Amit Shah on Shiv Sena: શિવસેના (UBT) ના સાંસદોમાં બળવો અને નાસભાગની ચર્ચાઓ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોલ્હાપુરમાં મોટું નિવેદન આપ્યું છે. શાહે જણાવ્યું કે શિવસેનામાં હવે 'જૂથ' (ગુટ) જેવી કોઈ વસ્તુ રહી નથી. આજે માત્ર એક જ શિવસેના છે, જેનું નેતૃત્વ એકનાથ શિંદે કરી રહ્યા છે. કોલ્હાપુરમાં ધન્યવાદ રેલીને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું, 'પહેલા અમારે એકનાથ શિંદેના નામને કારણે આને 'શિવસેના શિંદે જૂથ' કહેવું પડતું હતું. હવે એવું કોઈ જૂથ-બૂથ નથી. હવે માત્ર એક જ શિવસેના છે, જેના અધ્યક્ષ એકનાથ શિંદે છે.'
હવે એક જ શિવસેના: શાહ
શાહનું આ નિવેદન ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના (UBT) જૂથમાં ચાલી રહેલા બળવાના અહેવાલો વચ્ચે આવ્યું છે. 'ઓપરેશન ટાઈગર' વચ્ચે શિવસેના (UBT) ના કેટલાક સાંસદો એકનાથ શિંદેની શિવસેનામાં જોડાવાના સમાચારોએ પાર્ટી સામે મોટો સંકટ ઊભો કરી દીધો છે. આના કારણે ખુલ્લી નારાજગી, સાંસદોની ગેરહાજરી અને કાનૂની કાર્યવાહીની ચેતવણીઓ સામે આવી છે.
અત્યાર સુધી શું થયું?
આ ઘટનાક્રમ બાદ શિવસેના (UBT) એ ગેરહાજર સાંસદોને નવી 'કારણ દર્શાવો નોટિસ' (શો-કોઝ નોટિસ) ફટકારી છે અને ગેરલાયક ઠેરવવાની કાર્યવાહીની ચેતવણી આપી છે. લોકસભામાં પાર્ટીના મુખ્ય દંડક (ચીફ વ્હીપ) અનિલ દેસાઈએ ગેરહાજર સાંસદોને ઔપચારિક નોટિસ જાહેર કરીને લેખિત જવાબ આપવા માટે ૨૪ કલાકનો કડક સમય આપ્યો છે.
આ નોટિસમાં કડક ચેતવણી આપવામાં આવી છે કે જો સાંસદો નક્કી કરેલા સમયમાં જવાબ નહીં આપે, તો પાર્ટી એવું માની લેશે કે તેમણે સ્વેચ્છાએ પોતાનું સભ્યપદ છોડી દીધું છે. ત્યારબાદ ભારતીય બંધારણની દસમી અનુસૂચિ (પક્ષપલટા વિરોધી કાયદો) હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ગુરુવારે નવી દિલ્હીમાં આ સંકટ ત્યારે ચરમસીમાએ પહોંચ્યું જ્યારે પાર્ટીની ફરજિયાત સંસદીય બેઠકમાં ખુલ્લેઆમ વિભાજન જોવા મળ્યું.
ગેરહાજર સાંસદોના નામ
UBT ના ૯ લોકસભા સાંસદોમાંથી માત્ર ૩ સાંસદો જ બેઠકમાં પહોંચ્યા હતા, જ્યારે બાકીના 6 સાંસદો ગેરહાજર રહ્યા હતા. જેમના નાગેશ આષ્ટીકર, જય દેશમુખ, જય જાધવ, સંજય દીના પાટીલ, ઓમપ્રકાશ રાજેનિમ્બાળકર, ભાઉસાહેબ વાકચૌરે.
કોલ્હાપુરમાં માતાજીના દર્શન
અમિત શાહે કોલ્હાપુરમાં માતાજીના મંદિરે દર્શન કરીને દેશવાસીઓની સુખાકારી અને મંગળની કામના કરી હતી. શાહે મંદિર દર્શનની તસવીરો શેર કરતા પોતાની એક 'X' (ટ્વિટર) પોસ્ટમાં લખ્યું કોલ્હાપુર (મહારાષ્ટ્ર) ના પવિત્ર શક્તિપીઠ શ્રી અંબાબાઈ મહાલક્ષ્મી મંદિરમાં દર્શન અને પૂજનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. માં મહાલક્ષ્મીની કૃપા તમામ પર બનેલી રહે.
મહારાષ્ટ્રમાં ડબલ એન્જિન સરકારથી થઈ રહ્યું છે સાંસ્કૃતિક પુનરુત્થાન
કોલ્હાપુર રેલીને સંબોધતા શાહે કહ્યું કે, "કરવીરનગરીમાં માતા અંબાબાઈ મંદિરના નવીનીકરણ અને કોરિડોર નિર્માણનું કામ મહારાષ્ટ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. દેશનું સાંસ્કૃતિક પુનરુત્થાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકાસ પણ, વિરાસત પણ' ના વિઝન હેઠળ થઈ રહ્યું છે. આ અંતર્ગત મહારાષ્ટ્રમાં તમામ જ્યોતિર્લિંગો અને શક્તિપીઠોનો પુનર્વિકાસ અને જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો છે. આ આપણા બધા માટે ગર્વની વાત છે."





