા સાથે પરિસ્થિતિનો સામનો કરવાની અપીલ કરી હતી. સાથે જ ભૂકંપમાં પોતાના પરિવારજનો ગુમાવનાર લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. જોકે સરકાર દ્વારા હજુ સુધી સત્તાવાર મૃત્યુઆંક જાહેર કરવામાં આવ્યો નથી.
સરકારે રાહત અને બચાવ કામગીરી માટે વિશેષ કમાન્ડ સ્ટ્રક્ચર તૈયાર કર્યું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સુરક્ષા દળો, બચાવકર્મીઓ અને તબીબી ટીમોને તૈનાત કરવામાં આવ્યા છે.
કારાકાસમાં અનેક ઇમારતો ધરાશાયી
ભૂકંપની સૌથી વધુ અસર રાજધાની કારાકાસ અને નજીકના લા ગુઆઇરા વિસ્તારમાં જોવા મળી છે. અનેક રહેણાંક અને વ્યાપારી ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે. બચાવ દળો કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સતત કામગીરી કરી રહ્યા છે.
અહેવાલો મુજબ, અલ્તામિરા વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાંનો એક છે, જ્યાં સ્વયંસેવકો, ડોક્ટરો અને બચાવકર્મીઓ રાતભર બચાવ કામગીરીમાં જોડાયેલા રહ્યા હતા. હોસ્પિટલોમાં ઘાયલોની સંખ્યા વધતા વધારાનો સ્ટાફ પણ તૈનાત કરવામાં આવ્યો છે.
વેનેઝુએલાનો મુખ્ય એરપોર્ટ બંધ
ભૂકંપના કારણે દેશના મુખ્ય આંતરરાષ્ટ્રીય હવાઈમથક મૈક્વેટિયા (સિમોન બોલિવાર ઇન્ટરનેશનલ એરપોર્ટ)ને ગંભીર નુકસાન પહોંચ્યું હોવાનું જણાવાયું છે. નુકસાનના કારણે એરપોર્ટને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે.
આ ઉપરાંત મેટ્રો અને ટ્રેન સેવાઓ પણ સ્થગિત કરવામાં આવી છે. પરિવહન વ્યવસ્થા ખોરવાતા રાહત અને બચાવ કામગીરી સામે પડકારો ઉભા થયા છે.
USGSએ કેમ વ્યક્ત કરી મોટી જાનહાનિની આશંકા?
USGSના PAGER સિસ્ટમ દ્વારા ભૂકંપ બાદ સંભવિત જાનહાનિ અને આર્થિક નુકસાનનું પ્રાથમિક મૂલ્યાંકન કરવામાં આવે છે. આ સિસ્ટમ અનુસાર આ આપત્તિમાં "ઉચ્ચ જાનહાનિ અને વ્યાપક નુકસાન" થવાની શક્યતા છે. પ્રારંભિક અંદાજ મુજબ મૃત્યુઆંક 10,000થી 100,000ની વચ્ચે હોઈ શકે છે, જોકે આ માત્ર વૈજ્ઞાનિક મોડલ આધારિત અંદાજ છે અને સત્તાવાર આંકડા નથી.
નિષ્ણાતોનું કહેવું છે કે અંતિમ મૃત્યુઆંક બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. ઘણા વિસ્તારોમાં હજુ પણ કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે.
100 વર્ષમાં સૌથી શક્તિશાળી ભૂકંપોમાંનો એક
મીડિયા અહેવાલો અનુસાર, આ ભૂકંપો વેનેઝુએલામાં છેલ્લા એક સદીમાં આવેલા સૌથી શક્તિશાળી ભૂકંપોમાં સામેલ થઈ શકે છે. ભૂકંપના આંચકા પડોશી દેશો સુધી પણ અનુભવાયા હતા અને શરૂઆતમાં સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવી હતી, જેને બાદમાં હટાવવામાં આવી હતી.
કેમ મહત્વની છે આ ઘટના?
વેનેઝુએલામાં આવેલી આ કુદરતી આપત્તિ માત્ર સ્થાનિક નહીં પરંતુ વૈશ્વિક સ્તરે ચિંતાનો વિષય બની છે. હજારો લોકો અસરગ્રસ્ત બન્યા હોવાની આશંકા છે, જ્યારે મહત્વની જાહેર સુવિધાઓને પણ નુકસાન પહોંચ્યું છે. આગામી દિવસોમાં બચાવ કામગીરી અને સત્તાવાર મૃત્યુઆંક પર સમગ્ર વિશ્વની નજર રહેશે.





