Home Gujarat Gujarat Latest News Updates And Weather Forecast 21 June 2026

LiveGujarat Live News Updates : આજે ગુજરાતમાં શું થયું? બ્રેકિંગ ન્યૂઝ, ટ્રાફિક, હવામાન અને રાજકીય હલચલના તમામ લાઈવ અપડેટ્સ

Gujarat Latest News Updates
Published by: OBS Bureau
Last Updated: Jun 21, 2026, 08:02 AM IST

Gujarat Latest News Updates: ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી સતત સક્રિય બનતાં આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 9 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાં અમરેલી જિલ્લામાં સૌથી વધુ 1.61 ઈંચ વરસાદ નોંધાયો હતો. બીજી તરફ અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતાં ગરમીનો અનુભવ પણ યથાવત રહ્યો છે.

લાઈવ અપડેટ્સ
57 મિનિટ પહેલા21 જૂન 2026

સૌરાષ્ટ્રના તમામ ડેમોમાં આગામી બે દિવસમાં નર્મદાના નીર પહોંચશે: મંત્રી કુંવરજી બાવળિયા

રાજકોટ: રાજકોટ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ચોમાસું ખેંચાવાના કારણે ખેડૂતોમાં વ્યાપેલી ચિંતા અંગે વાત કરતા મંત્રીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત કેબિનેટ બેઠકમાં ખેડૂતોના હિતમાં 'સૌની યોજના' (SAUNI Yojana) અંતર્ગત પાણી છોડવાનો મોટો નિર્ણય લીધો હતો. આ નિર્ણયના ભાગરૂપે હાલમાં નર્મદાનું પાણી કેનાલોમાં વહાવવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રના તમામ નાના-મોટા ડેમોમાં આગામી ૧ થી ૨ દિવસની અંદર નર્મદાના નીર પહોંચી જશે, જેથી ખેડૂતોને સિંચાઈ માટે મોટી રાહત મળશે.

07:32 AM21 જૂન 2026

ગુજરાતના ખેડૂતોને હવે 8ના બદલે 10 કલાક વીજળી મળશે, તળાવો ભરવાની મર્યાદા વધી

ગાંધીનગર: ખરીફ સીઝનમાં ખેડૂતો આયોજનબદ્ધ ખેતી કરી શકે અને તેમને સમયસર સિંચાઈનું પાણી મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. રાજ્યના કૃષિ વિષયક ફીડરોમાં હવે ખેડૂતોને ૮ કલાકના બદલે સતત ૧૦ કલાક વીજ પુરવઠો આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ, નાના ખેડૂતોના વ્યાપક હિતમાં નર્મદા કમાન્ડ એરિયાના તળાવો ભરવાની મર્યાદા ૩ કિલોમીટરથી વધારીને ૭ કિલોમીટર કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ ખેડૂતોને ઓન-ડીમાન્ડ વીજ પુરવઠો પૂરો પાડવા માટે તમામ ઊર્જા કંપનીઓને આગામી એક મહિના સુધી સંપૂર્ણ એક્ટિવ રહેવા અને આયોજન સુદ્રઢ કરવા કડક આદેશો આપ્યા છે.

07:19 AM21 જૂન 2026

અમદાવાદ એરપોર્ટ પોલીસનો સપાટો, ₹૧૨.૩૪ લાખના વિદેશી દારૂ સાથે રીઢો બુટલેગર ઝડપાયો

અમદાવાદ: શહેરને નશાના દૂષણથી મુક્ત કરવા માટે અમદાવાદ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત એરપોર્ટ પોલીસ સ્ટેશનને મોટી સફળતા મળી છે. એરપોર્ટ પોલીસ સ્ટાફ દ્વારા ભાટ ટોલટેક્સ પાસે સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જે દરમિયાન શંકાસ્પદ વાહનમાંથી ₹૧૨.૩૪ લાખની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે ગેરકાયદેસર હેરાફેરી કરી રહેલા એક રીઢા આરોપીની ઘટનાસ્થળેથી ધરપકડ કરીને મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે એરપોર્ટ પોલીસે ગુનો નોંધી દારૂ ક્યાંથી લવાયો હતો અને ક્યાં સપ્લાય કરવાનો હતો તે દિશામાં આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે.

07:17 AM21 જૂન 2026

અમદાવાદમાં NEET-UG પુનઃપરીક્ષા: વિદ્યાર્થીઓમાં મિશ્ર પ્રતિભાવ, પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા

NEET-UG પુનઃપરીક્ષાને લઈને આજે અમદાવાદના પરીક્ષા કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો છે. પરીક્ષા આપવા પહોંચેલા વિદ્યાર્થીઓમાં મિશ્ર પ્રતિભાવો જોવા મળ્યા હતા; કેટલાક વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ્યા હતા, તો કેટલાકમાં પુનઃપરીક્ષાને કારણે થોડી ઉત્તેજના જોવા મળી હતી. અમદાવાદના તમામ પરીક્ષા કેન્દ્રો પર પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષા પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે સીસીટીવી સર્વેલન્સ અને સઘન ચેકિંગ પર ભાર મૂકવામાં આવ્યો છે. તંત્ર દ્વારા ઉમેદવારો માટે તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે અને પરીક્ષાના નિયમોનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. હાલ સમગ્ર પ્રક્રિયા સુચારુ રીતે ચાલી રહી છે.

