ગુજરાત સરકારે ખેડૂતોની મગફળીની રેકોર્ડબ્રેક ખરીદી કરી છે. બજાર ભાવ કરતા ટેકાના ભાવ વધારે મળતા જગતના તાતે રાહતનો શ્વાસ લીધો છે. રાજ્ય સરકારે જ્યારથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરી ત્યારથી અત્યાર સુધી 2.98 લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. 6,700 કરોડ ખર્ચીને કુલ 10 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરી છે. ના માત્ર મગફળી પરંતુ રાજ્યના 20,500થી વધુ ખેડૂતો પાસેથી રૂ. 252 કરોડના ખર્ચે કુલ 51,100 મેટ્રિક ટનથી વધુ સોયાબીનની ખરીદી પણ ટેકાના ભાવે કરવામાં આવી છે.
બજાર કરતા વધારે ટેકાના ભાવ
ગુજરાતના નોંધણી કરાયેલા ખેડૂતો પાસેથી રાજ્યસરકાર 8 ફેબ્રુઆરી સુધી મગફળી અને સોયાબીનની ખરીદી કરશે. રાજ્યસરકારે અત્યાર સુધી મગફળી માટે 2.32 લાખ ખેડૂતોને રૂ.5,172 કરોડ તો સોયાબીન માટે 17 હજાર ખેડૂતોને રૂ.210 કરોડ ચૂકવ્યા છે. રાજ્યભરમાં મગફળી, સોયાબીન સહિતના ખરીફ પાકોની ખરીદી પૂરજોશમાં ચાલી રહી છે. મહત્વનું છે કે ખરીફ પાકોનું વાવેતર પહેલા જ ટેકાના ભાવ જાહેર કર્યા હતા. બજાર કરતા ટેકાના ભાવ વધારે મળવાથી ગુજરાતના ખેડૂતોએ મગફળી સહિતના પાકનું સરકારને વેચાણ કર્યું છે. ખેડૂતોને સારા ભાવ મળવાના કારણે મગફળીનું રેકોર્ડબ્રેક વેચાણ થયું છે.
મગફળીનું રેકોર્ડબ્રેક વાવેતર
કૃષિમંત્રી રાઘવજી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ વર્ષે મગફળી પાકનું કુલ 18.80 લાખથી વધુ હેકટરમાં રેકોર્ડબ્રેક વાવેતર થયું હતું, જે ગત વર્ષની સરખામણીએ 2.5 લાખ હેક્ટર વધુ હતું. ગુજરાતના ખેડૂતોને તેમના મબલખ ઉત્પાદિત પાકોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા ખાતેથી રાજ્યભરમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરાવી હતી. સરકારે મગફળી માટે રૂ.6,783 પ્રતિ ક્વિન્ટલ એટલે કે રૂ.1,356.60 પ્રતિ મણ ટેકાનો ભાવ જાહેર કર્યો હતો. મગફળી પાકના વેચાણ માટે રાજ્યના 3.72 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી હતી. અત્યાર સુધીમાં રાજ્ય સરકારે 197 ખરીદ કેન્દ્રો ખાતેથી 2.98 લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. 6,700 કરોડથી વધુના મૂલ્યની કુલ 10 લાખ મેટ્રિક ટન જેટલી મગફળીની ખરીદી કરવામાં આવી છે. જે પૈકી આશરે 2.32 લાખ ખેડૂતોને રૂ. 5,172 કરોડથી વધુનું ચૂકવણું પણ સીધું તેમના બેંક ખાતામાં કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં પ્રથમવાર ખેડૂતોને ખરીદીના તુરંત બાદ આટલી ઝડપથી ચૂકવણું કરવામાં આવી રહ્યું છે..
કૃષિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકારે સોયાબીન માટે રૂ. ૪,૮૯૨ પ્રતિ ક્વિન્ટલ (રૂ.૯૭૮.૪૦ પ્રતિ મણ) ટેકાનો ભાવ જાહેર કર્યો છે. જેના પરિણામે ટેકાના ભાવે સોયાબીનના વેચાણ માટે રાજ્યના કુલ ૨૪,૮૦૦થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી હતી. અત્યાર સુધીમાં કુલ ૮૮ ખરીદ કેન્દ્રો પરથી આશરે ૨૦,૫૦૦થી વધુ ખેડૂતો પાસેથી રૂ. ૨૫૨ કરોડથી વધુના મૂલ્યની કુલ ૫૧,૪૦૦ મેટ્રિક ટનથી વધુ સોયાબીનની ખરીદી કરવામાં આવી છે. જે પૈકી આશરે ૧૭,૦૦૦ જેટલા ખેડૂતોને રૂ. ૨૧૦ કરોડથી વધુનું ચૂકવણું પણ કરી દેવામાં આવ્યું છે.




















