મોરબી જિલ્લામાં વિજપોલ સ્થાપનાના મુદ્દે ખેડૂતોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. મંગળવારે હળવદ મામલતદાર કચેરી ખાતે 22થી વધુ ગામોના સરપંચો, ખેડૂતો અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂતો અને સરપંચોએ 'જય જવાન, જય કિસાન'ના નારા લગાવી સરકાર અને તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
આંદોલનકારી ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની રજૂઆતો છતાં તેમની સમસ્યાઓનો યોગ્ય ઉકેલ લાવવામાં આવ્યો નથી. ખેડૂતોનું કહેવું છે કે ખેતીની જમીનમાં વિજપોલ ઉભા કરવાની કામગીરીને કારણે તેમની જમીન અને ખેતીને નુકસાન થવાની શક્યતા છે. આ મુદ્દે અનેક વખત રજૂઆતો કરવા છતાં સંતોષકારક નિર્ણય ન આવતા હવે વિરોધ વધુ તેજ બન્યો છે.
આ પણ વાંચો: અમદાવાદની સ્કૂલમાં શિક્ષકની ક્રૂરતા! : લાફો મારતાં વિદ્યાર્થીના કાનનો પડદો ફાટ્યો
કલેક્ટર સાથેની વાતચીતનો બહિષ્કાર
વિરોધ દરમિયાન ખેડૂતો અને સરપંચોએ કલેક્ટર સાથેની વાતચીતનો બહિષ્કાર કર્યો હતો. આંદોલનકારીઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમની મુખ્ય માંગણીઓનો સ્વીકાર નહીં થાય ત્યાં સુધી માત્ર ચર્ચા નહીં પરંતુ યોગ્ય નિર્ણય લેવો જરૂરી છે.
ખેડૂતોનું કહેવું છે કે જેતપર ખાતે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનને હવે આસપાસના ગામોનું પણ વ્યાપક સમર્થન મળી રહ્યું છે. વિવિધ ગામોના સરપંચો અને ખેડૂતો આંદોલન સાથે એકજૂટતા દર્શાવી રહ્યા છે, જેના કારણે સમગ્ર મુદ્દો વધુ ગંભીર બન્યો છે.
પહેલા પારણાં કરાવો, પછી જ કામગીરી શરૂ કરવાની માંગ
આંદોલનકારીઓએ તંત્ર સમક્ષ માંગણી કરી હતી કે જેતપર ખાતે આમરણાંત ઉપવાસ પર બેઠેલા આંદોલનકારીઓના પારણાં કરાવવામાં આવે અને તેમની સાથે સમાધાન બાદ જ વિજપોલ સંબંધિત કામગીરી આગળ વધારવામાં આવે. સાથે જ હાલ ચાલી રહેલી કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરાવવાની પણ માંગ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેર : વરસાદથી ખેડૂતો ખુશ! 3થી 6 જુલાઈ વચ્ચે ના ત્રણ દિવસ ગુજરાત માટે ભારે
ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી તેમની રજૂઆતોને યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. બીજી તરફ સમગ્ર મામલે જિલ્લા વહીવટી તંત્ર તરફથી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. આગામી દિવસોમાં તંત્ર અને ખેડૂતો વચ્ચે કોઈ સમાધાન થાય છે કે આંદોલન વધુ ઉગ્ર બને છે તેના પર સૌની નજર છે.






