ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન રાજકીય નિવેદનો વચ્ચે હવે આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો સિલસિલો તેજ બન્યો છે. કોંગ્રેસના નેતા ઇમરાન ખેડાવાલા દ્વારા સરકારના નિર્ણયોના વિરોધમાં મતદાન કરવાની અપીલ બાદ રાજ્યના DyCM હર્ષ સંઘવીએ કડક પ્રતિસાદ આપ્યો છે. સંઘવીએ આરોપ લગાવ્યો કે કેટલાક રાજકીય તત્વો ચૂંટણીને ધાર્મિક દિશામાં ધકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે લોકશાહી માટે યોગ્ય નથી.
હર્ષ સંઘવીએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે આ પ્રકારના પ્રયાસો નવા નથી, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી સુનિયોજિત રીતે ચાલી રહ્યા છે. તેમણે કહ્યું કે નાગરિકોએ આવા શડયંત્રોને ઓળખી પોતાના મતાધિકારનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. “લોકશાહીનો આ મહાપર્વ છે અને દરેક નાગરિકે વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવું જોઈએ,” એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું.
“ધર્મ આધારિત રાજનીતિથી દૂર રહેવાની જરૂર”
હર્ષ સંઘવીએ જણાવ્યું કે ચૂંટણીને ધર્મ આધારિત બનાવવા માટે કેટલાક તત્વો સતત પ્રયાસ કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે આ દ્રશ્યો રાજ્યના નાગરિકોએ પણ જોયા છે અને હવે સમય છે કે લોકો સમજદારીપૂર્વક નિર્ણય લે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોઈપણ પ્રકારની વિભાજનકારી રાજનીતિને પ્રોત્સાહન આપવું લોકશાહી માટે હાનિકારક છે.
સાથે જ તેમણે મતદારોને અપીલ કરી કે કોઈપણ પ્રભાવ કે પ્રચારથી દૂર રહીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. “એક પણ મત બાકી ન રહે તે દિશામાં સૌએ બહાર નીકળવું જોઈએ,” એમ તેમણે જણાવ્યું.
મતદાન કેન્દ્રો પર સુવિધાઓનો દાવો
DyCM એ વધુમાં જણાવ્યું કે રાજ્યભરમાં મતદાન પ્રક્રિયા સરળ અને શાંતિપૂર્ણ રીતે થાય તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મતદારોને કોઈપણ પ્રકારની અસુવિધા ન પડે તે માટે પ્રશાસન સજ્જ છે અને સુરક્ષા વ્યવસ્થાઓ પણ મજબૂત બનાવવામાં આવી છે.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે નાગરિકો મોટી સંખ્યામાં મતદાન કરીને લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવશે. રાજ્યમાં શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી યોજાય તે માટે પોલીસ અને પ્રશાસન સતત મોનીટરીંગ કરી રહ્યા છે.
સુરત દિકરી કેસ પર પણ પ્રતિક્રિયા
હર્ષ સંઘવીએ સુરતમાં બનેલી દિકરી સંબંધિત ઘટનાને લઈને પણ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે જ્યારે કોઈ દીકરી સાથે જોડાયેલી ઘટના હોય ત્યારે સરકાર સંપૂર્ણ ગંભીરતાથી તપાસ કરે છે. “આવા મામલાઓમાં કોઈ પણ પ્રકારની લાપરવાહી સહન કરવામાં નહીં આવે,” એમ તેમણે સ્પષ્ટ કર્યું.
તેમણે ઉમેર્યું કે સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોની સુરક્ષા અને ન્યાય સુનિશ્ચિત કરવાનો છે. પોલીસ તંત્રને પણ આવા કેસોમાં ઝડપથી અને નિષ્પક્ષ રીતે તપાસ કરવા સૂચનાઓ આપવામાં આવી છે.
આ પણ વાંચો:
રાજકીય ગરમાવો વચ્ચે મતદારો પર નજર
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાલ રાજકીય માહોલ ગરમાયો છે, જ્યાં એક તરફ વિકાસ અને શાસનની વાતો થઈ રહી છે તો બીજી તરફ આક્ષેપો અને પ્રતિકાર પણ જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિમાં મતદારો માટે સાચી માહિતીના આધારે નિર્ણય લેવું વધુ મહત્વપૂર્ણ બની ગયું છે.





