Iran War Impact: ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ અટકવાનું નામ નથી લઈ રહ્યો. જ્યારે ઈઝરાયેલે 28 ફેબ્રુઆરીએ ઈરાન પર હુમલો કર્યો, ત્યારે તેણે વિશ્વભરને પોતાની તાકાત બતાવવા માટે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (હોર્મુઝની સામુદ્રધુની) નો દરવાજો બંધ કરી દીધો. આ ઘટના બાદ વિશ્વભરના બજારોમાં ભારે હલચલ મચી ગઈ છે, કારણ કે આ દરિયાઈ માર્ગે વિશ્વની જરૂરિયાતનું 20% ક્રૂડ ઓઈલ અને ગેસ નિકાસ કરવામાં આવે છે.
હોર્મુઝ સ્ટ્રેટમાં અવરજવર બંધ થવાને કારણે વૈશ્વિક એનર્જી સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. તેની સીધી અસર ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા તોતિંગ વધારા તરીકે જોવા મળી રહી છે. છેલ્લા એક મહિના દરમિયાન કાચા તેલના ભાવમાં 50% થી વધુનો ઉછાળો આવ્યો છે. પરિણામે દેશની ઈકોનોમી પર દબાણ વધ્યું છે, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) બજારમાંથી પોતાના નાણાં પાછા ખેંચી રહ્યા છે અને રૂપિયો ડોલર સામે સતત નબળો પડી રહ્યો છે. આ તમામ પરિબળોને કારણે મોંઘવારી વધવાની આશંકા છે.
આ પણ વાંચો: ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની અસર : સોના-ચાંદીના ભાવમાં આવી શકે છે મોટો ઉછાળો, જાણો ડિટેઈલમાં આખુ ગણિત
આવા સંજોગોમાં, 6 થી 8 એપ્રિલ વચ્ચે યોજાનારી આરબીઆઈની એમપીસી (MPC) બેઠકમાં વ્યાજ દરો અંગે મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. જેની સીધી અસર હોમ લોન લેનારાઓ પર પડશે. ચાલો જાણીએ કેવી રીતે?
ભારત પર શું પડશે ઈરાન યુદ્ધની અસર?
સપ્લાય ચેઈન: હોર્મુઝ સ્ટ્રેટમાંથી વિશ્વના 20% તેલની અવરજવર થાય છે. તે બંધ થવાથી તેલના પુરવઠા પર અસર પડી છે. ભારત તેની જરૂરિયાતનું 85% તેલ આયાત કરે છે, જેનાથી દેશનું આયાત બિલ વધશે.
રૂપિયાનું મૂલ્ય: મિડલ ઈસ્ટમાં સંઘર્ષ શરૂ થયા પછી રૂપિયો 3% થી વધુ તૂટ્યો છે અને ડોલર સામે ગગડીને ₹95.23 સુધી પહોંચી ગયો છે. નબળો રૂપિયો તેલ અને અન્ય આયાતી વસ્તુઓને વધુ મોંઘી બનાવે છે.
મોંઘવારી: જાન્યુઆરી 2026 માં મોંઘવારીનો દર 2.74% હતો જે ફેબ્રુઆરીમાં વધીને 3.21% પર પહોંચી ગયો છે. તેલ મોંઘું થવાથી ટ્રાન્સપોર્ટેશન, લોજિસ્ટિક્સ અને અન્ય ચીજવસ્તુઓના ભાવ વધી શકે છે.
શેરબજાર: વૈશ્વિક બજારોમાં ઘટાડાને કારણે અસ્થિરતા વધી છે, જેની અસર દલાલ સ્ટ્રીટ (ભારતીય શેરબજાર) પર પણ વેચવાલી તરીકે જોવા મળી રહી છે.
આરબીઆઈની એમપીસી (MPC) માં શું થશે?
RBI ની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠક 6 થી 8 એપ્રિલ દરમિયાન યોજાવાની છે. ફેબ્રુઆરી 2026 ની મીટિંગમાં રિઝર્વ બેંકે રેપો રેટ 5.25% પર યથાવત રાખ્યો હતો. પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. જો તેલના ભાવ નીચે નહીં આવે, તો કેન્દ્રીય બેંક મોંઘવારીને નિયંત્રિત કરવા માટે વ્યાજ દરમાં વધારો કરી શકે છે. બજારને પહેલા વ્યાજ દરમાં કાપની આશા હતી, પરંતુ હવે તે આશા નબળી પડી ગઈ છે. રિઝર્વ બેંકની પ્રાથમિકતા મોંઘવારી પર લગામ લગાવવાની રહેશે. નિષ્ણાતોનું માનવું છે કે આરબીઆઈ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરી શકે છે.
હોમ લોન પર શું અસર પડશે?
હોમ લોનના વ્યાજ દરો સીધા આરબીઆઈના રેપો રેટ સાથે જોડાયેલા હોય છે.
1. નવી લોન: જો આરબીઆઈ દરોમાં ઘટાડો નહીં કરે અથવા દરો વધારશે, તો નવી હોમ લોન લેવી મોંઘી બનશે.
2. જૂની લોન: જૂના ફ્લોટિંગ રેટ લોન ધરાવતા ગ્રાહકોને EMI માં જલ્દી રાહત નહીં મળે.
3. વ્યાજનું ભારણ: વ્યાજ દર ઊંચા રહેવાને કારણે લોનની મુદત દરમિયાન ચૂકવવામાં આવતું કુલ વ્યાજ વધી શકે છે.
આ યુદ્ધ કેટલો સમય ચાલશે અને તેલના ભાવ કેટલા ઊંચા રહેશે, તેના પર જ આગામી સમયની આર્થિક સ્થિતિનો આધાર રહેશે.





