Dang News: ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારામાં એક ગમખ્વાર અકસ્માતના અહેવાલ મળી રહ્યા છે. યાત્રા પરથી પરત ફરતી વખતે ખાનગી બસને અકસ્માત નડ્યો છે. જેમાં 5 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે. ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.
સાપુતારા માલેગામ ઘાટ માર્ગમાં અકસ્માત નડ્યો
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ઉત્તર પ્રદેશની ખાનગી બસને ડાંગ જિલ્લામાં સાપુતારા માલેગામ ઘાટ માર્ગમાં અકસ્માત નડ્યો છે. સવારે ૪ વાગ્યે ઉત્તર પ્રદેશની ખાનગી પ્રવાસીઓથી ભરેલી બસ સાપુતારાથી શામગાહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ખીણમાં ખાબકી હતી. જેમાં 5 લોકોના મોત થયા છે. જ્યારે ઘાયલ મુસાફરોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઉત્તર પ્રદેશના 50 જેટલા પ્રવાસી ભરેલી બસ ઘાટમાં પલટી
આ ગમખ્વાર અકસ્માતને પગલે પોલીસ અને બચાવ ટુકડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પ્રવાસીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે, ઝાંસી કી રાની નામની પ્રાઈવેટ ટ્રાવેલ્સ બસમાં 50 થી વધુ મુસાફરો સવાર હોવાનું જાણવા મળ્યું છે. ઉત્તર પ્રદેશના 50 જેટલા પ્રવાસી ભરેલી બસ ઘાટમાં પલટી ગઈ હતી.






