અયોધ્યા: રામનગરી અયોધ્યામાં શનિવારે બપોરે એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. ઉત્તર પ્રદેશના પરિવહન મંત્રી દયાશંકર સિંહ દ્વારા આયોજિત નવ દિવસીય લક્ષ્મી નારાયણ મહાયજ્ઞના પંડાલમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. રામ મંદિરથી માત્ર 800 મીટર દૂર આવેલા આ યજ્ઞ સ્થળે લાગેલી આગ એટલી પ્રચંડ હતી કે જોતજોતામાં એક એકરમાં ફેલાયેલો આખો પંડાલ બળીને રાખ થઈ ગયો હતો. સદનસીબે, આગ લાગી તેના થોડા સમય પહેલા જ યજ્ઞની પૂર્ણાહુતિ થઈ હોવાથી હજારો શ્રદ્ધાળુઓ ત્યાંથી નીકળી ગયા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી.
પૂર્ણાહુતિના દોઢ કલાક બાદ સર્જાયો અગ્નિકાંડ
મળતી માહિતી મુજબ, શનિવારે બપોરે 12 વાગ્યાની આસપાસ આ અકસ્માત સર્જાયો હતો. આ નવ દિવસીય મહાયજ્ઞનો આજે છેલ્લો દિવસ હતો અને બપોરે લગભગ 10:30 વાગ્યે પૂર્ણાહુતિ થઈ હતી. યજ્ઞ પૂર્ણ થયો ત્યારે પંડાલમાં 50 હજારથી વધુ લોકો હાજર હતા. જો આ આગ યજ્ઞ ચાલુ હોત ત્યારે લાગી હોત તો સ્થિતિ અત્યંત ગંભીર બની શકી હોત. યજ્ઞ પૂર્ણ થયા બાદ તમામ યજમાનો અને શ્રદ્ધાળુઓ ઘરે પરત ફર્યા હતા અને પંડાલ ખાલી હતો, જે એક મોટો ચમત્કાર સાબિત થયો હતો.
ચિંગારીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, યજ્ઞ પૂર્ણ થયા બાદ શ્રીફળ (નાળિયેર) વધેરતી વખતે એક ચિંગારી નીકળી હતી. આ ચિંગારી પંડાલના કપડા અને લાકડાના માળખા પર પડતા જ આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. પંડાલમાં કુલ 1251 હવન કુંડ બનાવવામાં આવ્યા હતા, જેમાં સવારે 5 હજારથી વધુ યજમાનોએ આહુતિ આપી હતી. સૂકા લાકડા અને કપડાના કારણે આગે મિનિટોમાં જ આખા પરિસરને લપેટમાં લઈ લીધું હતું.
ફાયર બ્રિગેડની 10 ગાડીઓએ મેળવ્યો કાબૂ
આગની જાણ થતા જ અયોધ્યા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મુખ્ય અગ્નિશમન અધિકારી એમ.પી. સિંહે જણાવ્યું કે, લગભગ 10 ફાયર ફાઈટરની ગાડીઓએ 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પરિવહન મંત્રી દયાશંકર સિંહે પણ નિવેદન આપ્યું હતું કે, "ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે હાજર જ હતું અને સ્થિતિ હવે સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. કોઈ જાનહાનિ થઈ નથી અને બધું સુરક્ષિત છે."





