Home National Kanha Tiger Reserve Cdv Virus Seven Tigers Death Madhya Pradesh Wildlife News

વાઘ પર વાયરસનો ખતરો! : કાન્હા ટાઈગર રિઝર્વમાં રહસ્યમય વાયરસનો કહેર, 2 મહિનામાં 7 વાઘના મોતથી વન વિભાગમાં ચિંતા

Kanha Tiger Reserve CDV  Virus
Image Credit: disneyworld.disney.go.co
Published by: Nirali Gohil
Last Updated: Jun 25, 2026, 08:36 AM IST

Kanha Tiger Reserve: મધ્યપ્રદેશના વિશ્વવિખ્યાત કાન્હા ટાઈગર રિઝર્વમાં કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ (Canine Distemper Virus-CDV)નો ખતરો દિવસેને દિવસે ગંભીર બની રહ્યો છે. છેલ્લા બે મહિનામાં આ જીવલેણ વાયરસના કારણે વધુ એક વાઘના મોત સાથે કુલ સાત વાઘોએ જીવ ગુમાવ્યો છે. સતત વધી રહેલા મૃત્યુઆંકને કારણે વન વિભાગ અને વન્યજીવ સંરક્ષણ સાથે જોડાયેલા નિષ્ણાતોમાં ભારે ચિંતા ફેલાઈ છે. તાજેતરમાં કિસલી રેન્જમાંથી ગંભીર હાલતમાં મળી આવેલા વાઘને બચાવી મુક્કી ક્વોરન્ટાઈન સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અનેક નિષ્ણાતોની ટીમે સતત સારવાર અને આરોગ્ય દેખરેખ રાખવા છતાં વાઘને બચાવી શકાયો નહોતો. આ ઘટનાએ કાન્હા ટાઈગર રિઝર્વમાં ફેલાયેલા વાયરસની ગંભીરતા ફરી એકવાર ઉજાગર કરી છે.

બીમાર હાલતમાં મળેલા વાઘનું સારવાર દરમિયાન મોત

વન વિભાગના જણાવ્યા અનુસાર, જૂન મહિનામાં કિસલી રેન્જના સંદુક ખોલ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક વાઘ અત્યંત નબળી અને બીમાર સ્થિતિમાં જોવા મળ્યો હતો. હાથી પેટ્રોલિંગ ટીમે તાત્કાલિક અધિકારીઓને જાણ કરતાં રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વાઘને સુરક્ષિત રીતે મુક્કી ક્વોરન્ટાઈન સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન વાઘમાં કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસના સ્પષ્ટ લક્ષણો જોવા મળ્યા હતા. ત્યારબાદ નાનાજી દેશમુખ વેટરનરી એન્ડ એનિમલ સાયન્સ યુનિવર્સિટી, વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ટ્રસ્ટ (WCT) અને કાન્હા ટાઈગર રિઝર્વના પશુચિકિત્સકોની વિશેષ ટીમે સારવાર શરૂ કરી હતી. જોકે સતત સારવાર છતાં વાઘની તબિયતમાં કોઈ સુધારો થયો નહીં અને અંતે તેનું મૃત્યુ થયું.

આ પણ વાંચો: દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને ખેંચી ગઈ સિંહણ : 1 કિમી દૂરથી મળ્યા મૃતદેહના અવશેષો, અમરેલીમાં 'આદમખોર'નો આતંક

માત્ર બે મહિનામાં સાત વાઘોના મોત

કાન્હા ટાઈગર રિઝર્વમાં CDV વાયરસનો પહેલો મોટો પ્રભાવ સરહી રેન્જમાં જોવા મળ્યો હતો. એપ્રિલ મહિનામાં T-141 વાઘણના ચાર બચ્ચાઓમાંથી એકનું મૃતદેહ મળી આવ્યું હતું. ત્યારબાદ થોડા જ દિવસોમાં અન્ય બે બચ્ચાઓના પણ મોત થયા હતા. પરિસ્થિતિ ગંભીર બનતા વન વિભાગે વાઘણ અને તેના એકમાત્ર જીવિત બચેલા બચ્ચાને બચાવી ક્વોરન્ટાઈન સેન્ટરમાં ખસેડ્યા હતા. પરંતુ ચેપ એટલો ગંભીર હતો કે પહેલા વાઘણ અને ત્યારબાદ તેના બચેલા બચ્ચાનું પણ મૃત્યુ થયું હતું. આમ, માત્ર નવ દિવસમાં એક વાઘણ અને તેના ચારેય બચ્ચાઓએ જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ મે મહિનામાં મુક્કી રેન્જના જાણીતા મહાવીર નામના વાઘનું પણ મૃત્યુ થયું હતું. તપાસમાં તેના મૃત્યુનું કારણ પણ કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ હોવાનું સામે આવ્યું હતું. હવે વધુ એક વાઘના મોત સાથે છેલ્લા બે મહિનામાં CDVના કારણે મૃત્યુ પામેલા વાઘોની સંખ્યા સાત થઈ ગઈ છે.

શું છે કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ (CDV)?

કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ મુખ્યત્વે કૂતરા સહિત માંસાહારી પ્રાણીઓમાં ફેલાતો અત્યંત ચેપી વાયરસ છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં વાઘ, સિંહ, દીપડો અને અન્ય જંગલી માંસાહારી પ્રાણીઓમાં પણ તેના ચેપના કેસ નોંધાયા છે. આ વાયરસ પ્રાણીઓની શ્વસનતંત્ર, પાચનતંત્ર અને નર્વસ સિસ્ટમને ગંભીર અસર પહોંચાડે છે. ચેપગ્રસ્ત પ્રાણીમાં તાવ, નબળાઈ, ખોરાક ન લેવો, ચાલવામાં મુશ્કેલી અને ન્યુરોલોજિકલ સમસ્યાઓ જેવા લક્ષણો જોવા મળે છે. ગંભીર ચેપમાં મૃત્યુનું જોખમ ખૂબ વધી જાય છે.

આ પણ વાંચો: અમરેલીમાં સિંહોના આતંકથી બે મોતના પગલે વન વિભાગ એક્શનમાં : અત્યાર સુધીમાં કુલ ૫ સિંહોને પાંજરે પૂરી દેવાયા

વન વિભાગ માટે સંરક્ષણનો મોટો પડકાર

કાન્હા ટાઈગર રિઝર્વ દેશમાં વાઘ સંરક્ષણ માટેના સૌથી મહત્વપૂર્ણ અભ્યારણ્યોમાંનું એક માનવામાં આવે છે. પરંતુ સતત વધી રહેલા CDVના કેસોએ વન વિભાગ સામે નવો પડકાર ઊભો કર્યો છે. વન્યજીવ નિષ્ણાતોનું માનવું છે કે, વાયરસના વધુ ફેલાવાને રોકવા માટે સતત મોનિટરિંગ, ચેપગ્રસ્ત પ્રાણીઓની વહેલી ઓળખ, ક્વોરન્ટાઈન વ્યવસ્થા અને સમયસર સારવાર અત્યંત જરૂરી છે. હાલમાં વન વિભાગ અસરગ્રસ્ત વિસ્તારોમાં વિશેષ સર્વેલન્સ ચલાવી રહ્યો છે અને સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યો છે. કાન્હા ટાઈગર રિઝર્વમાં વાઘોના સતત મૃત્યુએ દેશના વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રમાં ગંભીર ચિંતા ઊભી કરી છે. જો સમયસર અસરકારક પગલાં નહીં લેવાય તો આ જીવલેણ વાયરસ વાઘોની વસતી માટે વધુ મોટું જોખમ બની શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now