Ahmedabad Rainfall: સુરતની સૂરત બગાડ્યા બાદ મેઘરાજા હવે અમદાવાદ પર કહેર વરસાવી રહ્યાં છે. ગત રાતથી પડી રહેલાં ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી છે. આ ઉપરાંત વરસાદને પગલે શહેરમાં અનેક જગ્યાએ ભૂવા પડ્યા છે. જ્યારે વરસાદની સ્થિતિ વચ્ચે એક વ્યક્તિનું કેનાલમાં પડી જવાથી મોત નિપજ્યું છે.
ખાસ કરીને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મોડી રાતથી મેઘરાજા તોફાને ચઢ્યા હતા. જેમાં શહેરના નરોડા, નિકોલ, મેમ્કો, બાપુનગર, ઓઢવ, વિરાટનગર, રખિયાલ, રામોલ, હાટકેશ્વર અને મણિનગર સહિતના વિસ્તારો પાણીપાણી થઈ ગયા હતાં. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવને કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ગરકાવ થઈ ગયા હતા.
કેવી રીતે થયું આધેડનું મોત?
ઓઢવ અંબિકાનગરની મોગલ માતાના મંદિર પાસે ખારીકટ કેનાલની બાજુમાં ડ્રેનેજલાઈનના ખાડામાં બાઈક સાથે એક વ્યક્તિ પડ્યો નો કોલ ફાયર બ્રિગેડને મળ્યો હતો. જેથી નજીકના ઓઢવ અને નિકોલ બન્ને ફાયર સ્ટેશન પરથી રેસ્ક્યૂ માટે ટીમો પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ત્યારે ડ્રેનેજલાઈનનો ખાડો હતો, જેમાં ખૂબ પાણી ભરાયેલું હતું. બીજી તરફ સતત વરસાદ પડી રહ્યો હતો. સ્થાનિકોએ ફાયરની ટીમને માહિતી આપી હતીકે, બાઈક સાથે એક વ્યક્તિ ત્યાંથી પસાર થતો હતો અને તરત જ કાબુ ગુમાવતા પાણીમાં પડ્યો હતો અને ખાડામાં ગરકાવ થઈ ગયો હતો.
કલાકોની જહેરમત બાદ બહાર કઢાયો મૃતદેહઃ
ગતરાતે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમને રેસ્ક્યુ માટેનો કોલ મળ્યો હતો. શહેરના ઓઢવ વિસ્તારમાં એક વ્યક્તિ ખાડામાં પડ્યો હોવાની માહિતી મળી હતી. ઓઢવ અંબિકાનગર શિવાનંદ પાર્ક પાસે આ ઘટના બની હતી. નિકોલ ફાયર વિભાગની ટીમ હાલ ઘટના સ્થળે પહોંચીને ભારે શોધખોળ કરી હતી. કલાકોની જહેમત બાદ ગટરની કેનાલમાં પડેલાં વ્યક્તિનો મૃતદેહ બહાર કઢાયો હતો.
અમદાવાદ માટે કોંગ્રેસનો 'માસ્ટર પ્લાન'!: સ્થાનિક ચૂંટણી માટે કોંગ્રેસે બહાર પાડ્યો મેનિફેસ્ટો, જાણો શું છે વાયદા






