Home Gujarat Gujarat Government Infocity Gandhinagar Lease Not Renewed 2030

ગુજરાત સરકારનો મોટો નિર્ણય : 2030 બાદ ગાંધીનગરની ઈન્ફોસિટી ફરી સરકારના હાથમાં આવશે

Infocity Gandhinagar Lease Dispute
Image Credit: sdjic.org
Published by: Nirali Gohil
Last Updated: Jun 30, 2026, 05:47 AM IST

Infocity Gandhinagar Lease Dispute: ગુજરાતની પ્રથમ ઇન્ટિગ્રેટેડ આઈટી ટાઉનશિપ તરીકે ઓળખાતી ગાંધીનગર ઈન્ફોસિટી અંગે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઈન્ફોસિટી પ્રોજેક્ટના ડેવલપર ક્રિએટિવ ઈન્ફોસિટી લિમિટેડ (CIL)ની લીઝ 2030 બાદ લંબાવવામાં આવશે નહીં. પરિણામે, આગામી પાંચ વર્ષમાં 116 એકર વિસ્તારમાં ફેલાયેલો ઈન્ફોસિટી કેમ્પસ ફરીથી સરકારના નિયંત્રણ હેઠળ આવવાની શક્યતા ઊભી થઈ છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નિર્ણય રાજ્ય સરકારના ઉચ્ચ સ્તરે લેવામાં આવ્યો છે અને તે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ તેમજ કરારના કથિત ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. જોકે હાલની 30 વર્ષની લીઝ જુલાઈ 2030 સુધી માન્ય છે, પરંતુ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે પ્રોજેક્ટનો કબજો પરત મેળવવા માટેની પ્રક્રિયા અત્યારથી શરૂ કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.

2008થી ચાલી રહ્યો છે સરકાર અને કંપની વચ્ચે વિવાદ

રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ, કરારની શરતોના ઉલ્લંઘનના આરોપોને કારણે લીઝ લંબાવવાનો કોઈ વાજબી આધાર રહેતો નથી. સરકાર દ્વારા વર્ષ 2008માં જ પ્રોજેક્ટ સમાપ્ત કરવા માટે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ મામલો આર્બિટ્રેશનમાં જતાં છેલ્લા ઘણા વર્ષોથી કાનૂની પ્રક્રિયા હેઠળ રહ્યો છે. સરકારનું માનવું છે કે, કરારની વિવિધ શરતોના ભંગને કારણે ડેવલપરને વધુ સમય માટે જમીન અને પ્રોજેક્ટ પર અધિકાર આપવો યોગ્ય નથી. આથી, હાલના કરારની મુદત પૂર્ણ થયા બાદ સરકાર ઈન્ફોસિટીનો સંપૂર્ણ કબજો સંભાળશે.

આ પણ વાંચો: વડોદરામાં બનશે ગુજરાતનો સૌથી અનોખો ‘ક્રોકોડાઇલ બ્રિજ’ : શહેરવાસીઓને મગરના ખુલ્લા મોંમાંથી પસાર થવાનો મળશે અનુભવ! જાણો શું હશે તેની ખાસિયત

ઈન્ફ્રાસ્ટ્રક્ચર બદલ વળતર આપવામાં આવશે

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રોજેક્ટ વિસ્તારમાં ઉભા કરાયેલા મકાનો અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ક્રિએટિવ ઈન્ફોસિટી લિમિટેડને કરારની જોગવાઈ મુજબ વળતર ચૂકવવામાં આવશે. આ વળતરની ગણતરી સંપત્તિના ઘટાડાયેલા મૂલ્યના આધારે કરવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે, કંપનીને મળનારું વળતર લીઝ કરારના ભંગથી ઊભી થયેલી નાણાકીય જવાબદારીઓની તુલનાએ ઘણું ઓછું હોઈ શકે છે. સરકાર હાલમાં આ મુદ્દે નાણાકીય મૂલ્યાંકનની પ્રક્રિયા પર પણ કામ કરી રહી હોવાનું કહેવાય છે.

