ગીર સોમનાથ જિલ્લા સાયબર ક્રાઇમ સેલે દેશવ્યાપી સાયબર ગુનાખોરી સામે એક ઐતિહાસિક સફળતા મેળવી છે. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવેલા ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ અંતર્ગત પોલીસે અંદાજે 310 કરોડ રૂપિયાના શંકાસ્પદ સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશન દરમિયાન વેરાવળ, રાજકોટ અને દ્વારકામાંથી ગેંગના પાંચ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપીઓ સાયબર ગુનેગારોને બેંક ખાતાઓ ઉપલબ્ધ કરાવી ગેરકાયદેસર નાણાંના વ્યવહારોને સરળ બનાવતા હતા. દેશભરમાં થયેલી અનેક ઓનલાઈન છેતરપિંડીના નાણાં આ જ ખાતાઓ મારફતે ટ્રાન્સફર થતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
શું છે ‘મ્યુલ એકાઉન્ટ’ કૌભાંડ?
સાયબર ક્રાઇમની દુનિયામાં ‘મ્યુલ એકાઉન્ટ’ એ એવી બેંક એકાઉન્ટ વ્યવસ્થા છે, જેના મારફતે ગુનાખોરીના નાણાંને છુપાવવામાં અથવા ટ્રાન્સફર કરવામાં આવે છે. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે આંતરરાષ્ટ્રીય સાયબર ઠગો સીધા પોતાના નામે બેંક ખાતાઓનો ઉપયોગ કરતા નથી.
તેના બદલે તેઓ સ્થાનિક એજન્ટોનો સંપર્ક કરે છે, જે અન્ય લોકોના નામે ખાતા ખોલાવી આપે છે. પકડાયેલા આરોપીઓ ગરીબ, મધ્યમવર્ગીય અથવા અજાણ વ્યક્તિઓને લાલચ આપીને અથવા ખોટા દસ્તાવેજોના આધારે વિવિધ બેંકોમાં સેવિંગ અને કરન્ટ એકાઉન્ટ ખોલાવતા હતા.
એકાઉન્ટ ખુલ્યા બાદ તેના નેટ બેંકિંગ, એટીએમ કાર્ડ, ચેકબુક અને સિમ કાર્ડ જેવી તમામ વિગતો સાયબર ગુનેગારોને સોંપી દેવામાં આવતી હતી. બદલામાં આરોપીઓને કુલ ટ્રાન્ઝેક્શનના 1થી 5 ટકા સુધીનું કમિશન મળતું હોવાનું સામે આવ્યું છે.
310 કરોડના શંકાસ્પદ વ્યવહારોનો ખુલાસો
તપાસ દરમિયાન ગીર સોમનાથ સાયબર સેલે આરોપીઓના બેંક એકાઉન્ટ્સના સ્ટેટમેન્ટ્સનું વિશ્લેષણ કર્યું હતું. તેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, માત્ર બેંક ઓફ ઇન્ડિયાના વિવિધ ખાતાઓમાં અંદાજે 282 કરોડ રૂપિયાના વ્યવહારો નોંધાયા હતા. જ્યારે કેનરા બેંકના ખાતાઓમાં આશરે 37 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન મળ્યા હતા. આમ કુલ મળીને લગભગ 310 કરોડ રૂપિયાના શંકાસ્પદ અને ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો સામે આવ્યા છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે આ નાણાં દેશભરના હજારો સાયબર ફ્રોડના ભોગ બનેલા લોકો પાસેથી વિવિધ રીતે ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા.
અલ નીનોના ખતરાને લઈને PM મોદીની ચેતવણી: રાજ્યોને તૈયાર રહેવા આપી સૂચના
NCCRPની 290થી વધુ ફરિયાદો સાથે કનેક્શન
સાયબર સેલની તપાસમાં વધુ એક મહત્વપૂર્ણ ખુલાસો એ થયો છે કે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર નોંધાયેલી 290થી વધુ ફરિયાદોના તાર સીધા આ મ્યુલ એકાઉન્ટ્સ સાથે જોડાયેલા છે.
આ ફરિયાદોમાં ઓનલાઈન ટ્રેડિંગ ફ્રોડ, રોકાણના નામે છેતરપિંડી, ડિજિટલ અરેસ્ટ, લોન ફ્રોડ, કસ્ટમર કેર ફ્રોડ અને અન્ય પ્રકારના સાયબર ગુનાઓનો સમાવેશ થતો હોવાનું માનવામાં આવે છે. હવે પોલીસ આ તમામ ફરિયાદોની વિગતો એકત્રિત કરીને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
તપાસ હજુ ચાલુ, મની લોન્ડરિંગના એંગલની પણ તપાસ
આ ઐતિહાસિક સફળતા બાદ એસપી જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સાયબર ગુનેગારો સામેની લડત હજુ વધુ તેજ બનાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે આ કેસમાં હજુ પણ અનેક પાસાઓની તપાસ ચાલી રહી છે.
ખાસ કરીને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ (IT Act), મની લોન્ડરિંગ અને આંતરરાજ્ય તેમજ આંતરરાષ્ટ્રીય કનેક્શનના મુદ્દાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને આશા છે કે આગળની તપાસમાં વધુ આરોપીઓ અને મોટા નેટવર્કનો પર્દાફાશ થઈ શકે છે.
જનતાને સાવચેત રહેવાની અપીલ
સાયબર ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા લોકોને અજાણ્યા વ્યક્તિઓને પોતાના બેંક ખાતા, એટીએમ કાર્ડ, સિમ કાર્ડ અથવા બેંકિંગ વિગતો સોંપવા સામે ચેતવણી આપવામાં આવી છે. ઘણી વખત નાની લાલચમાં લોકો પોતાનું એકાઉન્ટ ભાડે આપી દેતા હોય છે, પરંતુ બાદમાં તે જ ખાતા કરોડો રૂપિયાના સાયબર ફ્રોડ માટે વપરાતા હોવાનું સામે આવે છે.
ગીર સોમનાથ સાયબર સેલની આ કાર્યવાહી રાજ્યમાં સાયબર ગુનાખોરી સામેની સૌથી મહત્વપૂર્ણ કામગીરીમાંની એક માનવામાં આવી રહી છે. હવે સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસ વધુ વિસ્તૃત કરવામાં આવી રહી છે.






