સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક જસવંતગઢ પાટીયા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં 6 લોકોએ ઘટનાસ્થળે જીવ ગુમાવ્યો છે. 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે . ઈજાગ્રસ્તોને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. 2 લોકોની હાલત ગંભીર છે. મીની બસે કારને પાછળથી ટક્કર મારતા આ દુર્ઘટના બની હતી. સ્થાનિક લોકોએ અને રાહદારીઓએ તરત જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
કેવી રીતે સર્જાયો અકસ્માત
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મીની બસના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા આગળ ચાલી રહેલી કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ડ્રાઈવર ઓવરસ્પીડમાં હોવાનું અનુમાન છે. ટેક્નિકલ ખામી જેવા મુદ્દાઓને પણ નકારી શકાય તેમ નથી. પોલીસે મીની બસ અને કાર બંનેને જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતમાં મૃત્યુ પામનારાઓની ઓળખ અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી રહી છે અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ માટે મૃતદેહોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: NH-48 પર આવેલી 'VR વન' બિલ્ડિંગમાં ભીષણ આગ : પાર્કિંગથી 8મા માળ સુધી જ્વાળાઓ પ્રસરી; અનેક વાહનો ખાખ
પોલીસ દ્વારા અકસ્માતની સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતમાં જવાબદાર કોણ છે તે અંગે પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. જો કોઈ બેદરકારી સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ, ઈજાગ્રસ્તોની હાલત અંગે સતત નજર રાખવામાં આવી રહી છે અને તેમને યોગ્ય સારવાર મળે તે માટે તબીબી ટીમ સક્રિય છે.
પ્રશાસન દ્વારા માર્ગ સલામતી અંગે જાગૃતિ વધારવા માટે અભિયાન ચલાવવાની પણ ચર્ચા થઈ રહી છે. આવા દુર્ઘટનાઓને અટકાવવા માટે ડ્રાઈવરોમાં જવાબદારી અને નિયમો પ્રત્યેની સંવેદનશીલતા વધારવી જરૂરી બની ગઈ છે.






