Marco Rubio visited the Taj Mahal : ભારતના સત્તાવાર પ્રવાસે આવેલા અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોની તાજમહેલ મુલાકાતે અચાનક આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં એક નવો વિવાદ છેડી દીધો છે. સામાન્ય રીતે વિદેશી મહેમાનો માટે તાજમહેલની મુલાકાત માત્ર એક પ્રવાસનનો ભાગ હોય છે, પરંતુ આ વખતે તેહરાને (ઈરાન) આ મુલાકાતને લઈને વોશિંગ્ટન પર આકરો કટાક્ષ કર્યો છે. ઈરાનનું કહેવું છે કે, જો અમેરિકાના વિદેશ મંત્રીને ઇતિહાસની થોડી પણ સમજ હોત તો તેઓ આ સ્મારકની પ્રશંસા કરતી વખતે પોતાના દેશની નીતિઓ પર જરૂર વિચાર કરત, કારણ કે તાજમહેલ એ ફારસી અને ઈરાની વારસાનું પ્રતીક છે જેને અમેરિકા અવારનવાર નિશાન બનાવતું આવ્યું છે.
મુલાકાત અને રાજનીતિ
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો તેમની પત્ની જેનેટ રુબિયો સાથે ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં દુનિયાની સાતમી અજાયબી ગણાતા તાજમહેલનો દીદાર કરવા પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે તાજમહેલની સામે આવેલી જગપ્રસિદ્ધ 'ડાયના બેન્ચ' પર બેસીને પોતાની પત્ની સાથે યાદગાર તસવીરો ખેંચાવી હતી. આ ખૂબસૂરત પ્રવાસની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ઈરાને ઇતિહાસના પાના ખોલીને એક એવો રાજદ્વારી પલટવાર કર્યો છે, જેની ચર્ચા હવે વૈશ્વિક મીડિયામાં જોરશોરથી થઈ રહી છે.
ઈરાની દૂતાવાસનો વાંધો
હૈદરાબાદમાં આવેલા ઈરાનના વાણિજ્ય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર માર્કો રુબિયોની તસવીર શેર કરીને ગંભીર સવાલો ઉઠાવ્યા છે. દૂતાવાસે ટિપ્પણી કરતાં લખ્યું કે, જો રુબિયોને ઇતિહાસ કે વાસ્તુકલાની સામાન્ય જાણકારી પણ હોત, તો તેઓ આ જગ્યાએ ઊભા રહીને ક્યારેય પોતાનો ફોટો ન પડાવત. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ ઐતિહાસિક સ્મારક એક મુઘલ બાદશાહે પોતાની ઈરાની મૂળની પત્ની માટે પ્રેમની નિશાની તરીકે બંધાવ્યું હતું અને તેને ઈરાની વાસ્તુકારોએ કંડાર્યું હતું, જ્યારે બીજી તરફ આજે રુબિયોની અમેરિકન સરકાર એ જ ઈરાની સભ્યતાને પૃથ્વી પરથી ભૂંસી નાખવાની ધમકીઓ આપી રહી છે.
ભારતના પ્રવાસે આવેલા માર્કો રુબિયોએ પત્ની સાથે નિહાળ્યો તાજમહેલ: વિશ્વની સાતમી અજાયબી જોઈ મંત્રમુગ્ધ થયા અમેરિકી વિદેશ મંત્રી
ઐતિહાસિક ઈરાન કનેક્શન
તાજમહેલનો ઈરાન (જેનું જૂનું નામ ફારસ અથવા પર્શિયા હતું) સાથે ખૂબ જ ઊંડો અને મજબૂત સંબંધ રહ્યો છે જે ઇતિહાસના પાનાઓમાં નોંધાયેલો છે. બાદશાહ શાહજહાંના બેગમ મુમતાજ મહલ, જેમનું અસલી નામ અર્જુમંદ બાનુ બેગમ હતું, તેમનો જન્મ ભલે ભારતના આગ્રામાં થયો હોય પરંતુ તેઓ મૂળ રીતે એક અત્યંત સમૃદ્ધ અને વગદાર ફારસી કુલીન પરિવારમાંથી આવતા હતા. તેમના પિતા અબુલ હસન આસફ ખાન મુઘલ દરબારના એક શક્તિશાળી સેનાપતિ હતા અને તેઓ પ્રખ્યાત મુઘલ સામ્રાજ્ઞી નૂરજહાંના સગા ભત્રીજી થતાં હતા, જે પોતે પણ ઈરાની મૂળના હતા.
સ્થાપત્ય કલા પર ફારસી છાપ
મોટાભાગના ઇતિહાસકારો મક્કમપણે માને છે કે, તાજમહેલના મુખ્ય વાસ્તુકાર ઉસ્તાદ અહમદ લાહોરી હતા, જેઓ ફારસી મૂળના અજોડ વિદ્વાન ગણાતા હતા. આ જ કારણ છે કે તાજમહેલના ભવ્ય નિર્માણમાં ભારતીય, મુઘલ અને ઈરાની સ્થાપત્ય શૈલીનું એક અદ્ભુત સંયોજન જોવા મળે છે. તેના વિશાળ ગુંબજ, ઊંચી મિનારો અને દિવાલો પર આરસપહાણમાં કરવામાં આવેલી પિતરાદુરા શૈલીની કોતરણી તેમજ કુરાનની આયતોનું કેલિગ્રાફી લેખન સંપૂર્ણપણે ફારસી કલા અને સંસ્કૃતિથી પ્રેરિત છે.
વૈશ્વિક તણાવની પૃષ્ઠભૂમિ
ઈરાનનો આ તાજો ગુસ્સો અમેરિકાના ટોચના નેતાઓ અને ખાસ કરીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એ વિવાદાસ્પદ નિવેદનો સાથે જોડાયેલો છે, જેમાં અમેરિકા-ઈરાન સંઘર્ષ દરમિયાન કથિત રીતે ઈરાનના સાંસ્કૃતિક સ્થળો અને સભ્યતાને નષ્ટ કરવાની વાત કરવામાં આવી હતી. આ ઉપરાંત માર્કો રુબિયો પોતે પણ ઈરાન પર કડક આર્થિક પ્રતિબંધો લગાવવાના પક્ષમાં રહ્યા છે અને તેના પર ગ્લોબલ એનર્જી માર્કેટને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. આ તણાવપૂર્ણ પૃષ્ઠભૂમિ વચ્ચે જ્યારે અમેરિકી વિદેશ મંત્રી તાજમહેલ પહોંચ્યા, ત્યારે ઈરાને ઇતિહાસનો અરીસો બતાવીને વોશિંગ્ટન સામે મોટો રાજકીય પ્રહાર કર્યો છે.





