અમદાવાદ: 26 જુલાઈ, 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટના ચુકાદા બાદ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેને દેશના ઇતિહાસના સૌથી મહત્વપૂર્ણ ન્યાયિક ચુકાદાઓમાંનો એક ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે આ ચુકાદો માત્ર અમદાવાદ અથવા ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારત અને વિશ્વના તમામ શાંતિપ્રિય દેશો માટે પણ મહત્વપૂર્ણ છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમના જણાવ્યા મુજબ હાઈકોર્ટના ચુકાદાથી પીડિત પરિવારો, અમદાવાદના નાગરિકો અને સમગ્ર રાજ્યને ન્યાય મળ્યો છે.
આ પણ વાંચો: 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ : જાણો ગોધરાકાંડ બાદના રમખાણોનો બદલો લેવા કેરલના જંગલોમાં કઈ રીતે રચાયું હતું આતંકી ષડયંત્ર
"38ને ફાંસી અને 11ને આજીવન કેદની સજાની બહાલી"
ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે હાઈકોર્ટે નીચલી અદાલતના ચુકાદાને યથાવત રાખતા 38 દોષિતોને ફાંસીની સજા અને 11 દોષિતોને આજીવન કેદની સજાની બહાલી આપી છે. તેમણે આ નિર્ણયને દેશના ઇતિહાસમાં આતંકવાદ સામેની સૌથી મોટી કાયદાકીય જીતોમાંની એક ગણાવ્યો.
તેમણે કહ્યું કે આ પ્રકારનો ચુકાદો કોઈ સામાન્ય નિર્ણય નથી, પરંતુ વર્ષો સુધી ચાલેલી તપાસ, પુરાવાઓના સંગ્રહ અને કાયદાકીય પ્રક્રિયાના પરિણામરૂપ આવ્યો છે. તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની ભૂલ કે ખામી ન રહે તે માટે તપાસ એજન્સીઓએ લાંબા સમય સુધી સતત કામગીરી કરી હતી.
તપાસ ટીમ અને ન્યાયતંત્રનો વ્યક્ત કર્યો આભાર
હર્ષ સંઘવીએ હાઈકોર્ટ, નીચલી અદાલત, તપાસ અધિકારીઓ અને સમગ્ર જસ્ટિસ ડિપાર્ટમેન્ટનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે તેમની મહેનતના કારણે પીડિત પરિવારોને ન્યાય મળ્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે આ ચુકાદો આતંકવાદી તત્વો માટે સ્પષ્ટ સંદેશ છે કે ભારતમાં આતંકવાદ માટે કોઈ સ્થાન નથી. તેમના મતે આતંકવાદ સામે ચાલી રહેલી વૈશ્વિક લડાઈમાં આ ચુકાદો કાયદાકીય દૃષ્ટિએ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.
આ પણ વાંચો: 2008 Ahmedabad Serial Blast; 70 મિનિટ...21 બ્લાસ્ટ...56 મોત : 26 જુલાઈ, 2008... અમદાવાદની એ કાળમુખી સાંજ જેણે આખા શહેરને કર્યું હતું લોહીલુહાણ
સહાયની રકમ તાત્કાલિક ચૂકવાશે
હર્ષ સંઘવીએ જણાવ્યું કે હાઈકોર્ટ દ્વારા સિરિયલ બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ₹10 લાખની સહાય તથા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા લોકોને ₹5 લાખની સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર હાઈકોર્ટના આદેશનો તાત્કાલિક અમલ કરીને લાભાર્થીઓને સહાયની રકમ ચૂકવશે.
તેમણે અંતમાં જણાવ્યું કે રાજ્ય સરકાર પીડિત પરિવારોની સાથે છે અને ન્યાયિક પ્રક્રિયાના અમલ માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે.





