kerosene petrol pump India: મિડલ ઈસ્ટમાં ઈઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની અસર હવે ભારતીય ઈંધણ બજાર પર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા તોતિંગ વધારા અને સંભવિત અછતને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે રવિવારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. દેશમાં ઈંધણ સપ્લાયને લઈને વધતી ચિંતાઓ વચ્ચે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે રેશનની દુકાનો સિવાય પેટ્રોલ પંપ પર પણ કેરોસીન ઉપલબ્ધ કરાવવામાં આવશે. વૈશ્વિક સ્તરે વધતી તણાવપૂર્ણ પરિસ્થિતિ અને ક્રૂડ ઓઇલના વધતા ભાવોને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે, જે સામાન્ય નાગરિકોને રાહત આપી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ 'મન કી બાત' કાર્યક્રમમાં વૈશ્વિક યુદ્ધના કારણે સર્જાયેલી પેટ્રોલ-ડીઝલની કટોકટીનો ઉલ્લેખ કર્યો હતો. આ પડકારને પહોંચી વળવા સરકારે જાહેર વિતરણ પ્રણાલી (PDS) ના નિયમોમાં 60 દિવસની મોટી છૂટછાટ આપી છે. આ નવી વ્યવસ્થા હેઠળ, દરેક જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા નિર્ધારિત કરાયેલા પેટ્રોલ પંપ પરથી જરૂરિયાતમંદ પરિવારો કેરોસીન મેળવી શકશે, જેથી એલપીજી (LPG) પરનું ભારણ ઘટાડી શકાય.
દરેક જિલ્લામાં 2 પેટ્રોલ પંપ પર મળશે સુવિધા
કેન્દ્ર સરકારની આ નવી અને મહત્વકાંક્ષી યોજના અંતર્ગત હવે દેશના દરેક જિલ્લામાં ઈંધણના વિતરણ માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. આ યોજના મુજબ, રાજ્ય સરકાર અથવા કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસન દ્વારા દરેક જિલ્લામાં વધુમાં વધુ બે પેટ્રોલ પંપ પસંદ કરવામાં આવશે, જ્યાં સરકારી ઓઈલ કંપનીઓને કેરોસીનનો સંગ્રહ કરવાની અને તેના વિતરણની વિશેષ મંજૂરી આપવામાં આવશે. આ નિયુક્ત પંપો પર સુરક્ષાના ધોરણોને ધ્યાનમાં રાખીને ઓઈલ કંપનીઓ એક સમયે વધુમાં વધુ 5,000 લિટર સુધીનો કેરોસીનનો સ્ટોક રાખી શકશે. હાલની વૈશ્વિક પરિસ્થિતિ અને ઈંધણની જરૂરિયાતને પહોંચી વળવા માટે સરકાર દ્વારા સપ્લાય ચેઈન સંબંધિત નિયમોમાં 60 દિવસની વિશેષ છૂટછાટ પણ જાહેર કરવામાં આવી છે, જેથી ગ્રાહકો સુધી કેરોસીનનો પુરવઠો કોઈપણ અવરોધ વગર અને સમયસર પહોંચી શકે.
કેરોસીન મેળવવા માટેની મહત્વપૂર્ણ 5 શરતો
સરકાર દ્વારા કેરોસીન વિતરણ માટે કેટલીક કડક શરતો નક્કી કરવામાં આવી છે:
કેરોસીનનો ઉપયોગ માત્ર રસોઈ અને પ્રકાશ માટે જ કરવો પડશે
એક પંપ પર 5,000 લિટરથી વધુ સ્ટોક નહીં રાખી શકાય
તમામ સુરક્ષા અને માર્ગદર્શિકા નિયમોનું પાલન ફરજિયાત
સ્ટોક અને વિતરણનો સંપૂર્ણ રેકોર્ડ રાખવો પડશે
પ્રશાસન દ્વારા ગમે ત્યારે તપાસ થઈ શકે છે
આ શરતોનો હેતુ છે કે વિતરણ પારદર્શક અને સુરક્ષિત રહે.
એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો: ભાવ વધારો અટકાવવા માસ્ટરપ્લાન
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલનો ભાવ 70 ડોલરથી વધીને 110 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો છે. જેના કારણે ઓઈલ કંપનીઓને પ્રતિ લિટર ₹30 સુધીનું નુકસાન થઈ રહ્યું હતું. આ નુકસાનની અસર ગ્રાહકો પર ન પડે તે માટે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ₹10-10 નો ઘટાડો કર્યો છે. આ પગલાથી આંતરરાષ્ટ્રીય મોંઘવારી વચ્ચે પણ ભારતમાં ઈંધણના ભાવ સ્થિર રાખવામાં સફળતા મળી છે.
અફવાઓથી દૂર રહેવા સરકારની અપીલ
કેટલાક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલ ખૂટી જશે તેવી અફવાઓને કારણે પંપ પર ભીડ જોવા મળી રહી છે. આ અંગે સ્પષ્ટતા કરતા સરકારે જણાવ્યું છે કે:
દેશમાં ક્રૂડ ઓઈલનો પર્યાપ્ત સ્ટોક છે અને રિફાઇનરીઓ પૂર્ણ ક્ષમતાથી કામ કરી રહી છે.
ગેસ સપ્લાય સામાન્ય છે અને દરરોજ 55 લાખથી વધુ સિલિન્ડર ડિલિવર થઈ રહ્યા છે.
સીએનજી (CNG) અને પીએનજી (PNG) ગ્રાહકોને 100% પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે.





