અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ચર્ચાસ્પદ દાવો કરતાં જણાવ્યું છે કે ગયા મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા લઘુ-યુદ્ધ દરમિયાન 4થી 5 ફાઇટર જેટ વિમાનો તોડી પાડવામાં આવ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર, તેમણે બંને પરમાણુ શક્તિઓ વચ્ચે મધ્યસ્થી કરી અને યુદ્ધવિરામ સથળાવ્યું હતું.
ટ્રમ્પે આ ટિપ્પણી વ્હાઇટ હાઉસમાં રિપબ્લિકન સાંસદો સાથે થયેલા રાત્રિભોજન દરમિયાન કરી હતી. તેમ છતાં, તેમણે એ સ્પષ્ટ ન કર્યું કે વિમાનો ભારતના હતા કે પાકિસ્તાનના. ટ્રમ્પે માત્ર એ કહ્યું હતું કે, "ખરેખર વિમાનોને હવામાં તોડી પાડવામાં આવી રહ્યા હતા – ચાર કે પાંચ."
ભારતીય વાયુસેના અને CDSનો જવાબ
10 મેના રોજ ભારતના એર ચીફ માર્શલ એ.કે. ભારતીએ જણાવ્યું હતું કે ભારતે યુદ્ધ દરમિયાન પાકિસ્તાની હાઈટેક ફાઇટર જેટ વિમાનોને તોડી પાડ્યા હતા, પરંતુ તેમણે ચોક્કસ સંખ્યા જણાવવી ટાળી હતી. બીજી બાજુ, પાકિસ્તાને વિપરીત દાવો કર્યો હતો કે ભારતના છ વિમાનો (રાફેલ સહિત) તોડી પાડવામાં આવ્યા હતા અને તેમના પક્ષે માત્ર એક વિમાનને નાનું નુકસાન થયું હતું.
આ દાવા સામે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે પાકિસ્તાની દાવાને નામંજૂર કરતા જણાવ્યું કે, "યુદ્ધના પ્રારંભમાં કેટલાક જેટ વિમાનો ખરાબ થયા હતા, પરંતુ બાદમાં દળોએ પોતાની ભૂલો સુધારીને પ્રતિક્રિયા આપી."
CDSએ ઉમેર્યું:
"મહત્વપૂર્ણ એ નથી કે કેટલાં વિમાનો તોડી પાડવામાં આવ્યા, પણ એ છે કે કેમ અને શા માટે તે ઘટનાઓ બની. ભવિષ્ય માટે તેમાંથી શા પ્રકારના પાઠ મેળવીએ એ વધારે મહત્વપૂર્ણ છે."





