India extreme heatwave 3400 deaths in a day: ભયાનક ગરમીના કારણે શું એક જ દિવસમાં 3,400 મોત થઈ શકે છે? જો હા, તો આ એક મોટી સમસ્યા છે જે કોરોના મહામારી કરતાં પણ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. તાજેતરમાં જ અસહ્ય ગરમીના કારણે દેશમાં સામે આવેલા મોતના કેટલાક કેસોનું વિશ્લેષણ કરવામાં આવ્યું, ત્યારે મરનારાઓનો આંકડો જોઈને લોકોના હોશ ઊડી ગયા. એમ પણ ભારત જેવા આટલા મોટા અને ગીચ વસ્તી ધરાવતા દેશમાં હીટસ્ટ્રોક (લૂ લાગવા)થી થતા મોતના સરકારી આંકડા અવારનવાર ઓછા જ જોવા મળે છે. ગરમીથી થયેલા મોતોને કોઈ ચોક્કસ કેટેગરીમાં નોંધવામાં જ નથી આવતા. તેથી હીટસ્ટ્રોકથી મરનારાઓની વાસ્તવિક સંખ્યા તંત્ર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા કરતાં ઘણી વધારે હોઈ શકે છે.
એક દિવસમાં 3,400 મોત! ભારતમાં ભીષણ ગરમી કેટલી જીવલેણ?
2026ના ઉનાળાની આ સીઝનમાં દેશના ઘણા ભાગોમાં તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે. આ સાથે જ એક્સટ્રીમ હીટ એટલે કે કાળઝાળ અને શરીરને દઝાડી દેતી ગરમીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. કહેવાનો અર્થ એ છે કે વર્ષ દર વર્ષે ગરમીની તીવ્રતા વધતી જઈ રહી છે. આવું થવું એ સામાન્ય ઘટના ન ગણી શકાય. ભીષણ ગરમી કેટલી ગંભીર ચિંતાનો વિષય છે, તે વાત એક નવા અભ્યાસના પરિણામો પરથી સામે આવી છે. સંશોધકોએ દેશના 10 શહેરો પર થયેલા જૂના અભ્યાસના આંકડાઓનો ઉપયોગ કરીને દેશના તમામ જિલ્લાઓમાં સ્થિતિ કેટલી હદ સુધી બગડી ચૂકી છે, તેનું વિશ્લેષણ કર્યું છે.
સ્ટડી રિપોર્ટ અનુસાર, દેશભરમાં માત્ર એક દિવસની અતિશય ગરમી અંદાજે 3,400 વધારાના મોતોનું કારણ બની શકે છે. જ્યારે સતત પાંચ દિવસ સુધી ચાલનારી હીટવેવ (લૂ) અંદાજે 30,000 લોકોનો જીવ લઈ શકે છે. જો 2026માં અત્યાર સુધી નોંધાયેલી ભીષણ ગરમીની ઘટનાઓને આ સંદર્ભમાં જોવામાં આવે, તો આ આંકડો અત્યંત ચિંતાજનક લાગે છે.
ભીષણ ગરમીનો સામનો કરતું ભારત
ભારત લાંબા સમયથી અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યું છે. વીતેલા કેટલાક વર્ષોમાં હીટવેવનો સમયગાળો અને તીવ્રતા બંને વધ્યા છે. 2024માં રાજસ્થાનના કેટલાક ભાગોમાં તાપમાન 50.5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. દિલ્હીએ છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી ગરમ રાતોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 2026માં પણ દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સહિત ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતના ઘણા રાજ્યોમાં ગંભીર હીટ એલર્ટ જારી કરવામાં આવ્યા છે. આ વર્ષે એક અન્ય મોટી સમસ્યા સામે આવી છે - ગરમ રાતો. પહેલા રાતના સમયે લોકોને ગરમીથી થોડી રાહત મળી જતી હતી, પરંતુ હવે શહેરી વિસ્તારોમાં કોંક્રિટ અને ઈમારતોના કારણે સૂરજ આથમ્યા પછી પણ વાતાવરણ કોઈ ગેસ ચેમ્બર કે ભઠ્ઠીની જેમ રાત્રે 10 વાગ્યા સુધી ગરમ જ રહે છે.
