વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને આગામી એક વર્ષ સુધી બિનજરૂરી સોનાની ખરીદી ટાળવાની કરાયેલી અપીલ બાદ હવે સોનાના બજારમાં નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. અર્થતંત્ર અને બજાર નિષ્ણાતોનું માનવું છે કે જો પશ્ચિમ એશિયામાં ભૂરાજકીય તણાવ વધુ ઊંડો બનશે અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો ચાલુ રહેશે તો કેન્દ્ર સરકાર સોનાની આયાત પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવાનો નિર્ણય લઈ શકે છે.
હૈદરાબાદમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ લોકોને પેટ્રોલ-ડીઝલ અને ગેસનો ઓછો ઉપયોગ કરવા, અનાવશ્યક વિદેશ પ્રવાસ ટાળવા અને બિનજરૂરી સોનાની ખરીદીથી દૂર રહેવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ પગલાં ભારતના વિદેશી મુદ્રા ભંડારને બચાવવામાં મદદરૂપ થશે અને અર્થતંત્ર પર વધતો દબાણ ઘટાડશે.
સોનાની ખરીદી કેમ બની ચિંતાનો વિષય?
ભારત વિશ્વના સૌથી મોટા સોના આયાતકાર દેશોમાં સામેલ છે. દેશમાં દર વર્ષે મોટા પ્રમાણમાં સોનાની આયાત થતી હોવાથી ડોલરમાં ભારે ચુકવણી કરવી પડે છે. જો આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થાય અથવા શિપિંગ રૂટ પર અસર પડે તો ભારતનું આયાત બિલ વધુ વધી શકે છે.
આર્થિક નિષ્ણાતોનું કહેવું છે કે આવી પરિસ્થિતિમાં સરકાર બિનજરૂરી આયાત ઘટાડવા માટે સોનાની આયાતને નિયંત્રિત કરવાની દિશામાં વિચાર કરી શકે છે. હાલમાં સોનાની આયાત પર કસ્ટમ ડ્યૂટી અને અન્ય ટેક્સ સહિત કુલ અસરકારક ઈમ્પોર્ટ ડ્યૂટી આશરે 6 ટકા છે. જો તેમાં વધારો કરવામાં આવે તો સોનાની માંગ પર સીધી અસર પડી શકે છે.
LPG સિલિન્ડર ડિલિવરીમાં મોટો ફેરફાર: કંપનીઓએ જાહેર કર્યું એલર્ટ
સરકાર પાસે શું વિકલ્પો છે?
સોનાની માંગ ઘટાડવા માટે સરકાર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવાનો વિકલ્પ અપનાવી શકે છે. આથી બે મહત્વના ફાયદા થઈ શકે - એક તરફ સોનાની ખરીદી ઘટશે અને બીજી તરફ ડોલરનું બહાર જતું પ્રમાણ ઓછું થશે.
તાજેતરમાં જ ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા કિંમતી ધાતુઓના આયાત નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા હતા. એપ્રિલ 2025 માં સોનું, ચાંદી અને પ્લેટિનમ સંબંધિત કેટલીક કેટેગરીને ‘ફ્રી’માંથી ‘રિસ્ટ્રિક્ટેડ’ કેટેગરીમાં ખસેડવામાં આવી હતી. આ પગલું ટ્રેડ ચેનલ્સના દુરુપયોગને રોકવા અને કિંમતી ધાતુઓની આયાત પર વધુ નજર રાખવા માટે લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
LRS નિયમો પણ થઈ શકે કડક
વડાપ્રધાન મોદીએ વિદેશ પ્રવાસ ઘટાડવાની કરેલી અપીલ બાદ હવે RBI ની લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) અંગે પણ ચર્ચા તેજ બની છે. હાલમાં ભારતીય નાગરિકો LRS હેઠળ દર વર્ષે 2.5 લાખ ડોલર સુધીની રકમ વિદેશમાં શિક્ષણ, પ્રવાસ, રોકાણ અને અન્ય મંજૂર હેતુઓ માટે મોકલી શકે છે.
નિષ્ણાતોનું માનવું છે કે જો વૈશ્વિક પરિસ્થિતિ વધુ તંગ બને તો સરકાર અથવા RBI વિદેશમાં જતી રકમ પર વધુ કડક મોનિટરિંગ કરી શકે છે. જોકે અત્યાર સુધી આ મુદ્દે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
સોમનાથ અમૃત પર્વે દેશને મળ્યો વિશેષ સ્મારક સિક્કો: જાણો તેની ખાસિયતો
શું ખરેખર સોનુ મોંઘું થઈ શકે?
હાલમાં કેન્દ્ર સરકાર તરફથી સોનાની ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવા અંગે કોઈ સત્તાવાર સંકેત આપવામાં આવ્યો નથી. પરંતુ વડાપ્રધાન મોદીના નિવેદન અને વૈશ્વિક પરિસ્થિતિને જોતા બજારમાં એવી અટકળો તેજ બની છે કે આગામી મહિનાઓમાં સરકાર સોનાની આયાતને નિયંત્રિત કરવા માટે કેટલાક મોટા નિર્ણયો લઈ શકે છે.
જો આવું થાય તો ભારતમાં સોનાના ભાવ પર તેની સીધી અસર જોવા મળી શકે છે. ખાસ કરીને લગ્ન સીઝન અને રોકાણ માટે સોનામાં રસ ધરાવતા લોકો માટે આગામી સમય મહત્વપૂર્ણ બની શકે છે.
Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત માહિતી અને શૈક્ષણિક હેતુઓ માટે છે અને તેમાં રોકાણ અથવા ટ્રેડિંગ સલાહનો સમાવેશ થતો નથી. રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારું પોતાનું સંશોધન કરો અથવા નિષ્ણાંત નાણાકીય સલાહકારની સલાહ લો. રોકાણો બજારના જોખમોને આધીન છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.





