સુરત જિલ્લાના કીમ રેલવે સ્ટેશન પર 2018 માં બનેલી દુર્ઘટનામાં ગર્ભવતી મહિલાના મૃત્યુ સાથે ગર્ભમાં રહેલા નવ માસના બાળકના મોત અંગે ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટના જસ્ટિસ જે.સી. દોશીએ પિતાની અપીલ મંજૂર કરી ગર્ભસ્થ બાળકના મોતને માતાના મોતથી અલગ અને સ્વતંત્ર નુકસાન તરીકે માન્યતા આપી છે. કોર્ટે રેલવે તંત્રને બાળકના પિતા જયપ્રકાશ ઘસીટેલાલને 8 લાખ રૂપિયા વળતર 9 ટકા વાર્ષિક વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કર્યો છે.
આ કેસમાં અગાઉ રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલ, અમદાવાદે ઉષાદેવીના મૃત્યુ બદલ વળતર મંજૂર કર્યું હતું, પરંતુ ગર્ભમાં રહેલા બાળક માટેનો અલગ દાવો નકારી કાઢ્યો હતો. ટ્રિબ્યુનલનું કારણ હતું કે ગર્ભસ્થ બાળકને ‘બોનાફાઇડ પેસેન્જર’ તરીકે ગણાવી શકાય નહીં. હાઇકોર્ટે આ અભિગમને કાનૂની રીતે ખોટો ગણાવી સ્પષ્ટ કર્યું કે નવ માસનો ગર્ભ કાયદાની દૃષ્ટિએ બાળક તરીકે ગણાય શકે છે અને તેના મૃત્યુ માટે અલગ વળતર મળી શકે છે.
ગુજરાતમાં આ દિવસે થશે પ્રિ-મોન્સુનની એન્ટ્રી!: આંબલાલ પટેલીની વરસાદી આગાહી
કીમ સ્ટેશનની 2018 ની ઘટના
કોર્ટના રેકોર્ડ મુજબ, 15 એપ્રિલ 2018ના રોજ જયપ્રકાશ ઘસીટેલાલ તેમની ગર્ભવતી પત્ની ઉષાદેવી અને પરિવારજનો સાથે કીમથી કાનપુર જવા માટે મેમુ પેસેન્જર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. ટ્રેનમાં ભારે ભીડ હોવાથી ઉષાદેવી દરવાજા પાસે ઊભા રહેવા મજબૂર બન્યા હતા. ટ્રેન કીમ સ્ટેશનથી શરૂ થતાં જ જર્ક અને જોલ્ટને કારણે તેઓ ચાલતી ટ્રેનમાંથી નીચે પડ્યા અને હોસ્પિટલ લઈ જતી વખતે તેમનું મૃત્યુ થયું. તે સમયે તેઓ નવ માસના ગર્ભથી હતા અને ગર્ભસ્થ બાળકનું પણ મૃત્યુ થયું હતું.
હાઇકોર્ટે નોંધ્યું કે ઉષાદેવી પાસે માન્ય રેલવે ટિકિટ હતી અને તેમના ટ્રેનમાંથી પડવાની ઘટના વિવાદિત નહોતી. પોસ્ટમોર્ટમ અને સંબંધિત રિપોર્ટમાં પણ નવ માસના જીવંત ગર્ભના મૃત્યુનો ઉલ્લેખ હતો. ઉષાદેવીના મૃત્યુ અંગે 8 લાખ રૂપિયાનું વળતર અગાઉ મંજૂર થઈ ચૂક્યું હતું અને તે આદેશને રેલવે તંત્રે ઉચ્ચ અદાલતમાં પડકાર્યો નહોતો.
'હવે પછી ક્યારેય રીલ નહીં બનાવું': સુરતના ડ્રગ્સ માફિયા શિવા ઝાલાએ માંગી માફી
હાઇકોર્ટનો કાનૂની અભિગમ
હાઇકોર્ટે પોતાના ચુકાદામાં ‘નાસ્કિતુરસ’ સિદ્ધાંતનો ઉલ્લેખ કર્યો, જેના હેઠળ ગર્ભસ્થ બાળકને તેના હિત માટે જન્મેલું માનવામાં આવે છે. કોર્ટે કહ્યું કે વળતર કાયદાની વ્યાખ્યાને સંકુચિત રીતે નહીં, પરંતુ માનવીય અને ઉદાર અર્થઘટનથી જોવી જોઈએ. જસ્ટિસ દોશીએ નોંધ્યું કે ગર્ભને બાળક તરીકે માનવામાં આવે ત્યારે તેનું મૃત્યુ માતાના મૃત્યુથી અલગ અકસ્માતજન્ય નુકસાન ગણાય છે.
ચુકાદામાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે સ્ટિલબોર્ન બાળક પણ રેલવે અકસ્માતમાં મૃત્યુ પામેલા પીડિત તરીકે વળતર માટે પાત્ર છે. હાઇકોર્ટે ટ્રિબ્યુનલનો 7 ડિસેમ્બર 2021નો આદેશ રદ કરી રેલવેને 12 અઠવાડિયામાં વળતર રકમ અને વ્યાજ ટ્રિબ્યુનલ સમક્ષ જમા કરાવવા કહ્યું છે.
'નમ્રતા સાથે લોકોની સેવા કરો, 5 વર્ષ પછી થશે હિસાબ',: સુરતમાં નવા કોર્પોરેટરોને હર્ષ સંઘવીની સલાહ
ચુકાદાનું મહત્વ
આ ચુકાદો ગુજરાતમાં રેલવે અકસ્માત વળતર કાયદાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, કારણ કે તેમાં ગર્ભસ્થ બાળકના મૃત્યુને સ્વતંત્ર હક તરીકે માન્યતા અપાઈ છે. મોટર અકસ્માત વળતર કેસોમાં ગર્ભસ્થ બાળક અંગે અગાઉ કોર્ટો દ્વારા વળતર માન્ય કરાયું છે, પરંતુ રેલવે અકસ્માતના સંદર્ભમાં આ પ્રકારનો ચુકાદો દુર્લભ અને માર્ગદર્શક છે.
આ નિર્ણય ભવિષ્યમાં એવા કેસોમાં મહત્વપૂર્ણ બની શકે છે, જ્યાં અકસ્માતમાં ગર્ભવતી મહિલાના મૃત્યુ સાથે ગર્ભસ્થ બાળકનું પણ મૃત્યુ થયું હોય. કોર્ટનો મુખ્ય સંદેશ એ છે કે વળતર કાયદાનો હેતુ માત્ર ટેકનિકલ વ્યાખ્યા લાગુ કરવાનો નથી, પરંતુ અકસ્માતમાં થયેલા વાસ્તવિક માનવીય નુકસાનને ન્યાય આપવાનો છે.





