28 માર્ચની તારીખ ભારતીય અને વૈશ્વિક ઇતિહાસમાં અનેક યાદગાર ક્ષણોની સાક્ષી રહી છે. આજના દિવસે રમતગમત ક્ષેત્રે ભારતની દીકરીએ વિશ્વસ્તરે ડંકો વગાડ્યો હતો તો બીજી તરફ શીખ ધર્મના પવિત્ર ગુરુની પુણ્યતિથિ પણ આજે જ છે. વિજ્ઞાન, રાજનીતિ અને સામાજિક પરિવર્તનની દ્રષ્ટિએ આ દિવસ ઘણો જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
રમતગમત ક્ષેત્રે ભારતની મોટી સિદ્ધિ
વર્ષ 2015માં આજના જ દિવસે ભારતીય બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલે ઈતિહાસ રચ્યો હતો. સાયના વિશ્વની નંબર 1 મહિલા બેડમિન્ટન ખેલાડી બની હતી. આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ભારતીય મહિલા ખેલાડી હતી. આ સિવાય ક્રિકેટ જગતમાં વર્ષ 2000માં વેસ્ટ ઈન્ડિઝના બોલર કોર્ટની વાલ્સે ટેસ્ટ ક્રિકેટમાં 435 વિકેટ ઝડપીને ભારતની શાન ગણાતા કપિલ દેવનો વર્ષો જૂનો રેકોર્ડ તોડ્યો હતો.
ઐતિહાસિક અને રાજકીય ઘટનાક્રમ
વૈશ્વિક સ્તરે વર્ષ 1969માં અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ આઈઝનહોવરનું અવસાન થયું હતું. રાજકીય ક્ષેત્રે વર્ષ 2007માં અમેરિકાની સેનેટે ઈરાકમાંથી પોતાની સેના પાછી ખેંચવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી જે એક મોટો નિર્ણય ગણાય છે. જ્યારે વર્ષ 2005માં ઈન્ડોનેશિયાના સુમાત્રા દ્વીપ પર આવેલા ભયાનક ભૂકંપે ભારે વિનાશ વેર્યો હતો. પર્યાવરણ અને વન્યજીવ ક્ષેત્રની વાત કરીએ તો વર્ષ 2011માં ભારતમાં વાઘની વસ્તીના આંકડા જાહેર થયા હતા જેમાં વર્ષ 2006ની સરખામણીએ વાઘની સંખ્યા 1411થી વધીને 1706 થઈ હોવાનું સામે આવ્યું હતું.
મહાન વિભૂતિઓનો જન્મ અને પુણ્યતિથિ
ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ આ દિવસ ખૂબ જ પવિત્ર છે. શીખ ધર્મના બીજા ગુરુ અંગદ દેવજી વર્ષ 1552માં આજના દિવસે જ્યોતિજોત સમાયા હતા. આ ઉપરાંત ગણિતશાસ્ત્રી ગોરખ પ્રસાદનો જન્મ વર્ષ 1896માં થયો હતો. વર્ષ 2006માં હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી બંસીલાલ અને ભારતીય ફિલસૂફ વેથાથિરી મહર્ષિનું નિધન થયું હતું. કલા જગતના જાણીતા ચિત્રકાર એફ.એન. સુઝાનું અવસાન વર્ષ 2002માં આજના દિવસે થયું હતું.





