Home Gujarat Guarat Farmers Must Dothis Before And During Sowing Of Kharif Pulses

રોગ-જીવાતના વ્યવસ્થાપન માટે આટલું જરૂર કરો : ખરીફ કઠોળ પાક માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું...!!

રોગ-જીવાતના વ્યવસ્થાપન માટે આટલું જરૂર કરો
Published by: OBS Bureau
Last Updated: Jun 19, 2025, 03:44 PM IST

વરસાદના આગમના સાથે જ ગુજરાતના અનેક વિસ્તારોમાં ખેડૂતો દ્વારા ખરીફ પાકોનું વાવેતર અને વાવેતરની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ખેડૂતો પોતાના પાકને રોગ-જીવાતથી બચાવીને સારું ઉત્પાદન અને સારી આવક મેળવી શકે તે માટે રાજ્ય સરકાર દરેક તબક્કે ખેડૂતોની પડખે છે.

રાજ્યની ખેતી નિયામક કચેરી દ્વારા સમયાંતરે વિવિધ પાકની વાવણી પહેલા અને વાવેતર સમયે શું કરવું અને શું ન કરવું તે અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવે છે. જે અંતર્ગત મગ, મઠ, અડદ અને ચોળા જેવા ખરીફ કઠોળ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું? તે અંગે ખેતી નિયામકની કચેરી દ્વારા કેટલાક મહત્વપૂર્ણ પગલા સૂચિત કરવામાં આવ્યા છે.

ખરીફ કઠોળ પાકમાં રોગ-જીવાતના વ્યવસ્થાપન માટે આટલું જરૂર કરો:

* મગની ગુજરાત આણંદ મગ-૫, ગુજરાત આણંદ મગ-૬, ગુજરાત આણંદ મગ-૭ તેમજ અડદની ટી-૯ જેવી રોગ પ્રતિકારક જાતોની વાવણી કરવી.

* રોગમુક્ત છોડ પરથી એકઠા કરેલ દાણાનો બિયારણ તરીકે ઉપયોગ કરવો.

* વિષાણુંથી થતી પાનની કરચલી રોગના નિયંત્રણ માટે બિયારણને વાવતા પહેલાં ૫૫ સેન્ટીગ્રેટ ગરમ પાણીમાં ૩૦ મીનીટ રાખવું અને ત્યારબાદ વાવેતર કરવું.

* મગ, મઠ, અડદ જેવાં પાકોમાં મેક્રોફેમિના બ્લાઇટ રોગના નિયંત્રણ માટે ધાન્ય પાકોની સાથે ફેરબદલી કરવી.

* પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોએ બીજામૃતનો પટ આપી બીજને છાંયડામાં સૂકવી વાવેતર કરવું.

* વાવેતર સમયે ૧૦૦ કિ.ગ્રા છાણિયું ખાતર અને ૧૦૦ કિ.ગ્રા ઘન જીવામૃત ભેળવીને ૧ એકર જમીનમાં નાખવું.

* બીજને વાવતા પહેલાં થાયરમ, કાર્બેન્ડેઝીમ અથવા મેન્કોઝેબ જેવા ફૂગનાશકોનો ૨ થી ૩ ગ્રામ/કિ.ગ્રા બીજ દીઠ પટ આપીને વાવણી કરવી.

* જીવાણુંથી થતા પાનના ટપકાના રોગના નિયંત્રણ માટે બીજને સ્ટ્રેપ્ટોસાયક્લીન ૨૫૦ પીપીએમ દ્રાવણમાં ૧૫ મીનીટ બોળી રાખીને ત્યારબાદ વાવણી કરવી.

* મોલો, સફેદમાખી, તડતડીયાં અને થ્રિપ્સના નિયંત્રણ માટે બીજને જંતુનાશક દવાઓ જેવી કે, ઇમિડાક્લોપ્રિડ ૭૦ ડબ્લ્યુએસ ૭.૫ ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રિડ ૬૦૦ એફએસ ૧૦ મિ.લી. અથવા થાયામેથોક્ઝામ ૭૦ ડબ્લ્યુએસ ૨.૮ ગ્રામ અથવા થાયામેથોક્ઝામ ૩૫ એફએસ ૧૦ મિ.લી પ્રતિ કિલો પ્રમાણે બીજ માવજત આપી વાવેતર કરવું.

* થડમાખી જીવાતનો વધુ ઉપદ્રવ રહેતો હોય તેવા વિસ્તારોમાં નિયંત્રણ માટે કાર્બોફ્યુરાન ૩ સીજી ૩૦ કિ.ગ્રા./ હે પ્રમાણે જમીનમાં આપવું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now