MP Ram Mokariya: ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે. એક તરફ કડી અને વિસાવદરની ખાલી પડેલી વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના ઉમેદવારોની જાહેરાત બાદ રાજકીય પક્ષો જીત હાંસલ કરવા કમરકસી રહ્યાં છે. બીજી તરફ રાજ્યની 8 હજાર કરતા વધારે ગ્રામ પંચાયતોની ચૂંટણીને કારણે પણ ગામડાંઓમાં ચૂંટણીનો માહોલ છે. આ ચૂંટણીના માહોલની વચ્ચે ભાજપના જ એક દિગ્ગજ નેતાએ ગુજરાતમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાની કબૂલાત કરીને અધિકારીઓના તોડકાંડનો બોમ્બ ફોડ્યો છે. અમે વાત કરી રહ્યાં છીએ રાજકોટથી ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ રામ મોકરિયાની. રામ મોકરિયાએ હાલમાં જ એક પ્રેસનોટ જાહેર કરીને ભાજપના રાજમાં ચાલતા ભ્રષ્ટાચારની કબૂલાત કરી છે.
"કોઈ અધિકારીઓ પૈસા માંગે તો અમારો સંપર્ક કરો"
કોઈપણ અધિકારી તમારી પાસે ખોટી રીતે રૂપિયાની માંગણી કરે, તોડ કરવાનો પ્રયાસ કરે તો સીધો જ અમારો સંપર્ક કરો...અરે આ અમે નથી કહી રહ્યાં, ખુદ ભાજપના જ રાજ્યસભાના સાંસદ રામ મોકરીયા ભાજપના રાજમાં ચાલતા તોડકાંડનો બોમ્બ ફોડ્યો છે.
રાજકોટના સાંસદ રામ મોકરિયાએ પ્રેસનોટ મારફતે જણાવ્યું છેકે, રાજકોટમાં સરકારી અધિકારીઓ દ્વારા ખાનગી એકમ પર ખોટી રીતે દરોડા પાડીને લાંચ લેવામાં આવી હતી. એકમના માલિકે તેમને ફરિયાદ કરી તો સાંસદની દરમિયાનગીરી બાદ 10 મિનિટમાં જ લાંચિયા અધિકારીઓ લાંચની રકમ પરત આપવી પડી. જોકે, આનાથી એ વાતનો તો ખુલાસો થયો છેકે, ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર થાય છે. નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત પહેલાં ભ્રષ્ટાચાર અંગે મોકરિયાના ધડાકા બાદ ફરી રાજકારણ ગરમાયું છે.






