logo-img
Kali Yuga Son Ki Janeta In Umargam

ઉમરગામમાં કળિયુગી પુત્રએ જનેતાની કરી હત્યા : સામાન્ય તકરારમાં ત્રિકમના ઘા ઝીંકી માતાને મોતના ઘાટ ઉતારી, ચકચાર

ઉમરગામમાં કળિયુગી પુત્રએ જનેતાની કરી હત્યા
Published by: Offbeat Team
| Last Updated: Feb 11, 2026, 09:45 AM IST

વલસાડ જિલ્લાના ઉમરગામ શહેરમાંથી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે, જેમાં કળિયુગી પુત્રએ પોતાની જ જનેતાની નિર્દયતાથી હત્યા કરી નાખી છે. ઉમરગામના માંહ્યવંશી ફળિયામાં રહેતા કિરીટ નામના યુવક અને તેની માતા પાર્વતીબેન વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. શરૂઆતમાં સામાન્ય તકરાર તરીકે શરૂ થયેલો વિવાદ થોડી જ વારમાં ઉગ્ર બની ગયો હતો. કહેવાય છે કે આવેશમાં આવી ગયેલા કિરીટે ઘરમાં રહેલા ત્રિકમથી માતા પર હુમલો કર્યો હતો. તેણે પાર્વતીબેનના માથાના ભાગે જીવલેણ ઘા ઝીંક્યા હતા. ગંભીર ઈજાઓને કારણે પાર્વતીબેનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

સામાન્ય બોલાચાલી હત્યામાં પરિણમી

આ બનાવની જાણ થતાં જ ઉમરગામ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ અધિકારી જે કે પટેલના જણાવ્યા અનુસાર, આરોપી પુત્ર કિરીટને તરત જ અટકાયત કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને પોલીસે તપાસમાં કોઈ કચાશ ન રહે તે માટે તકનીકી મદદ લીધી છે. ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવા FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની ટીમ તેમજ ડોગ સ્ક્વોડને પણ બોલાવવામાં આવ્યા હતા.

પુત્રના હાથે માતાની હત્યા

પોતાના જ પુત્રના હાથે માતાની હત્યા થવાની આ ઘટના બાદ સમગ્ર ઉમરગામ પંથકમાં શોક અને અરેરાટી ફેલાઈ ગઈ છે. સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ અને દુઃખનો માહોલ જોવા મળી રહ્યો છે. સામાન્ય તકરાર એટલી ભયાનક ઘટનામાં પરિણમે તેવો બનાવ સમાજ માટે ચિંતાજનક સંદેશ આપતો હોવાનું લોકો કહી રહ્યા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now