Home Gujarat Gujarat Monsoon Sowing Cotton Crop Farmers Nadiad Rain

ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી સાથે વાવણીને વેગ : 4.27 લાખ હેક્ટરમાં પાક વાવેતર; ક્યાંક વરસાદ રાહત તો ક્યાંક પાણીની સમસ્યા

વાવતો ખેડૂતો
Published by: Chintan Chavda
Last Updated: Jun 19, 2026, 10:36 AM IST

ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે જ ખેતીકામની પ્રવૃત્તિઓમાં તેજી આવી છે. રાજ્યભરના ખેડૂતોમાં નવા પાકની વાવણીને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, ચોમાસાની શરૂઆત વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ખેડૂતોને પાણી અને વીજળીની સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને જ્યાં સિંચાઈ માટે કેનાલ અથવા અન્ય જળસ્રોતો પર નિર્ભરતા વધુ છે, ત્યાં ખેડૂતો વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મુખ્યત્વે કપાસ, ડાંગર અને શાકભાજીના પાકનું વાવેતર કરવામાં આવે છે. કેટલાક ખેડૂતો પાસે સિંચાઈની સુવિધા ઉપલબ્ધ હોવાથી તેમણે વાવણી શરૂ કરી દીધી છે, જ્યારે પાણીની અછત ધરાવતા ખેડૂતો હજુ વરસાદની રાહ જોઈ રહ્યા છે.

ખેડૂતો માટે વરસાદ આશીર્વાદ પણ પડકાર પણ

ખેડૂત દિલીપભાઈના જણાવ્યા અનુસાર વિસ્તારમાં અંદાજે 30થી 40 ટકા જેટલી વાવણી પૂર્ણ થઈ ચૂકી છે. મુખ્યત્વે કપાસ અને ડાંગરના પાકનું વાવેતર થઈ રહ્યું છે. કેટલાક ખેડૂતો દ્વારા ડાંગરની ધરુવાડીઓ પણ તૈયાર કરવામાં આવી છે, જ્યારે અમુક ખેડૂતો સોયાબીનના પાક તરફ પણ વળ્યા છે.

તેમણે જણાવ્યું કે જે ખેડૂતો પાસે પાણીની વ્યવસ્થા છે તેઓએ વાવણી કરી લીધી છે, પરંતુ પાણીના અભાવે ઘણા ખેડૂતો વરસાદ પર નિર્ભર છે. મિયાગામ બ્રાન્ચની માઇનોર કેનાલ વિસ્તારમાં હોવા છતાં છેલ્લા ત્રણ વર્ષથી તેમાં પાણી ન આવતાં ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. જોકે, વિસ્તારમાં વીજળીની સમસ્યા પ્રમાણમાં ઓછી હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચો: 'હું ખેડૂતો માટે કામ કરું છું' એમ કહી અંબાલાલે કરી વરસાદની મોટી આગાહી : ગુજરાતના આ વિસ્તારો માટે આગામી 4 કલાક ભારે

નડિયાદમાં વરસાદથી પાણી ભરાયા, ટ્રાફિક જામની સ્થિતિ

બીજી તરફ ખેડા જિલ્લાના નડિયાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં બુધવારે મોડી રાત્રે નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે શહેરના અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જિલ્લામાં ગળતેશ્વર અને કપડવંજ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.

નડિયાદ શહેરમાં આશરે 23 મીમી વરસાદ પડતાં મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વહેલી સવારે શાળા, કોલેજ અને નોકરી-ધંધે જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદી પાણી ભરાતા અનેક વાહનચાલકો રસ્તામાં અટવાઈ ગયા હતા.

આઇકોનિક રોડની કામગીરી વચ્ચે વધ્યો ટ્રાફિકનો પ્રશ્ન

શહેરના ઉત્તરસંડા રોડ પર હાલમાં આઇકોનિક રોડ પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી હોવાથી માર્ગના કેટલાક ભાગોમાં વાહનવ્યવહાર એકતરફી કરવામાં આવ્યો છે. વરસાદ બાદ આ વિસ્તારમાં પાણી ભરાઈ જતાં ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બની હતી.

ટ્રાફિક જામના કારણે વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ રોજિંદા મુસાફરી કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે વરસાદી સિઝન દરમિયાન ચાલુ વિકાસકાર્યોને કારણે પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર બની રહી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : અમદાવાદથી ગાંધીનગર અને કડી સુધી વરસાદી માહોલ

રાજ્યમાં વાવેતરના આંકડાઓમાં નોંધપાત્ર વધારો

ગુજરાત કૃષિ વિભાગના પ્રાથમિક આંકડા મુજબ જૂન-2026 દરમિયાન રાજ્યમાં કુલ 4,27,152 હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં 3,41,188 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું. આમ, ચાલુ વર્ષે વાવેતરના ક્ષેત્રફળમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.

આંકડા દર્શાવે છે કે રાજ્યમાં ખેડૂતોનો સૌથી વધુ ઝોક કપાસના પાક તરફ રહ્યો છે. અત્યાર સુધીમાં 2,39,885 હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર નોંધાયું છે. જ્યારે 1,36,541 હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનો માર! : પંચમહાલમાં જળબંબાકાર! કાલોલમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત

કપાસ અને મગફળી ખેડૂતોની પ્રથમ પસંદ

કૃષિ વિભાગના આંકડા મુજબ ધાન્ય પાકોનું 3,613 હેક્ટર વિસ્તારમાં, કઠોળ પાકોનું 673 હેક્ટર વિસ્તારમાં અને તેલીબિયાં પાકોનું કુલ 1,37,473 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. કપાસ અને મગફળીના વાવેતરમાં થયેલો વધારો ખેડૂતોના બજાર આધારિત પાક પસંદગીના વલણને પણ દર્શાવે છે.

ચોમાસું આગળ વધતાં વરસાદની સ્થિતિ વધુ સ્પષ્ટ થશે અને તેના આધારે વાવેતરના આંકડામાં પણ વધારો થવાની શક્યતા છે. જોકે, કેનાલોમાં પાણીની અછત અને કેટલાક વિસ્તારોમાં સિંચાઈની સમસ્યા ખેડૂતો માટે હજુ પણ ચિંતાનો વિષય બની રહી છે.

રાજ્યમાં ચોમાસાની શરૂઆત સાથે એક તરફ ખેડૂતોમાં આશા અને ઉત્સાહનો માહોલ છે, તો બીજી તરફ વરસાદી પાણી ભરાવા અને સિંચાઈની સમસ્યાઓ તંત્ર માટે પડકારરૂપ બની રહી છે. આગામી દિવસોમાં વરસાદની ગતિ અને વિતરણ રાજ્યના કૃષિ ક્ષેત્ર માટે નિર્ણાયક સાબિત થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now