ગુજરાતના પ્રથમ આઈટી ટાઉનશિપ તરીકે શરૂ થયો હતો પ્રોજેક્ટ

ઈન્ફોસિટી પ્રોજેક્ટની કલ્પના ગુજરાતના પ્રથમ સંકલિત આઈટી ટાઉનશિપ તરીકે કરવામાં આવી હતી. રાજ્યમાં અગ્રણી આઈટી અને ટેકનોલોજી કંપનીઓને આકર્ષવા માટે વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે એક આધુનિક કેમ્પસ ઊભું કરવાનો હેતુ રાખવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ માટે પ્રી-ફિઝિબિલિટી અભ્યાસ આંતરરાષ્ટ્રીય કન્સલ્ટન્સી કંપની PwCના સહયોગથી હાથ ધરવામાં આવ્યો હતો, જ્યારે ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ (GIL)ને આ યોજનાના અમલીકરણ માટે નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. ક્રિએટિવ ઈન્ફોસિટી લિમિટેડ અને ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ વચ્ચે 1 ઓગસ્ટ 2000ના રોજ કન્સેશન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ફેબ્રુઆરી 2001માં માસ્ટર લીઝ એગ્રીમેન્ટ અંતર્ગત ગાંધીનગરમાં 116 એકર જમીન કંપનીને આઈટી ટાઉનશિપના વિકાસ માટે સોંપવામાં આવી હતી.

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેર : વરસાદથી ખેડૂતો ખુશ! 3થી 6 જુલાઈ વચ્ચે ના ત્રણ દિવસ ગુજરાત માટે ભારે

કરાર ભંગના અનેક આરોપો સામે આવ્યા

સરકાર અને ડેવલપર વચ્ચેના મતભેદ થોડા વર્ષોમાં જ સામે આવવા લાગ્યા હતા. વર્ષ 2008માં ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડે કંપનીને અંતિમ નોટિસ આપીને પ્રોજેક્ટ સાઇટ અને સંપત્તિ સરકારને પરત સોંપવા માટે જણાવ્યું હતું. કંપની સામે કરાયેલા મુખ્ય આરોપોમાં 39 એકરથી વધુ જમીનનો વ્યાપારી ઉપયોગ, મંજૂર કરાયેલા લેન્ડ યુઝ પ્લાનનો ભંગ, નિર્ધારિત બાંધકામ સમયપત્રકમાં વિલંબ, વિકાસ સુરક્ષા જમા કરાવવામાં નિષ્ફળતા, સરકાર સાથેના આવક વહેંચણી કરાર અંગે વિવાદ, ઈન્ફોસિટી સંપત્તિનું સીધું વેચાણ, વિકાસ ખર્ચની ચૂકવણી ન કરવી તેમજ સ્વતંત્ર એન્જિનિયર અને ઓડિટરની નિમણૂક ન કરવી જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.

શહેરના મધ્યભાગમાં આવ્યું ઈન્ફોસિટી

જ્યારે ઈન્ફોસિટી પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે તે ગાંધીનગર શહેરની બહારના વિસ્તારમાં આવેલું હતું. પરંતુ છેલ્લા બે દાયકામાં ગાંધીનગરના ઝડપી વિકાસને કારણે હવે ઈન્ફોસિટી શહેરના મુખ્ય વિસ્તારમાં સામેલ થઈ ગયું છે. આ કારણે આ જમીનની વ્યૂહાત્મક અને આર્થિક કિંમત પણ નોંધપાત્ર રીતે વધી છે. સરકાર દ્વારા ઈન્ફોસિટીનો કબજો ફરીથી મેળવવાનો નિર્ણય રાજ્યના આઈટી ક્ષેત્ર અને ભવિષ્યના વિકાસ આયોજન માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. હવે સૌની નજર સરકાર દ્વારા આગામી વર્ષોમાં અપનાવવામાં આવનારી નીતિ પર છે કે ઈન્ફોસિટી કેમ્પસનો ઉપયોગ નવા આઈટી પ્રોજેક્ટ્સ, સ્ટાર્ટઅપ હબ અથવા અન્ય ટેકનોલોજી આધારિત વિકાસ માટે કરવામાં આવશે કે, નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now