ગુજરાતના આ શહેરમાં ડ્રોન ઉડાવનારની ખેર નહીં! : 47 સ્થળોની આસપાસ 2 કિમી સુધી ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ
આની અસર ભારતના કરોડો લોકો પર પડી છે. ખાસ કરીને ખેડૂતો, ઈ-રિક્ષા ચલાવતા ડ્રાઈવરો, બાંધકામ ક્ષેત્રે જોડાયેલા મજૂરો, પાથરણાવાળા અને ફેરિયાઓ તેમજ વૃદ્ધો સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે. કારણ કે તેઓ લાંબા સમય સુધી 45 ડિગ્રી વાળા તડકામાં રહે છે, તેથી વધતા તાપમાન સામે તેઓ વધુ સંવેદનશીલ બની ચૂક્યા છે. આ અભ્યાસના પરિણામો વધુ ચિંતાજનક એટલા માટે છે કારણ કે ગરમી સંબંધિત ઘણા મોતોને હીટસ્ટ્રોક માનવામાં જ નથી આવતા. નબળા અને ગરીબ વર્ગમાં આવા મોત અવારનવાર હાર્ટ અટેક, શ્વાસને લગતી બીમારીઓ કે અન્ય કારણો હેઠળ નોંધી દેવામાં આવે છે.
કેલિફોર્નિયા યુનિવર્સિટી, બર્કલેના સંશોધક પિયૂષ નારંગ અને અશોક ગાડગીલના અભ્યાસે આ ખામીને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. આ સ્ટડી કરનારા સંશોધકોનું માનવું છે કે તેમનો અંદાજ લઘુત્તમ અંદાજ (Lower-Bound Estimates) છે. એટલે કે ભીષણ ગરમીની વાસ્તવિક અસર આનાથી પણ વધુ હોઈ શકે છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં, જ્યાં લોકો પાસે ગરમી અને કાળઝાળ તડકાથી બચવાના સાધનો ઓછા હોય છે.
યુપીમાં સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક
ઉત્તર પ્રદેશ (યુપી) દેશમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે. અહીં હીટસ્ટ્રોકથી પ્રભાવિત લોકોની સંખ્યા રાજ્યવાર આંકડામાં વધુ હોઈ શકે છે. આ અભ્યાસમાં યુપી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય તરીકે સામે આવ્યું છે. અંદાજ છે કે પાંચ દિવસની હીટવેવ દરમિયાન અહીં 8,000થી વધુ વધારાના મોત થઈ શકે છે. અમદાવાદ, જયપુર અને સુરત જેવા શહેરોના કેટલાક જિલ્લાઓમાં માત્ર એક જ દિવસની અતિશય ગરમી દરમિયાન 250થી વધુ વધારાના મોત થઈ શકે છે.
જીવ બચાવવો જરૂરી!
નિષ્ણાતોનું માનવું છે કે જેમ-જેમ પૃથ્વીનું તાપમાન વધશે, તેમ-તેમ હીટવેવની સમસ્યાઓ વધુ ઘાતક બનશે. આવી સ્થિતિમાં લોકોના જીવ બચાવવા માટે હવે બહેતર એલર્ટ સિસ્ટમ લાગુ કરવાની સાથે, ગરમી દરમિયાન મજબૂત આરોગ્ય સેવાઓ અને હાઈ-રિસ્ક (વધુ જોખમ ધરાવતા) વિસ્તારો માટે વિશેષ સહાય યોજનાઓ ચલાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. આ અભ્યાસ એ વાત રેખાંકિત કરે છે કે ભયાનક ગરમી હવે માત્ર અગવડતા કે સામાન્ય પરેશાનીનો વિષય નથી, પરંતુ ઝડપથી ઉભરી રહેલું જાહેર આરોગ્ય સંકટ (Public Health Crisis) બની ચૂકી છે, જેના પર 2027નો ઉનાળો આવે તે પહેલાં ગંભીરતાથી ધ્યાન આપવું જરૂરી છે.





