Mallikarjun Kharge PM Modi Terrorist Remark: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના એક નિવેદનથી મંગળવારે વિવાદ સર્જાયો હતો, જ્યારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘આતંકવાદી’ કહી દીધા. ખડગે ચેન્નાઈમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે તેમણે પીએમ મોદી માટે આ શબ્દનો પ્રયોગ કર્યો હતો. જોકે, બાદમાં તેમણે પોતાના નિવેદન પર સ્પષ્ટતા પણ કરી હતી. ભાજપે આ નિવેદન બદલ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે અમને શરમ આવે છે કે કોંગ્રેસ આ સ્તર સુધી નીચે પડી ગઈ છે.
પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું?
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, "આ AIADMK ના લોકો, જેઓ પોતે અન્નાદુરાઈનો ફોટો લગાવે છે, તેઓ મોદી સાથે કેવી રીતે જોડાઈ શકે? તે એક આતંકવાદી છે. તેમની પાર્ટી સમાનતા અને ન્યાયમાં વિશ્વાસ કરતી નથી. આ લોકો તેમની સાથે જોડાઈ રહ્યા છે, તેનો અર્થ એ છે કે તેઓ લોકશાહીને નબળી પાડી રહ્યા છે."
આ પણ વાંચો: ભયંકર ગરમીની વચ્ચે અમદાવાદીઓ માટે ડરામણી આગાહી : હીટવેવને લઈને હવામાન વિભાગના શું છે લેટેસ્ટ અપડેટ?
બાદમાં આપી સફાઈ
જ્યારે પીએમ મોદી પરની 'આતંકવાદી' ટિપ્પણી અંગે તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે સફાઈ આપતા કહ્યું કે મેં એમ કહ્યું હતું કે પીએમ મોદી વિરોધીઓને 'આતંકિત' (ડરાવે) કરે છે કારણ કે કેન્દ્રીય એજન્સીઓ ભાજપ સાથે મળીને કામ કરી રહી છે. વધુમાં તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું, "તેઓ (પીએમ મોદી) લોકો અને રાજકીય પક્ષોને ડરાવી રહ્યા છે. મેં ક્યારેય એવું નથી કહ્યું કે તેઓ ટેરરિસ્ટ છે. મારો કહેવાનો અર્થ એ છે કે મોદી હંમેશા ધમકાવે છે. ED, I-T અને CBI જેવી સંસ્થાઓ તેમના હાથમાં છે. તેઓ સીમાંકન (Delimitation) પણ પોતાના હાથમાં લેવા માંગે છે."
ભાજપે સાધ્યું નિશાન
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે પીએમ મોદી પર ખડગેના આ નિવેદન અંગે નિશાન સાધ્યું છે અને માફી માંગવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે અમને શરમ આવી રહી છે કે કોંગ્રેસ આ સ્તર પર આવી ગઈ છે. તેમણે લોકશાહી રીતે ચૂંટાયેલા વડાપ્રધાનને આતંકવાદી કહ્યા. તેમને જનતાએ પસંદ કર્યા છે. હું ખડગેના નિવેદનની સખત શબ્દોમાં નિંદા કરું છું અને પીએમ મોદી તથા દેશની જનતાનું અપમાન કરવા બદલ તેમની પાસે માફીની માંગ કરું છું."





