Today Weather Update: ભરઉનાળે હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. જોકે, બુધવારે રાત્રે પડેલાં ભારે વરસાદને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં હાલ પરિસ્થિતિ વિકટ બની છે. ખાસ કરીને ભારે વરસાદને કારણે અમદાવાદના કાલુપુરમાં આવેલ જર્જિરત મકાન ધરાશાયી થતાં એક મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે રાજ્યના મહીસાગર જિલ્લાના ખાનપુરમાં આવેલાં ભાદરોડ ગામે મકાન ધરાશાયી થતાં ખેડૂતનું મોત થયું હોવાની ઘટના પણ સામે આવી છે.
ઉલ્લએખનીય છેકે, અમદાવાદના રીલીફ રોડ પર આવેલ ધનાસુથારની પોળમાં ભારે પવનના કારણે બુધવારે મોડી રાત્રે બે માળનું મકાન ધારાશાયી થયું હતું. જેમાં બે મહિલા કાટમાળ નીચે દટાઈ હતી. જેમાંથી એક મહિલાને રેસક્યુ કરીને બચાવી લેવામાં આવી છે, જ્યારે અન્ય એક 30 વર્ષની મહિલાનું કાટમાળમાં દબાઈ જવાથી મોત નિપજ્યું છે. ધનાસુથાર ની પોળમાં ગજ્જરના ખાંચા પાસે મોડી રાત્રે આ મકાન ધરાશાયી થયું હતું. આ ઉપરાંત મકાન ધરાશાયી થતાં બે મહિલાઓ ફસાઈ હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ દુર્ઘટનાસ્થળ પર પહોંચી હતી. તેમજ મકાન જુનું અને જર્જરીત હતું. આ ઉપરાંત 30 વર્ષની મહિલા પર પિલ્લર પડ્યો હતો. ત્યારે બીજી તરફ 70 વર્ષની વૃદ્ધાને બચાવી લેવામાં આવી હતી. આ મકાન અંગે AMC દ્વારા વઘુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત ગઈકાલે રાત્રએ પડેલાં ભારે વરસાદને પગલે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, નવસારી, વલસાડ, સહિતના જિલ્લાઓમાં અનેક વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયાં છે…અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે આજે સવારથી પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી બેથી ત્રણ દિવસ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં વરસાદી કહેરનું રાઉન્ડઅપઃ
અમદાવાદના નરોડા, નિકોલ, ઓઢવ, બાપુનગર સહિત પૂર્વના પટ્ટામાં ભરાયા પાણી
મહેસાણા જિલ્લાના બેચરાજી-શંખલપુર અંડરબ્રિજમાં પાણી ભરાયા
ઊંઝા અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા ટ્રક ફસાઈ
અરવલ્લી જિલ્લામાં અનેક વૃક્ષો ધરાશાયી, મકાનોના પતરા ઉડ્યા
નર્મદા જિલ્લામાં ખેડૂતોને નુકસાન
પંચમહાલ જિલ્લાના ગોધરામાં જાહેર માર્ગો પર પાણી ભરાયા
પાટણમાં રેલવે ગરનાળામાં પાણી ભરાયા
પાલનપુરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં
આજે ક્યાં જિલ્લામાં કરાઈ છે વરસાદની આગાહી? હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાત રાજ્યના અમરેલી, વડોદરા, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને પણ અપાઈ છે દરિયો ન ખેડવાની સુચનાઃ પશ્ચિમ રાજસ્થાન અપર એર સાઇકલોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી આ સ્થિતિ સર્જાઈ છે. એ સિવાય ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 મેથી 1 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન આપવામાં આવ્યું છે. દરિયાકાંઠામાં 40થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.






