Mumbai Train Blast Case Update: 2006ના મુંબઈ સીરીયલ લોકલ ટ્રેન બ્લાસ્ટ કેસમાં મહારાષ્ટ્ર સરકારને મોટો ઝટકો લાગ્યો છે. મુંબઈ હાઈકોર્ટે તમામ 11 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. એક આરોપીનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયું હતું. 5 આરોપીઓને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી અને 7 લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. 19 વર્ષ પછી બધા આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આજે આ ચુકાદો આપીને મુંબઈ હાઈકોર્ટે ગુનેગારોની સજા સામે પેન્ડિંગ રહેલી તમામ 11 અરજીઓનો નિકાલ કર્યો છે.
કોર્ટે ચુકાદામાં શું કહ્યું?
હાઈકોર્ટની ખાસ બેન્ચે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે 'કેસમાં રજૂ કરાયેલા પુરાવા વિશ્વસનીય નહોતા' અને 'ઘણા સાક્ષીઓની જુબાની શંકાસ્પદ હતી'. કોર્ટે એ પણ સ્વીકાર્યું હતું કે આરોપીઓની બળજબરીથી પૂછપરછ કરવામાં આવી હતી અને તેમના નિવેદનો લેવામાં આવ્યા હતા, જે કાયદેસર રીતે માન્ય નથી''.
આરોપીઓને કેમ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા?
મુંબઈ હાઈકોર્ટે આરોપીઓને નિર્દોષ જાહેર કરતી વખતે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે MCOCA કોર્ટમાં રજૂ કરાયેલા પુરાવા ઘણાં મામલામાં શંકાસ્પદ અને અપૂર્ણ હતા. કોર્ટનું માનવું હતું કે ફરિયાદ પક્ષ સાબિત કરી શક્યો નથી કે આરોપીઓનો આ વિસ્ફોટો સાથે સીધો સંબંધ હતો. તેથી તમામ 12 આરોપીઓને શંકાને લઈ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
આ કેસમાં આગળ શું થશે?
હાઈકોર્ટના નિર્ણયની નકલ મળ્યા પછી મહારાષ્ટ્ર સરકાર પાસે હવે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવવાનો વિકલ્પ છે. એવું માનવામાં આવે છે કે રાજ્ય સરકાર આ અંગે ગંભીરતાથી વિચાર કરી રહી છે. 19 વર્ષ પછી આવેલા આ નિર્ણયથી ફરી એકવાર તપાસ એજન્સીઓની કાર્યશૈલી, પુરાવાઓની વિશ્વસનીયતા પર ચર્ચા શરૂ થઈ છે. જે પરિવારોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના માટે આ નિર્ણય રાહત લાવ્યો નથી, પરંતુ ફરી એકવાર પીડાનું કારણ બન્યો છે.





