Ambalal Patel Weather Forecast: ગુજરાતમાં ઉનાળાની શરૂઆત વચ્ચે હવામાનમાં મોટો પલટો આવવાના સંકેતો મળી રહ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 20 દિવસ માટે રાજ્ય સહિત દેશના વિવિધ ભાગોમાં કુદરતી આફતની ચેતવણી આપી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 28 માર્ચથી એક અત્યંત મજબૂત 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ' સક્રિય થઈ રહ્યું છે, જેની અસર હેઠળ ગુજરાતમાં ધૂળની ડમરીઓ સાથે તોફાની પવન ફૂંકાશે અને અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ (માવઠું) થવાની શક્યતા છે. આ કુદરતી ફેરફારોને કારણે ખેતીના પાકોને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
60 થી 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન: વાવાઝોડા જેવી સ્થિતિ
અંબાલાલ પટેલની આગાહી મુજબ, રાજસ્થાનમાં 60 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેની સીધી અસર ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારોમાં જોવા મળશે. ગુજરાતના અન્ય ભાગોમાં પણ 50 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ પવન એટલો પ્રચંડ હોઈ શકે છે કે દેશના કેટલાક ભાગોમાં કાચા મકાનોના છાપરા પણ ઉડી જાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ભારે પવનને કારણે વીજ લાઈનોને નુકસાન થવાથી મોટા પાયે 'વીજ કપાત' (Power Cut) થવાની પણ શક્યતા છે.
કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠાની આશંકા
28 માર્ચથી 3 એપ્રિલ દરમિયાન બેક-ટુ-બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. આ દરમિયાન ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, કચ્છ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે. પશ્ચિમ કેરળના ભાગોમાં પણ તેની વ્યાપક અસર જોવા મળશે. આ સિવાય 8 થી 16 એપ્રિલ દરમિયાન પણ વધુ એક પશ્ચિમી વિક્ષેપ દેશના હવામાનને વેરવિખેર કરી શકે છે.
ખેડૂતો માટે 'માઠા' સમાચાર: આંબાના પાકને ખતરો
આગામી 20 દિવસ ખેડૂતો માટે અત્યંત મુશ્કેલીભર્યા સાબિત થઈ શકે છે. ખાસ કરીને કેરીના પાક (આંબા) ને આ તોફાની પવન અને કમોસમી વરસાદથી ભારે નુકસાન થવાની ભીતિ છે. મેઘગર્જના અને કરા પડવાની શક્યતાને જોતા રવિ પાક અને બાગાયતી પાકોને બચાવવા ખેડૂતોએ અત્યારથી જ સાવચેતી રાખવી જરૂરી છે. પવનની ગતિ વધુ હોવાથી ઉભા પાકને જમીનદોસ્ત થવાનું જોખમ પણ રહેલું છે.





