વડોદરા શહેરમાં મહાનગરપાલિકાની દબાણ હટાવવાની કામગીરી દરમિયાન સ્થાનિકો અને અધિકારીઓ વચ્ચે તણાવભર્યો માહોલ સર્જાયો હતો. વોર્ડ નંબર-5 વિસ્તારમાં આવેલા ઠેકરનાથ મંદિર નજીક રસ્તા પર આવેલી દશામાની ડેરી દૂર કરવા માટે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ પહોંચતા સ્થાનિક રહીશોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. આસ્થા સાથે જોડાયેલા સ્થળને દૂર કરવાની કાર્યવાહી સામે મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં ઘટનાસ્થળે ભારે હોબાળો મચ્યો હતો.
માહિતી અનુસાર વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાએ રસ્તા પર આવેલા દબાણો દૂર કરવાની ઝુંબેશ અંતર્ગત ઠેકરનાથ મંદિર પાસે આવેલી દશામાની ડેરીને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે ડેરીને સ્થાનિક લોકો માત્ર એક માળખું નહીં પરંતુ ધાર્મિક આસ્થાનું પ્રતીક ગણાવતા હોવાથી આ કામગીરી સામે વિરોધ શરૂ થયો હતો. થોડા જ સમયમાં મોટી સંખ્યામાં રહીશો ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા અને મહાનગરપાલિકાની ટીમ સામે સૂત્રોચ્ચાર કરી કામગીરી રોકવાની માંગ કરી હતી.
સ્થાનિકોમાં રોષ, પોલીસને દખલ કરવી પડી
સ્થાનિકોના વધતા વિરોધને પગલે પરિસ્થિતિ તંગ બની હતી. દબાણ શાખાના કર્મચારીઓ અને સ્થાનિક લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી તથા રકઝકના દૃશ્યો સર્જાયા હતા. સ્થિતિ વધુ બગડે તે પહેલાં પાણીગેટ પોલીસ મથકની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જરૂરી બંદોબસ્ત ગોઠવ્યો હતો.
સ્થાનિક રહીશ સંતોષ માછીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે દશામાની ડેરી વર્ષોથી અહીં આવેલી છે અને સ્થાનિક લોકોની ધાર્મિક લાગણીઓ સાથે જોડાયેલી છે. તેમણે આ કાર્યવાહી અંગે અસંતોષ વ્યક્ત કરતાં મહાનગરપાલિકા દ્વારા લોકોની લાગણીને અવગણવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્થળ પર પહોંચ્યા
પરિસ્થિતિ વધુ ઉગ્ર બનતાં વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવર પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે સ્થાનિક લોકો સાથે ચર્ચા કરી અને દબાણ દૂર કરવાની જરૂરિયાત સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. મહાનગરપાલિકાના નિયમો અને જાહેર માર્ગ પરના દબાણોને લઈને તેમણે લોકોને સમજાવટ આપવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે સ્થાનિકો પોતાના નિર્ણય પર અડગ રહ્યા હતા. લોકોનું કહેવું હતું કે દશામાની ડેરી માત્ર એક માળખું નહીં પરંતુ તેમની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. જેના કારણે સુરેશ તુવરની સમજાવટ છતાં લોકો શાંત થયા નહોતા અને કેટલાક લોકોએ તેમનો પણ વિરોધ કર્યો હતો.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં નિયમિત રીતે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે અને જાહેર માર્ગો પરના ગેરકાયદે દબાણો દૂર કરવાના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. તેમણે લોકોને કાયદાકીય પ્રક્રિયા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો: ગીર ઈકો ટુરિઝમ ઝોન આ દિવસથી પ્રવાસીઓ માટે બંધ : દેવળીયા સફારી પાર્ક યથાવત્ ખુલ્લો રહેશે
કાઉન્સિલરો પણ પહોંચ્યા, છતાં કાર્યવાહી અટકી નહીં
આ સમગ્ર ઘટનાની જાણ થતાં વોર્ડ નંબર-5ના સ્થાનિક કાઉન્સિલરો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. કાઉન્સિલરોએ મહાનગરપાલિકાના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી કે દશામાની ડેરીને તોડવામાં ન આવે અને લોકોની લાગણીઓનો માન રાખવામાં આવે. તેમણે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવર સાથે ચર્ચા કરી કામગીરી અટકાવવાની માંગ પણ કરી હતી.
તેમ છતાં મહાનગરપાલિકાના અધિકારીઓએ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ રાખી હતી અને અંતે દશામાની ડેરીને દૂર કરવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ સ્થાનિકોમાં વધુ અસંતોષ જોવા મળ્યો હતો. જોકે પોલીસની હાજરીને કારણે કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી.
નવી ડેરીના નિર્માણની બાહેધરી
દશામાની ડેરી તોડી પાડવામાં આવ્યા બાદ વોર્ડ નંબર-5ના મ્યુનિસિપલ કાઉન્સિલર મનોજ શાહે સ્થાનિકોને આશ્વાસન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે અને સ્થાનિક લોકોની લાગણીઓને ધ્યાનમાં રાખીને યોગ્ય સ્થળે નવી ડેરીના નિર્માણ માટે પ્રયાસ કરવામાં આવશે.
મનોજ શાહે કહ્યું હતું કે લોકોની ધાર્મિક લાગણીઓ અને આસ્થાને જાળવી રાખવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે. સાથે જ મહાનગરપાલિકા અને સ્થાનિકો વચ્ચે સંકલન સાધીને આ મુદ્દાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
હાલ સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ચર્ચા ચાલી રહી છે. એક તરફ મહાનગરપાલિકા જાહેર માર્ગો પરથી દબાણ દૂર કરવાની કાર્યવાહીનો બચાવ કરી રહી છે, તો બીજી તરફ સ્થાનિક લોકો ધાર્મિક આસ્થાના કેન્દ્રને દૂર કરવાના નિર્ણયથી નારાજ દેખાઈ રહ્યા છે. હવે આ મામલે આગળ શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.





