અમદાવાદના બહેરામપુરા પોલીસ ચોકીની નજીક આવેલા શાસ્ત્રીનગર ક્વાટર્સના ધાબા પર ચલતા જુગારધામ પર દરોડા પાડવા ગયેલી કાગડાપીઠ પોલીસને બાપ દીકરાએ રોકીને ટોળાને બોલાવીને જીવતા નહી જવા દઈએ તથા ત્રીજા માળથી કુદીને આત્મહત્યા કરી લઈશું તેવી ધમકી આપી હતી. કાગડાપીઠ પોલીસે ત્રણેય વિરુધ ગુનો નોધ્યો છે.
બહેરામપુરા લાલબહાદુર શાસ્ત્રીનગર ક્વાટર્સ પાસેના બ્લોક-૩ના ધાબા ઉપર ખુલ્લામાં ગંજીપાનાનો જુગાર રમાડવામાં આવી રહ્યો હોવાની બાતમી કાગડાપીઠ પોલીસને મળતા દરોડા પાડવા સારું પોલીસ પહોંચી હતી. આ સમયે જુગાર રમાડી રહેલા આરોપી નરેશ વાઘેલા તેની પત્ની મંજુબેન વાઘેલા અને દીકરો સુજલ વાઘેલા દરોડા પાડવામાં આવેલી કાગડાપીઠ પોલીસના કર્મીઓને ધાબાની સીડીમાં જ રોકી લીધા અને ધમકી આપી કે જો તમે દરોડા પાડશો તો અમે બુમો મારીને આજબાજુના માણસોને બોલાવીને તમને અહીયાથી જીવતા જવા દઈશું નહી કહીને પોલીસ કર્મીઓને બિભત્સ ગાળો બોલીને તકરાર કરવા લાગ્યા હતા. ત્યારબાદ પોલીસે બળપ્રયોગ કરીને ધાબામાં પહોચી ત્યાં સુધી બાપ દીકરાએ તમામ મુદ્દામાલ સગેવગે કરી દીધો હતો. આખરે પોલીસે ચેતવણી આપીને કહ્યું કે હવેથી જુગાર રમાડશો તો કાયદેસરની કાર્યવાહી કરીશું. ત્યારે ત્રણેય આરોપીઓએ પોલીસને ધમકી આપી કે ફરીથી અહિયાં આવશો તો ધાબેથી કુદકો મારીને આત્મહત્યા કરી લઈશું તેવી ગર્ભિત ધમકી આપતા કાગડાપીઠ પોલીસે નરેશ ગાંડાભાઈ વાઘેલા, સુજલ નરેશભાઈ વાઘેલા અને મંજુબેન નરેશભાઈ વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.





