Nasik Car Accident: મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના દિંડોરીથી અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. દિંડોરીના શિવાજી નગરમાં એક મારૂતિ XL6 કાર કૂવામાં પડી ગઈ છે. આ દુર્ઘટનામાં કારમાં સવાર એક જ પરિવારના 9 લોકોના મોત થયા છે, જેમાં 6 માસૂમ બાળકોનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માત 3 એપ્રિલની રાત્રે આશરે 10 વાગ્યે દિંડોરીના શિવાજી નગર વિસ્તારમાં સર્જાયો હતો. પોલીસે મૃતદેહોને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કાર અનિયંત્રિત થઈને કૂવામાં ખાબકી
મળતી માહિતી મુજબ, દરગુડે પરિવાર કોઈના ઘરે આયોજિત પ્રસંગમાં ગયો હતો. ત્યાંથી પરત ફરતી વખતે તેમની કારનું સંતુલન બગડ્યું હતું અને કાર અનિયંત્રિત થઈને આશુ રાજેના કૂવામાં જઈ પડી હતી. અકસ્માતની જાણ થતા જ દિંડોરી પોલીસ, વહીવટીતંત્ર અને ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. 2 હાઈડ્રા ક્રેન અને તરવૈયાઓની મદદથી મોડી રાત્રે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું અને રાત્રે લગભગ 12 વાગ્યે કારને કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી. કારમાં સવાર લોકોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, પરંતુ કોઈનો જીવ બચી શક્યો નહોતો.
તમામ 9 મૃતકો ઈન્દોર ગામના રહેવાસી
પોલીસના જણાવ્યા અનુસાર, કારની અંદરથી તમામ 9 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. મૃતકોની ઓળખ નીચે મુજબ છે...
રેશ્મા સુનીલ દરગુડે (27)
આશા અનિલ દરગુડે (32)
ખુશી ઉર્ફે સૃષ્ટિ અનિલ દરગુડે (14)
શ્રેયસ અનિલ દરગુડે (11)
રાખી ઉર્ફે ગુણવંતી સુનીલ દરગુડે
શ્રાવણી અનિલ દરગુડે (11)
સમૃદ્ધિ રાજેન્દ્ર દરગુડે (7)
માધુરી અનિલ દરગુડે (13)
સુનીલ દત્તુ દરગુડે (32)
આ તમામ મૃતકો દિંડોરી તાલુકાના ઈન્દોર ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માતનું કારણ: કાર પરથી કાબૂ ગુમાવવો
પોલીસની પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ કાર અનિયંત્રિત થઈને કૂવામાં પડી જવાનું હોવાનું સામે આવ્યું છે. જોકે, દિંડોરી પોલીસે ગુનો નોંધીને દરેક પાસાઓથી તપાસ શરૂ કરી છે. એક જ પરિવારના 9 સભ્યોના મોતના સમાચારથી સમગ્ર દિંડોરી વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મોડી રાત્રે થયેલા આ દર્દનાક અકસ્માતે સમગ્ર નાસિક જિલ્લાને હચમચાવી દીધો છે. હાલ પોલીસ અકસ્માતનું ચોક્કસ કારણ શોધવામાં વ્યસ્ત છે.





