દેશની સર્વોચ્ચ અદાલતને વધુ પાંચ નવા જજ મળ્યા છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કેન્દ્ર સરકારે 1 જૂન, 2026ના રોજ આ નિમણૂકોની સત્તાવાર જાહેરાત કરી છે. આ સાથે હવે સુપ્રીમ કોર્ટમાં જજોની કુલ સંખ્યા વધીને 37 થઈ ગઈ છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે અધ્યાદેશ દ્વારા મુખ્ય ન્યાયાધીશ (CJI) સહિત સુપ્રીમ કોર્ટમાં જજોની મંજૂર સંખ્યા 38 સુધી વધારી હતી, જેના કારણે હવે માત્ર એક જગ્યા ખાલી રહી છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે 27 મેના રોજ પાંચ નામોની ભલામણ કરી હતી અને માત્ર ચાર દિવસમાં સરકારે તેને મંજૂરી આપી દીધી. ન્યાયતંત્રમાં વધતા કેસોના ભારને ધ્યાનમાં રાખીને આ નિમણૂંકોને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
આ પાંચ નવા જજ કોણ છે?
ન્યાયાધીશ શીલ નાગાઉ
જસ્ટિસ શીલ નાગુ અગાઉ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યરત હતા. તેમનું મૂળ હાઈકોર્ટ મધ્ય પ્રદેશ છે, જ્યાં તેઓ 2011માં જજ તરીકે નિયુક્ત થયા હતા. બંધારણીય, પર્યાવરણ અને જાહેર હિતના અનેક મહત્વના કેસોમાં તેમણે નોંધપાત્ર ચુકાદા આપ્યા છે.
ન્યાયાધીશ ચંદ્રશેખર
જસ્ટિસ શ્રી ચંદ્રશેખર બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી રહ્યા હતા. તેમનું મૂળ હાઈકોર્ટ ઝારખંડ છે. દિલ્હી યુનિવર્સિટીમાં કાયદાનું શિક્ષણ પ્રાપ્ત કરનાર જસ્ટિસ ચંદ્રશેખરની નિમણૂકથી સુપ્રીમ કોર્ટમાં ઝારખંડનું પ્રતિનિધિત્વ વધુ મજબૂત બન્યું છે.
જસ્ટિસ સંજીવ સચદેવા
જસ્ટિસ સંજીવ સચદેવા મધ્ય પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. તેઓ 1995માં સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ-ઓન-રેકોર્ડ બન્યા હતા અને 2013માં દિલ્હી હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત થયા હતા. ન્યાયિક ક્ષેત્રમાં તેમનો લાંબો અનુભવ તેમની વિશેષતા ગણાય છે.
જસ્ટિસ અરુણ પલ્લી
જસ્ટિસ અરુણ પલ્લી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યરત હતા. તેમણે 1988માં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં વકીલાત શરૂ કરી હતી અને 2013માં જજ તરીકે નિયુક્ત થયા હતા.
સૌથી વધુ ચર્ચામાં વી. મોહનાની નિમણૂંક
વી. મોહના
આ પાંચ નામોમાં સૌથી ખાસ નામ સિનિયર એડવોકેટ વી. મોહનાનું છે. તેઓ સીધા વકીલાત ક્ષેત્રમાંથી સુપ્રીમ કોર્ટના જજ બનનાર દેશના બીજા મહિલા છે. તેમના પહેલાં 2018માં Justice Indu Malhotraને સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કોયમ્બતુરમાં કાયદાનું શિક્ષણ મેળવનાર વી. મોહનાને 2015માં સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ તરીકે માન્યતા મળી હતી. તેમની નિમણૂકને ન્યાયતંત્રમાં મહિલાઓના પ્રતિનિધિત્વ માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: હવે હવાઈ હુમલાની પહેલાથી મળશે ચેતવણી! : દેશના 244 સંવેદનશીલ જિલ્લામાં ગોઠવાશે આધુનિક એર રેડ વોર્નિંગ સિસ્ટમ
કેમ મહત્વપૂર્ણ છે આ નિમણૂકો?
સુપ્રીમ કોર્ટમાં હાલમાં 92 હજારથી વધુ કેસો પેન્ડિંગ હોવાનું માનવામાં આવે છે. નવા જજોની નિમણૂકથી કેસોના ઝડપી નિકાલમાં મદદ મળશે. સાથે જ બંધારણીય મહત્વના મુદ્દાઓ માટે નિયમિત બંધારણીય બેન્ચની રચના પણ વધુ સરળ બનશે.
ન્યાયતંત્રના જાણકારોના મતે આ નિમણૂકોમાં વરિષ્ઠતા, પ્રાદેશિક પ્રતિનિધિત્વ અને લિંગ સમાનતા જેવા પાસાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ખાસ કરીને વી. મોહનાની નિમણૂકને ભારતીય ન્યાયતંત્રમાં મહિલાઓ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે.





