Home National Ins Aridaman Nuclear Submarine Commissioned Indian Navy News

Indian Navy Power : ભારતની દરિયાઈ શક્તિમાં પ્રચંડ વધારો! ત્રીજી પરમાણુ સબમરીન INS અરિદમન નૌકાદળમાં સામેલ

Indian Navy Power INS Aridaman
Published by: Nirali Gohil
Last Updated: Apr 04, 2026, 04:38 AM IST

INS Aridaman Nuclear Submarine: ભારતીય નૌકાદળના ભાથામાં વધુ એક શક્તિશાળી શસ્ત્ર ઉમેરાયું છે. INS અરિહંત અને INS અરિઘાત બાદ હવે INS અરિદમનને નેવીમાં કમિશન કરવામાં આવી છે, જે ભારતની 'ન્યુક્લિયર ટ્રાયડ' ક્ષમતાને અભેદ્ય બનાવશે. ભારતીય સંરક્ષણ ક્ષેત્રે શુક્રવારનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે. દેશના ગુપ્ત ન્યુક્લિયર બેલિસ્ટિક મિસાઈલ સબમરીન (SSBN) પ્રોગ્રામ હેઠળ તૈયાર કરવામાં આવેલી ત્રીજી પરમાણુ સબમરીન INS અરિદમનને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી છે. લાંબા સમય સુધી ચાલેલા દરિયાઈ ટ્રાયલ્સ અને કડક પરીક્ષણો બાદ આ સબમરીનને કેરળ સ્થિત નેવી સ્ટેશન પર સેવામાં લેવામાં આવી છે. આ સફળતા સાથે જ ભારતની સમુદ્રી સીમાઓ હવે પહેલા કરતા વધુ સુરક્ષિત અને દુશ્મનો માટે અજેય બની ગઈ છે.

INS અરિદમન એ માત્ર એક સબમરીન નથી, પરંતુ ભારતની આત્મનિર્ભરતા અને અત્યાધુનિક ટેકનોલોજીનું પ્રતીક છે. વિશાખાપટ્ટનમના શિપ બિલ્ડિંગ સેન્ટર (SBC) માં સ્વદેશી રીતે તૈયાર કરવામાં આવેલી આ સબમરીન પરમાણુ હથિયારો વહન કરવાની અદભૂત ક્ષમતા ધરાવે છે. ખાસ વાત એ છે કે આ સબમરીન લાંબા સમય સુધી સમુદ્રના પેટાળમાં છુપાયેલી રહીને દુશ્મન પર અચૂક પ્રહાર કરી શકે છે, જે તેને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વની બનાવે છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે આપ્યા સંકેત

કેરળમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહની હાજરીમાં આ સબમરીનને નૌકાદળને સોંપવામાં આવી હતી. જોકે, આ પ્રોજેક્ટની ગુપ્તતાને ધ્યાનમાં રાખીને સંરક્ષણ મંત્રાલયે કોઈ સત્તાવાર પ્રેસ રીલીઝ જાહેર કરી નથી, પરંતુ રક્ષા મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને ગર્ભિત સંકેત આપ્યા હતા. તેમણે લખ્યું - "આ માત્ર એક શબ્દ નથી, પરંતુ શક્તિનું પ્રતીક છે - અરિદમન." આ પોસ્ટ બાદ દેશભરમાં ગૌરવની લહેર પ્રસરી ગઈ હતી.

સોશિયલ મીડિયા પર રાજનાથ સિંહની પોસ્ટની તસવીર.

ન્યુક્લિયર ટ્રાયડ: ભારત હવે વધુ શક્તિશાળી

INS અરિદમનના સમાવેશ સાથે ભારતની 'ન્યુક્લિયર ટ્રાયડ' (Nuclear Triad) ક્ષમતા વધુ મજબૂત બની છે.

  • ન્યુક્લિયર ટ્રાયડ એટલે શું?: જ્યારે કોઈ દેશ જમીન, હવા અને સમુદ્ર – ત્રણેય માધ્યમોથી પરમાણુ હુમલો કરવાની ક્ષમતા ધરાવતો હોય, ત્યારે તેને 'ન્યુક્લિયર ટ્રાયડ' પાવર કહેવામાં આવે છે.

  • વિશ્વના જૂજ દેશોમાં સ્થાન: ભારત વર્ષ 2016માં INS અરિહંતના સમાવેશ સાથે જ અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીન જેવા શક્તિશાળી દેશોની યાદીમાં સામેલ થઈ ગયું હતું. હવે ત્રીજી સબમરીન મળતા આ ક્ષમતામાં અનેકગણો વધારો થયો છે.

આ પણ વાંચો: રાજસ્થાનના રણમાં કરા પડ્યા : યુપી-દિલ્હીમાં ધૂળની ડમરીઓ અને કાશ્મીરમાં હિમપ્રપાતનો ખતરો

ભારતની પરમાણુ સબમરીનનો ઈતિહાસ

ભારત સતત તેની દરિયાઈ તાકાત વધારી રહ્યું છે. અત્યાર સુધીની સફર પર એક નજર:

સબમરીનનું નામ

કમિશન વર્ષ

વિશેષતા

INS અરિહંત

2016

ભારતની પ્રથમ સ્વદેશી પરમાણુ સબમરીન.

INS અરિઘાત

ઓગસ્ટ 2024

બીજી શક્તિશાળી પરમાણુ સબમરીન.

INS અરિદમન

એપ્રિલ 2026

ત્રીજી અને વધુ અત્યાધુનિક SSBN સબમરીન.

હિંદ મહાસાગરમાં ચીન-પાકિસ્તાન પર નજર

INS અરિદમનના આગમનથી હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતનું વર્ચસ્વ વધશે. ખાસ કરીને ચીનની વધતી જતી દખલગીરી અને પાકિસ્તાનની હિલચાલ પર નજર રાખવા માટે આ સબમરીન 'ગેમ ચેન્જર' સાબિત થશે. તે લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઈલોથી સજ્જ હોવાથી ભારતની 'સેકન્ડ સ્ટ્રાઈક' (પરમાણુ હુમલાનો વળતો જવાબ આપવાની) ક્ષમતાને જબરદસ્ત બળ પૂરું પાડશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now