Vadodara News: વડોદરાના VCCI (વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી) કોમ્પ્લેક્સ ખાતે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદ્યોગપતિઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. આ બેઠકમાં શહેરના ઉદ્યોગપતિઓ, વેપારીઓ, મેયર તેમજ ભાજપના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વેપાર અને ઉદ્યોગને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને યોજાયેલા આ સંવાદ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીએ ઉદ્યોગપતિઓના સૂચનો, પ્રશ્નો અને રજૂઆતો સાંભળી હતી. ઉદ્યોગ ક્ષેત્રને વધુ ગતિ આપવા તેમજ વેપારીઓને પડતી સમસ્યાઓના નિરાકરણ અંગે પણ ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું.
પેટાચૂંટણી પૂર્વે ભાજપે પ્રચારને આપ્યું વેગ
માંજલપુર પેટાચૂંટણી પૂર્વે ભાજપે વિવિધ સમાજ અને વ્યવસાયિક વર્ગો સાથે સીધો સંપર્ક વધારવાના પ્રયાસો તેજ કર્યા છે. તેના ભાગરૂપે વેપાર-ઉદ્યોગ જગત સાથે આ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવતી આ બેઠક પર સ્થાનિક રાજકીય વર્તુળોની પણ નજર રહી હતી.
વેપાર-ઉદ્યોગના વિકાસ અંગે રજૂઆતો
બેઠક દરમિયાન ઉદ્યોગપતિઓએ ઔદ્યોગિક વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાફિક, કનેક્ટિવિટી અને વ્યવસાયને અસર કરતા વિવિધ મુદ્દાઓ અંગે પોતાના સૂચનો રજૂ કર્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ સંબંધિત પ્રશ્નોનો નોંધ લઈ યોગ્ય સ્તરે રજૂઆતો પર વિચારણા કરવાની ખાતરી આપી હોવાનું જણાવવામાં આવ્યું છે.
ઉદ્યોગપતિઓએ વિકાસ અને સુવિધાઓ અંગે રજૂઆત કરી
સંવાદ કાર્યક્રમ દરમિયાન શહેરના ઉદ્યોગપતિઓએ ઔદ્યોગિક વિસ્તારોમાં રોડ, ટ્રાફિક વ્યવસ્થા, વીજ પુરવઠો, પાણી, કચરા વ્યવસ્થાપન અને રોકાણને પ્રોત્સાહન આપવા જેવા વિવિધ મુદ્દાઓ રજૂ કર્યા હતા. વેપાર અને ઉદ્યોગને વધુ અનુકૂળ વાતાવરણ મળે તે માટે સરકાર તરફથી જરૂરી સહયોગ અને ઝડપી નિર્ણય પ્રક્રિયાની પણ માંગ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: "ચિંતાની કોઈ વાત નથી, સર્ચ ઓપરેશન ચાલુ" : અમદાવાદમાં દીપડો દેખાવાની ઘટના પર અર્જુન મોઢવાડિયાનું મોટું નિવેદન
સરકાર-ઉદ્યોગ જગત વચ્ચે સંકલન મજબૂત બનાવવા પર ભાર
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્ય સરકાર ઉદ્યોગોને અનુકૂળ નીતિઓ અને ઝડપી વહીવટી પ્રક્રિયા દ્વારા રોકાણકારોને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે. વેપાર-ઉદ્યોગ જગત સાથે સતત સંવાદ જળવાઈ રહે અને તેમના પ્રશ્નોનું સમયસર નિરાકરણ આવે તે માટે સરકાર તમામ સૂચનો પર ગંભીરતાથી વિચારણા કરશે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ઉદ્યોગપતિઓએ પણ સરકાર સાથે આવા સંવાદ વધુ વાર યોજવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.






