ગુજરાતમાં વરસાદના શ્રી ગણેશ થઈ ગયા છે. ત્યારે ભાવનગરમાં આજે આભ ફાટ્યા હોય એવા દ્રશ્યો સર્જાયા હતા. ભાવનગરના જેસરમાં 9 ઇંચ વરસાદ ખાબકી જતાં ચારેકોર પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન બુઢણાથી પાલિતાણાને જોડતાં કોઝ વેની રેલિંગ ધોવાઈ ગઈ હતી. જ્યારે પાલીતાણા, મહુવા અને વલ્લભીપુરમાં વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી હતી. આ ઉપરાંત મહુવાના તલગાજરડાના મોર્ડન સ્કૂલમાં અભ્યાસ કરી રાતોલ ગામ જતા દરિમયાન 30 જેટલા બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
બાટદમાં ભારે વરસાદ
બોટાદમાં પણ ભારે પવન અને કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદને કારણે રોડ પર નદિના પાણી ફરી વળ્યા હતા. ધોધમાર વરસાદને કારણે શહેરનાં જ્યોતિગ્રામ સર્કલ પાસે નદિના પાણી રોડપર આવતા વાહનચાલકોને મુશ્કેલી પણ પડી હતી.
જિલ્લાના અનેક તાલુકામાં વરસાદ
રાજ્યમાં ભાગે આગાહીને લઈ સવારે 6 વાગ્યાથી બપોરના 6 વાગ્યા દરમિયાન 163થી વધુ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના જેસરમાં 10.12 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે પાલીતાણામાં 9.72 ઇંચ, સિહોરમાં 9.61 ઇંચ, મહુવામાં 8.54 ઇંચ, અમરેલીના સાવરકુંડલામાં 8.27 ઇંચ,રાજુલામાં 7.2 ઇંચ અને અમેરલીમાં 5.24 ઈંચ વરસાદ ખાબક્યો હતો.






