Home Gujarat Gujarat Cm Bhupendra Patel Leads International Yoga Day Celebrations In Vadnagar

11 મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડનગરમાં રાજ્ય કક્ષાની ઉજવણી

11 મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
Published by: OBS Bureau
Last Updated: Jun 21, 2025, 12:43 PM IST

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ અનંત અનાદિ વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ પરિસર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 11 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની "Yoga for One Earth One Health" અને "સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત" થીમ સાથે રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.

ગુજરાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણા અને માર્ગદર્શનમાં આ વર્ષના યોગ દિવસે વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે 2121 યોગ સાધકોના એક સાથે ભુજંગાસન દ્વારા નવો કિર્તીમાન પ્રસ્થાપિત કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ માં સ્થાન મેળવ્યું છે.

મુખ્યમંત્રી ના દિશાદર્શનમાં આ અગાઉ પણ ગુજરાતે 2023માં 9માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સુરત ખાતે એક સાથે 1.50 લાખ લોકોની સામૂહિક યોગ સાધનાનો વિક્રમ અને 1લી જાન્યુઆરી 2024 એ એક સાથે 108 સ્થળોએ 50 હજાર લોકો દ્વારા સામૂહિક સુર્યનમસ્કારનો વર્લ્ડ રેકર્ડ રચીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં સ્થાન મેળવ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડનગર ખાતેના આ યોગ દિવસ ઉજવણીમાં સામૂહિક યોગ ક્રિયામાં લોકો સાથે યોગાસનો કરીને સહભાગી બન્યા હતા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, મહેસાણા જિલ્લાના ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ , નગરપાલિકા પ્રમુખ અને ગુજરાત યોગ બોર્ડના અધ્યક્ષ શિશપાલ રાજપુત તેમજ પદાધિકારીઓ અને અધિકારીઓ પણ યોગ સાધકો સાથે સામૂહિક યોગમાં જોડાયા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશાખાપટ્ટનમ ખાતે વિશ્વ યોગ દિવસમાં જોડાઈને દેશ વાસીઓને આપેલા પ્રેરક સંદેશનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે સૌને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, આપણાં ઋષિમુનીઓએ સમગ્ર માનવજાતને આપેલી અમૂલ્ય ભેટ યોગ એ આપણી પ્રાચીન સંસ્કૃતિ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ પ્રયાસોને પરિણામે આ પ્રાચીન યોગ સંસ્કૃતિને યુનાઈટેડ નેશન્સ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણીથી વિશ્વ ભરમાં સ્વિકૃતી મળી છે.

2015થી દર વર્ષે તા.21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે એ શ્રેણીમાં આ વર્ષે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે તેની ભૂમિકા આપતાં મુખ્યમંત્રી એ કહ્યું કે, યોગ માત્ર વ્યાયામ નથી પરંતુ જીવન જીવવાની કળા છે.યોગ એવું વિજ્ઞાન છે જે આપણને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્તરે એકાગ્રતાથી જોડે છે. યોગ અભ્યાસ દ્વારા તણાવ મુક્તિ થાય છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને જીવનમાં સકારાત્મક્તા આવે છે. એટલું જ નહિ, યોગ આપણને આત્મ-શિસ્ત, સંયમ અને આત્મ-જાગૃતિ શીખવે છે.

રાજ્યભરમાં મહાનગરપાલિકાથી લઈને ગ્રામ પંચાયત સુધી અંદાજે કુલ દોઢ કરોડ લોકો 11 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સામૂહિક યોગ ક્રિયામાં જોડાયા છે તેમ જણાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ સુશાસનના 11 વર્ષ પણ આ વર્ષે પુરા થઈ રહ્યા છે તેનો વિશેષ ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રી એ કહ્યું કે, વડાપ્રધાન એ યોગથી લઈને આયુષ્યમાન ભારત સુધી લોકોના સ્વાસ્થ્યની કાળજી લીધી છે. પ્રિવેન્ટીવ હેલ્થ કેર અને આરોગ્યપ્રદ જીવન શૈલી અપનાવવાના અનેક કાર્યક્રમો તેમણે શરૂ કરાવ્યાં છે.

યોગ અને પ્રાણાયામની પ્રાચીન સ્વાથ્ય વિરાસત વડાપ્રધાન નરેન્દ્રભાઈની પ્રેરણા અને પ્રયાસોથી વિશ્વના દેશોના લોકોની રોજ બરોજની જીવન શૈલીનો ભાગ બની ગઈ છે તેમ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું. મુખ્યમંત્રી એ કહ્યું કે, આપણે સંસ્કૃતિનું સન્માન અને વિરાસતના ગૌરવ સાથે મેદસ્વિતા મુક્ત ગુજરાત - સ્વસ્થ ગુજરાતનો સામુહિક સંકલ્પ કરીને યોગની પ્રાચીન પરંપરા જનઆંદોલન બનાવવી છે અને વિકસિત ભારત @ 2047 માટે વિકસિત સ્વસ્થ, સમૃદ્ધ અને તંદુરસ્ત ગુજરાતનું નિર્માણ કરવાની નેમ છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રાણાયામ પ્રાચીન કાળથી આપણા ઈતિહાસમાં રોજિંદા જીવનમાં વણાયેલી છે. યોગ અને પ્રાણાયામ થકી શરીરની તંદુરસ્તી સાથે શરીર સતત ઉર્જાવાન રહે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણી સંસ્કૃતિ, આપણા સાહિત્યની સાથે સાથે સ્વાસ્થ્ય માટે યોગ આદર્શને દુનિયા સમક્ષ ઉજાગર કરવાનું અદભૂત કાર્ય કર્યું છે.

વધુમાં મંત્રી એ જણાવ્યું કે આપણો પ્રાચીન ઇતિહાસ પ્રાચીન સંસ્કૃતિની સાથે પ્રાચીન જે પણ કોઈ આપણી રીત રસમો છે એને સ્વીકારવા માટે આજે વિશ્વ તૈયાર થયું છે.આજે આપણે માતૃભૂમિના પ્રાચીન વારસાની ગૌરવની ભાવના સાથે આપણે જ્યારે આગળ વધી રહ્યા છે તો આપણે સૌ આપણા રોજિંદા જીવનમાં યોગને વણી સ્વસ્થ્ય જીવન માટે યોગના આદર્શને અપનાવીએ.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપુતે સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે યોગ અભ્યાસની જીવનમાં સ્વસ્થતા અને તંદુરસ્તી સાથે માનસિક અને આધ્યાત્મિક જોડાણ પણ વિસ્તૃત સમજ આપી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ,લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ,ધારાસભ્ય સર્વે કિરીટભાઈ પટેલ, સરદારભાઈ ચૌધરી, મુકેશભાઈ પટેલ, દૂધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, અગ્રણી ગીરીશભાઈ રાજગોર, અગ્ર સચિવ એમ. થેન્નાસરન, જિલ્લા કલેકટર એસ.કે. પ્રજાપતિ, મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખતાલે, જિલ્લા વિકાસ અધિકારી ડૉ હસરત જૈસમીન, નિવાસી અધિક કલેક્ટર જશવંત કે જેગોડા તેમજ પદાધિકારી અધિકારી સહિત યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now