Ahmedabad News: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC),ગાંધીનગર દ્વારા આગામી સમયમાં યોજાનારી વિવિધ જાહેરાતોની સામાન્ય અભ્યાસની સંયુક્ત પરીક્ષા (પ્રશ્નપત્ર-૧ સામાન્ય અભ્યાસ) ના સુચારૂ સંચાલન માટે અમદાવાદ શહેર પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, તેમજ ઉમેદવારો શાંતિપૂર્ણ અને શુદ્ધ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે હેતુથી અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે મળેલ સત્તાનો ઉપયોગ કરીને આ પ્રતિબંધાત્મક આદેશો જારી કરવામાં આવ્યા છે.
પરીક્ષાની વિગતો અને કેન્દ્રો
પરીક્ષાની તારીખ: ૦૭ જૂન ૨૦૨૬
પરીક્ષાનો સમય: સવારે ૧૧:૦૦ વાગ્યાથી બપોરે ૧૪:૦૦ (૦૨:૦૦) વાગ્યા સુધી
પરીક્ષા કેન્દ્રો: અમદાવાદ શહેરના જુદા-જુદા ૫૭ પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા યોજાશે.
ભાજપના 'સરપ્રાઈઝ' સિલેક્શન પાછળ શું છે રાજકીય ગણિત : કોણ છે આ 4 નવા ચહેરા? શું કરે છે અને રાજકીય સફર
કયા વિસ્તારોને પ્રતિબંધિત જાહેર કરાયા?
જાહેરનામા અનુસાર નીચે મુજબના વિસ્તારોમાં ખાસ નિયમો લાગુ પડશે:
૧. તમામ પરીક્ષા કેન્દ્રો અને તેની આસપાસનો ૧૦૦ મીટરની ત્રિજ્યાનો વિસ્તાર.
૨. ઝેરોક્ષ સેન્ટરો અને દુકાનો માટે પરીક્ષા કેન્દ્રોની આસપાસનો ૧ કિલોમીટરની ત્રિજ્યાનો વિસ્તાર.
આ બાબતો પર રહેશે સખત પ્રતિબંધ (નિયમો)
પરીક્ષા દરમિયાન ગેરરીતિ અટકાવવા અને સુલેહ-શાંતિ જાળવવા નીચે મુજબના કૃત્યો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે..
ભેગા થવા પર પ્રતિબંધ: પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવું નહીં.
ઝેરોક્ષ દુકાનો બંધ: પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧ કિલોમીટરના વિસ્તારમાં ઝેરોક્ષ સેન્ટરો ચાલુ રાખી શકાશે નહીં.
ઘોંઘાટ પર રોક: પરીક્ષા સ્થળની આજુબાજુ મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા પર મનાઈ છે.
ઇલેક્ટ્રોનિક ઉપકરણો: સક્ષમ અધિકારી સિવાયના તમામ વિદ્યાર્થીઓ કે શિક્ષકો માટે પરીક્ષા સ્થળ પર મોબાઇલ, વિજાણુ કે અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
બિનઅધિકૃત પ્રવેશ અને સામગ્રી: પરીક્ષાના સમય દરમિયાન કોઈ પણ બિનઅધિકૃત વ્યક્તિ પ્રવેશ કરી શકશે નહીં, તેમજ ગેરરીતિ થઈ શકે તેવી કોઈ સામગ્રી કે હથિયાર લઈ જવા પર સખત મનાઈ છે.
વાહન પાર્કિંગ: પરીક્ષા કેન્દ્રોની આસપાસ જાહેર વાહન વ્યવહાર ખોરવાય તે રીતે વાહનો પાર્ક કરવા નહીં.
આ તમામ નિયમો ફરજ પરના પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડના જવાનો તથા પરીક્ષાની કામગીરી સાથે જોડાયેલા સત્તાવાર અધિકારીઓ અને કર્મચારીઓને લાગુ પડશે નહીં.
સમયગાળો અને કાયદાકીય કાર્યવાહી
આ જાહેરનામું તા. ૦૭/૦૬/૨૦૨૬ ના રોજ સવારે ૦૯:૦૦ વાગ્યાથી સાંજના ૧૬:૦૦ (૦૪:૦૦) વાગ્યા સુધી અમલમાં રહેશે.
જો કોઈ વ્યક્તિ આ નિયમોનો ભંગ કે ઉલ્લંઘન કરતો ઝડપાશે, તો તેની સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને ફરિયાદ નોંધવામાં આવશે. આ માટે અનાર્મ હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના તમામ પોલીસ અધિકારીઓને કાયદેસરની ફરિયાદ માંડવા અધિકૃત કરાયા છે. પોલીસ કમિશનર દ્વારા આ હુકમની નકલો તમામ સંબંધિત વિભાગો, સ્થાનિક વર્તમાન પત્રો, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તેમજ આકાશવાણી અને દુરદર્શન કેન્દ્રો મારફતે વ્યાપક જનતા સુધી પહોંચાડવા આદેશ અપાયો છે.