07:03 AM21 જૂન 2026

રાજકોટમાં બેકાબૂ કારનો કહેર, વૃદ્ધને મોપેડ સહિત હવામાં ફંગોળ્યા

રાજકોટઃ રાજકોટના રૈયા રોડ પર આજે સવારે બેકાબૂ વર્ના કારએ હાહાકાર મચાવ્યો હતો. આમ્રપાલી બ્રિજ પાસે પુરપાટ ઝડપે દોડતી કાર સ્પીડબ્રેકર પરથી ઉછળી મોપેડ પર જઈ ચઢતા વૃદ્ધ ચાલક ફંગોળાઈને રસ્તા પર પટકાયા હતા. અકસ્માત બાદ કારચાલકે ભાગવાનો પ્રયાસ કરતાં વધુ બે વાહનોને ટક્કર મારી હતી. આશરે 200 મીટર દૂર કાર સોસાયટીના બોર્ડ સાથે ધડાકાભેર અથડાતાં એરબેગ ખુલી ગઈ હતી. ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. એક વ્યક્તિ ઘાયલ થઈ સારવાર હેઠળ છે. કાર સગીર ચલાવતો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. પોલીસે તપાસ શરૂ કરી છે.

06:58 AM21 જૂન 2026

મોરબી: જેતપુરમાં વીજ પોલના વળતર મુદ્દે ખેડૂતો આક્રમક, આંદોલનની ચીમકી

મોરબીના જેતપુર પંથકમાં ખેડૂતો દ્વારા વીજ પોલના વળતર મુદ્દે સરકાર સામે વિરોધનો સૂર ઉઠાવવામાં આવ્યો છે. ખેતીની જમીનમાંથી પસાર થતી વીજ લાઈનો અને પોલ માટે ખેડૂતોને મળતું વળતર અપૂરતું હોવાની ફરિયાદ સાથે ખેડૂતોએ આક્રમક વલણ અપનાવ્યું છે. ખેડૂતોની મુખ્ય માંગ છે કે તેમને મળતું વળતર જમીનના વર્તમાન બજાર ભાવ મુજબ ચૂકવવામાં આવે. આ અંગે સ્થાનિક ખેડૂત આગેવાનો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે અને જો વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. હાલ ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં આ મામલો વધુ ગંભીર બને તેવી શક્યતા છે.

06:55 AM21 જૂન 2026

પાટણમાં શિક્ષણ અને વ્યસનમુક્તિના સંદેશ સાથે ભવ્ય રેલીનું આયોજન

પાટણ શહેરમાં આજે સામાજિક જાગૃતિ લાવવાના હેતુથી શિક્ષણ અને વ્યસનમુક્તિનો સંદેશ આપતી એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાજિક કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. હાથમાં પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે નીકળેલી આ રેલી પાટણના મુખ્ય માર્ગો પર ફરીને લોકોને વ્યસનમુક્ત જીવન જીવવા અને શિક્ષણના મહત્વને સમજવા માટે પ્રેરિત કર્યા હતા. તંત્ર અને સામાજિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢીને નશાખોરીથી દૂર રાખી ઉજ્જવળ ભવિષ્ય તરફ વાળવાનો છે. આ કાર્યક્રમમાં અગ્રણીઓની ઉપસ્થિતિએ રેલીમાં સહભાગીઓમાં અનેરો ઉત્સાહ ભર્યો હતો.

06:53 AM21 જૂન 2026

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી: ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં યોગાભ્યાસ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ખાતે આજે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. પૂર્ણેશ મોદીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકો જોડાયા હતા. 'યોગ ફોર હેલ્ધી એજિંગ' ની થીમ પર આધારિત આ કાર્યક્રમમાં યોગાભ્યાસ દ્વારા નિરોગી અને સક્રિય જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. એકતા નગરના રમણીય વાતાવરણ વચ્ચે પ્રકૃતિના ખોળે સૌએ સાથે મળીને યોગ કર્યા હતા. મંત્રીએ આ પ્રસંગે યોગને જીવનશૈલીનો અભિન્ન હિસ્સો બનાવવાની અપીલ કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેની આ ભવ્ય ઉજવણી પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી.

