ગુજરાતની સુપ્રસિદ્ધ લોકગાયિકા કાજલ મહેરિયા હાલ પોતાના અંગત જીવનને લઈને ભારે ચર્ચામાં છે. લગ્ન અને અપહરણના વિવાદ વચ્ચે હવે કાજલ મહેરિયાના માતા શારદાબેન મહેરિયાએ મૌન તોડ્યું છે. તેમના ચોંકાવનારા નિવેદને આ સમગ્ર વિવાદમાં નવો વળાંક લાવી દીધો છે.
શેરથા ગામે પરિવાર સાથે થઈ ગેરવર્તણૂક
શારદાબેને મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો હતો કે, જ્યારે તેઓ પરિવાર અને સમાજના અગ્રણીઓ સાથે દીકરી કાજલને પરત લેવા માટે શેરથા ગામે ગયા હતા, ત્યારે ત્યાં હાજર લોકોએ તેમની સાથે ઉદ્ધત વર્તન કર્યું હતું. શારદાબેનના જણાવ્યા મુજબ, "અમે દીકરીની માંગણી કરવા ગયા હતા, પરંતુ સામે પક્ષે અમને ઉશ્કેરીને ત્યાંથી કાઢી મૂક્યા હતા."
આ પણ વાંચો: આગામી 72 કલાક સાવધાન! : ગુજરાત સહિત 9 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ; જાણો તમારા શહેરનું હવામાન
"છોકરો 200 રૂપિયામાં બક્ષીસ વીણવા આવતો હતો"
માતાએ ભાવુક અને આક્રોશભર્યા સ્વરમાં જણાવ્યું કે જે યુવક સાથે કાજલના લગ્નની વાતો થઈ રહી છે, તે યુવકની આર્થિક સ્થિતિ ખૂબ જ સામાન્ય છે. તેમણે કહ્યું "સામેવાળો છોકરો અમારે ત્યાં માત્ર 200 રૂપિયામાં બક્ષીસ વીણવા આવતો હતો. મારી દીકરી આટલી મોટી કલાકાર હોવા છતાં આવા છોકરા સાથે ક્યારેય લગ્ન ન કરે. આ બધું તેને ફસાવવાનું ષડયંત્ર છે."
પૈસા પડાવવા માટે 'ગેમ' રમાઈ રહી હોવાનો આક્ષેપ
શારદાબેને આક્ષેપ કર્યો છે કે છોકરાનો પરિવાર માત્ર કાજલની પ્રસિદ્ધિ અને તેના પૈસા પડાવવા માટે આ આખી 'ગેમ' રમી રહ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે તેમની દીકરીને લલચાવી-ફોસલાવીને અથવા કોઈ દબાણ હેઠળ રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો: IPL 2026: પ્લેઓફની રેસમાંથી બહાર થવાના આરે મુંબઈ ઈન્ડિયન્સ : જાણો હવે શું બની રહ્યા છે સમીકરણો
સમાજ પાસે ન્યાયની અપીલ
આ મામલે શારદાબેને માત્ર પોતાના પરિવાર પૂરતી વાત મર્યાદિત ન રાખતા, દલિત સમાજ અને અઢારે આલમને આ વિવાદમાં દખલગીરી કરી ન્યાય અપાવવા માટે અપીલ કરી છે. તેમણે આજીજી કરી છે કે સમાજના વડીલો ભેગા મળીને કોઈ રસ્તો કાઢે જેથી તેમની દીકરી સહીસલામત ઘરે પરત ફરી શકે.
શું છે સમગ્ર વિવાદ?
છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર કાજલ મહેરિયાના લગ્ન અને તેને લઈ સર્જાયેલા હંગામાના સમાચાર વાયુવેગે ફેલાઈ રહ્યા છે. એક તરફ લગ્નના દાવા કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ પરિવાર આ લગ્નને નકારી રહ્યો છે અને તેને મની-ટ્રેપ અથવા ષડયંત્ર ગણાવી રહ્યો છે. હાલમાં આ મામલે પોલીસ અને સામાજિક સ્તરે તપાસ અને મધ્યસ્થીના પ્રયાસો ચાલુ હોવાનું જણાય છે.
આ પણ વાંચો: ભાજપમાં વ્યક્તિ નહીં, પક્ષ સર્વોપરી : નારાજ કાર્યકરોને સાંસદ મનસુખ વસાવાએ આપ્યો પોતાની દીકરીનો દાખલો





