Home Gujarat Mehmedabad Custodial Death Govind Chauhan Police Investigation

મહેમદાવાદમાં જુગારની રેડ બાદ પકડાયેલા આધેડનું પોલીસ કસ્ટડીમાં મોત : પરિવારના ગંભીર આક્ષેપોથી હોબાળો

વિરોધ કરતાં લોકો
Published by: Chintan Chavda
Last Updated: Jun 27, 2026, 01:40 PM IST

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સુંઢા વણસોલ ગામમાં જુગારની રેડ દરમિયાન પકડાયેલા 50 વર્ષીય ગોવિંદ રાયસીંગ ચૌહાણનું પોલીસ કસ્ટડી દરમિયાન રહસ્યમય સંજોગોમાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં પરિવારજનો અને ગ્રામજનો હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે ભારે વિરોધ નોંધાવ્યો હતો.

મહેમદાવાદ પોલીસને મળેલી બાતમીના આધારે બપોરે સુંઢા વણસોલ ગામમાં જુગાર અંગે દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ગોવિંદ ચૌહાણ સહિત કેટલાક લોકોને ઝડપી પાડીને મહેમદાવાદ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની સામે કાયદાકીય કાર્યવાહી અને જામીનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી હતી.

પોલીસનું કહેવું: ફિંગરપ્રિન્ટ દરમિયાન અચાનક ઢળી પડ્યા

પોલીસના સત્તાવાર વર્ણન મુજબ, જામીનની પ્રક્રિયા દરમિયાન આરોપીઓના ફિંગરપ્રિન્ટ લેવા માટે તેમને ઉપરના માળે લઈ જવામાં આવી રહ્યા હતા. તે સમયે ગોવિંદ ચૌહાણ અચાનક ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યા હતા. અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ પણ થઈ હતી. તેમને તાત્કાલિક મહેમદાવાદ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંચો: પ્રથમ વખત દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા 6 જવાનોના નામ જાહેર : નેશનલ વોર મેમોરિયલમાં મળ્યું અમર સ્થાન

પરિવારનો આરોપ: કસ્ટડીમાં માર મારવાના કારણે મોત

ગોવિંદ ચૌહાણના મૃત્યુના સમાચાર મળતાં જ પરિવારજનો અને ગામના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. પરિવારે ગંભીર આક્ષેપ કર્યો છે કે પોલીસ કસ્ટડી દરમિયાન ગોવિંદ ચૌહાણને ઢોર માર મારવામાં આવ્યો હતો અને તેના કારણે તેમનું મોત થયું છે. આક્ષેપોને લઈને હોસ્પિટલ પરિસરમાં ભારે હોબાળો મચ્યો હતો. જોકે પરિવાર દ્વારા કરવામાં આવેલા આ આક્ષેપોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી અને તેની તપાસ ચાલી રહી છે.

SDM ઇન્ક્વેસ્ટ અને મેડિકલ પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ખેડાના ડીવાયએસપી, પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના વરિષ્ઠ અધિકારીઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. કસ્ટોડિયલ ડેથના સંવેદનશીલ કેસને ધ્યાનમાં રાખીને એસડીએમ દ્વારા ઇન્ક્વેસ્ટ પંચનામું કરવામાં આવ્યું છે. મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાય તે માટે મૃતદેહને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી મેડિકલ પેનલ અને ફોરેન્સિક નિષ્ણાતોની હાજરીમાં પોસ્ટમોર્ટમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક રિપોર્ટ બાદ જ મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.

આ પણ વાંચો: સિયા જેવી દેખાતી યુવતી સોશિયલ મીડિયા પર વાયરલ : "હું સિયા નથી" કહી હાથ કરી અપીલ, ટ્રોલિંગને લઈને ફરી ચર્ચા

તપાસ શરૂ, રિપોર્ટ બાદ થશે સ્પષ્ટતા

હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ, હાજર પોલીસ કર્મચારીઓના નિવેદનો, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય વૈજ્ઞાનિક પુરાવાના આધારે સમગ્ર ઘટનાક્રમની તપાસ કરવામાં આવશે. આ ઘટના બાદ સમગ્ર જિલ્લામાં કસ્ટડીમાં સુરક્ષા અને પોલીસ કાર્યવાહી અંગે ચર્ચા શરૂ થઈ છે. હવે ફોરેન્સિક અને મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ ગોવિંદ ચૌહાણના મોત અંગેની વાસ્તવિક હકીકત સામે આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now