06:50 AM21 જૂન 2026

ગોધરામાં ઝુડિયો શોરૂમ પાસે દોડતી કારમાં ભીષણ આગ: સદનસીબે મોટી જાનહાનિ ટળી

ગોધરા શહેરમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ઝુડિયો શોરૂમ નજીક એક ચાલતી સ્વિફ્ટ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં કાર આગના ગોળામાં ફેરવાઈ જતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે, કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી જવામાં સફળ રહ્યા હોવાથી મોટી જાનહાનિ ટળી છે. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું મનાઈ રહ્યું છે. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

06:47 AM21 જૂન 2026

હિંમતનગરમાં કરોડોના વિકાસ કાર્યોની સમીક્ષા: વી.ડી. ઝાલા દ્વારા વિકાસ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ

સાબરકાંઠાના હિંમતનગરમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની ગતિ અને ગુણવત્તાની સમીક્ષા કરવા માટે વી.ડી. ઝાલા દ્વારા ખાસ મુલાકાત લેવામાં આવી હતી. શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે હાથ ધરવામાં આવેલા આ વિકાસ પ્રોજેક્ટ્સ અંતર્ગત રસ્તાઓ, જાહેર સુવિધાઓ અને માળખાગત સુવિધાઓના કામોનું સ્થળ પર જ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સમીક્ષા દરમિયાન પ્રોજેક્ટ્સમાં વિલંબ ટાળવા અને કામગીરી નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા હિંમતનગરના સર્વાંગી વિકાસ માટે આ પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, જેથી નાગરિકોને સુવિધા મળી રહે.

06:46 AM21 જૂન 2026

સુરત: માંગરોળમાં 47 આદિવાસી પરિવારોની ઘરવાપસી, વિધિવત રીતે હિન્દુ ધર્મ અંગીકાર કર્યો

સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આજે એક નોંધપાત્ર ઘટના સામે આવી છે, જેમાં 47 આદિવાસી પરિવારોએ સ્વેચ્છાએ પોતાના મૂળ ધર્મ એટલે કે હિન્દુ ધર્મમાં પરત ફરીને 'ઘરવાપસી' કરી છે. આદિવાસી સમાજના આ પરિવારો દ્વારા આયોજિત એક વિશેષ ધાર્મિક કાર્યક્રમમાં વિધિવત પૂજા-અર્ચના સાથે હિન્દુ ધર્મ અંગીકાર કરવામાં આવ્યો હતો. સ્થાનિક આગેવાનો અને ધર્મગુરુઓની ઉપસ્થિતિમાં સંપન્ન થયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં આ 'ઘરવાપસી'ની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

06:45 AM21 જૂન 2026

રાજકોટમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અનોખી ઉજવણી: 'એક્વા યોગા' સાથે મ્યુઝિકલ થીમ આકર્ષણનું કેન્દ્ર

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજકોટમાં આજે વિવિધ સ્થળોએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 'એક્વા યોગા' અને મ્યુઝિકલ થીમ આધારિત યોગ સત્રોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. યોગને વધુ રસપ્રદ અને પ્રભાવશાળી બનાવવા માટે શહેરના વિવિધ યોગ ક્લાસીસ દ્વારા પાણીમાં યોગાભ્યાસ અને સંગીતની સુરાવલીઓ સાથેના ધ્યાન સત્રો યોજવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો અને વરિષ્ઠ નાગરિકોએ આ કાર્યક્રમોમાં જોડાઈને નિરોગી જીવનનો સંદેશ આપ્યો હતો. આ નવીનતમ અભિગમ દ્વારા યોગને ફિટનેસની સાથે મનોરંજન સાથે જોડીને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જે રાજકોટની યોગ દિવસની ઉજવણીમાં આ વર્ષે મુખ્ય આકર્ષણ બની રહ્યો છે.

06:44 AM21 જૂન 2026

ગોધરામાં ગમખ્વાર અકસ્માત: ઓલ્ટો કાર પલટી જતાં 2 ના મોત, 2 ઘાયલ

પંચમહાલના ગોધરામાં આજે એક દુઃખદ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક ઓલ્ટો કાર અનિયંત્રિત બનીને પલટી જતાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી રહી છે અને ઇજાગ્રસ્તોની તબિયત અંગે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

06:25 AM21 જૂન 2026

ગુજરાત અંગે આગામી 7 દિવસની હવામાનની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આવતીકાલથી (22 જૂન) વરસાદનું જોર માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પૂરતું સીમિત રહેશે.

21 અને 22 જૂન: ઉત્તર ગુજરાતના ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ અને દાહોદમાં; દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં અને સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતના બાકીના જિલ્લાઓ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે.

24થી 26 જૂન: વરસાદી ગતિવિધિઓ ઘટશે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં હવામાન સૂકું થઈ જશે. માત્ર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ (વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી)માં અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તેમજ દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે.

06:22 AM21 જૂન 2026

આજે ગુજરાતમાં ક્યાં-ક્યાં પડી શકે છે વરસાદ?

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને આગામી દિવસોમાં તેના વધુ વિસ્તરણ માટે અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. હાલ ચોમાસાની ઉત્તરીય સીમા મહારાષ્ટ્ર, તેલંગાણા અને પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાંથી પસાર થઈ રહી છે. IMDના અમદાવાદ કેન્દ્રના તાજેતરના બુલેટિન મુજબ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજની શક્યતા યથાવત છે. આજે ઉત્તર ગુજરાતના ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા-નગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવ જિલ્લામાં વરસાદી ઝાપટાં પડી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now