ગાંધીનગર સુધી કિસાન રેલીના આયોજન અને અમદાવાદમાં સર્જાયેલા વિવાદ વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે હંમેશા ઉદાર મનથી કામ કર્યું છે અને રાજ્ય સરકાર સતત ખેડૂત હિતને કેન્દ્રમાં રાખીને નિર્ણયો લઈ રહી છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં કૃષિ, સિંચાઈ, વીજ પુરવઠો, ગ્રામ વિકાસ અને ખેડૂત કલ્યાણ સંબંધિત અનેક મહત્વપૂર્ણ પગલાં લીધા છે. તેમના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર ખેડૂતોની સમસ્યાઓને સંવેદનશીલતાથી સાંભળે છે અને તેના ઉકેલ માટે પરિણામલક્ષી અભિગમ અપનાવે છે.
500થી વધુ મેગા પ્રોજેક્ટ્સથી બદલાઈ જશે આખા ગુજરાતની તસવીર: વિકસિત ગુજરાત 2047: 3.5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાનો સરકારનો માસ્ટર પ્લાન જાહેર
કિસાન અધિકાર યાત્રા દરમિયાન સર્જાયો વિવાદ
બીજી તરફ કોંગ્રેસ દ્વારા આયોજિત કિસાન અધિકાર યાત્રા દરમિયાન અમદાવાદના ઓગણજ વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. યાત્રા દરમિયાન કેટલાક ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો વધુ ગરમાયો હોવાનું સામે આવ્યું છે.
સ્થળ પરથી મળતી માહિતી મુજબ કેટલાક ખેડૂતો દ્વારા કોંગ્રેસ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. ખેડૂતોનો દાવો હતો કે તેમને કોંગ્રેસની સભામાં હાજરી આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. આ મુદ્દે બંને પક્ષ વચ્ચે ઉગ્ર વાદવિવાદ સર્જાયો હતો અને ત્યારબાદ માથાકૂટ જેવી સ્થિતિ ઊભી થઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
ઘટનાને કારણે યાત્રાનો માહોલ અચાનક તંગ બની ગયો હતો અને વિસ્તારમાં પોલીસને પણ સક્રિય થવું પડ્યું હતું. જોકે કોંગ્રેસ અને ખેડૂતોના કેટલાક પ્રતિનિધિઓ દ્વારા ઘટનાને લઈને અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે.
ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં કોંગ્રેસ-AAP વચ્ચે બાકાઝીકી!: "રાહુલ ગાંધીના ઇશારે આંદોલનને હાઈજેક કરી તૈયાર ભાણે બેસવા માંગે છે કોંગ્રેસ", AAPનો આક્ષેપ
ગાંધીનગર કૂચ દરમિયાન પોલીસ-ખેડૂતો વચ્ચે ઘર્ષણ
આ દરમિયાન ખેડૂતો દ્વારા ગાંધીનગર તરફ કૂચ માટે ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતો પોતાની માંગણીઓ સાથે ગાંધીનગર પહોંચવાની જીદ પર અડગ રહ્યા હતા, જ્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસે તેમને રોકવાના પ્રયાસો કર્યા હતા.
અમદાવાદ રિંગ રોડ વિસ્તારમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે સીધો સામનો જોવા મળ્યો હતો. પરિસ્થિતિ નિયંત્રણમાં રહે તે માટે પોલીસે માર્ગ અવરોધવાના પ્રયાસો કર્યા હતા. કેટલાક સ્થળોએ JCB મશીન આડું રાખીને ખેડૂતોની આગળ વધવાની દિશા રોકવામાં આવી હતી.
ખેડૂતો દ્વારા વિરોધ ચાલુ રાખવામાં આવતા તણાવપૂર્ણ દૃશ્યો સર્જાયા હતા. મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું અને સમગ્ર ઘટનાક્રમ પર સતત નજર રાખવામાં આવી રહી હતી.
ખેડૂત રેલીમાં કોંગ્રેસના ટ્રેક્ટર સામે મેદાનમાં ઉતર્યું પોલીસનું JCB!: ગાંધીનગર જતાં પહેલા રસ્તામાં જ થઈ ગઈ જોવા જેવી
રાજકીય આક્ષેપ-પ્રત્યારોપનો દોર શરૂ
આ ઘટનાએ રાજ્યના રાજકીય માહોલમાં ગરમાવો વધારી દીધો છે. એક તરફ કોંગ્રેસ ખેડૂતોના હકો અને પ્રશ્નોને લઈને સરકાર સામે આક્રમક વલણ અપનાવી રહી છે, તો બીજી તરફ સરકારના નેતાઓ ખેડૂતો માટે લેવામાં આવેલા નિર્ણયો અને યોજનાઓનો ઉલ્લેખ કરીને કોંગ્રેસના આક્ષેપોને ફગાવી રહ્યા છે.
હર્ષ સંઘવીના નિવેદન બાદ હવે આ મુદ્દો માત્ર ખેડૂત આંદોલન પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ રાજકીય આક્ષેપ-પ્રત્યારોપનું કેન્દ્ર પણ બની ગયો છે. બંને પક્ષો ખેડૂતોના હિતની વાત કરી રહ્યા છે, ત્યારે ખેડૂતોના વાસ્તવિક પ્રશ્નો અને માંગણીઓ આગામી દિવસોમાં ચર્ચાનો મુખ્ય વિષય બની શકે છે.
રાજ્ય સરકારનું કહેવું છે કે ખેડૂતોના કલ્યાણ માટે વિવિધ સ્તરે સતત કામગીરી થઈ રહી છે, જ્યારે વિરોધ પક્ષ સરકારના દાવાઓ સામે પ્રશ્નો ઉઠાવી રહ્યો છે. આવી સ્થિતિમાં ગાંધીનગર કૂચ અને તેની આસપાસ સર્જાયેલા ઘટનાક્રમ પર હવે સમગ્ર રાજ્યની નજર ટકેલી છે.






