અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ થયેલી ભયાનક પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ કરુણ ઘટનાની પ્રથમ વરસી નિમિત્તે બી.જે. મેડિકલ કોલેજના જુનિયર અને સિનિયર ડૉક્ટર્સ તેમજ મૃતકોના પરિવારજનોએ તે કાળજું કંપાવી દેતી ક્ષણોને યાદ કરી હતી. દુર્ઘટનાના સાક્ષી રહેલા અનેક ડૉક્ટર્સે જણાવ્યું કે એક વર્ષ વીતી જવા છતાં તે દિવસના દ્રશ્યો આજે પણ તેમની યાદોમાં જીવંત છે અને ઘટનાએ તેમના જીવન પર ઊંડી માનસિક અસર છોડી છે.
દુર્ઘટનાના સમયે હોસ્ટેલમાં હાજર રહેલા રેસિડેન્ટ ડૉક્ટર આનંદે જણાવ્યું હતું કે પ્લેન ક્રેશની ઘટના તેમના જીવનની સૌથી ભયાનક ઘટના હતી. તેમણે કહ્યું કે, જ્યારે અમે હોસ્ટેલમાંથી બહાર નીકળ્યા ત્યારે ચારે તરફ ધુમાડો, આગ અને અફરાતફરીના દ્રશ્યો હતા. અનેક લોકો જીવ બચાવવા માટે દોડધામ કરી રહ્યા હતા. શરૂઆતના દિવસોમાં આ ઘટનાના કારણે ઊંઘ પણ આવતી નહોતી અને સતત એ જ દ્રશ્યો આંખો સામે આવતા હતા.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ : અગનગોળામાં ભસ્મીભૂત થયેલા સપના, ખેડા-આણંદના ઘરોમાં આજે પણ ગુંજે છે ચીસો
'લોકોને બચાવવા દોડી ગયા, પરંતુ એ દ્રશ્યો આજે પણ ભૂલાતા નથી'
જુનિયર ડૉક્ટર ભાગીરથ ચાવડાએ જણાવ્યું કે બ્લાસ્ટ થયો ત્યારે તેઓ હોસ્ટેલની મેસમાંથી ભોજન માટે બહાર નીકળ્યા હતા. અચાનક થયેલા જોરદાર ધડાકા બાદ સમગ્ર વિસ્તાર ગભરાટમાં ફેરવાઈ ગયો હતો. તેમણે તરત જ સિનિયર ડૉક્ટર્સ અને પ્રોફેસરોને જાણ કરી અને મિત્રો સાથે મળીને બચાવ કામગીરીમાં જોડાઈ ગયા હતા.
ભાગીરથે કહ્યું કે, “અમે શક્ય તેટલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે શું કરવું અને શું નહીં તેની સ્થિતિ જ નહોતી. દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે મદદ કરવા માટે દોડી રહી હતી. એક વર્ષ બાદ પણ અમે તે માર્ગ પરથી પસાર થવાનું ટાળીએ છીએ. આ ઘટના પછી કાઉન્સેલિંગની જરૂરિયાત પણ અનુભવાઈ હતી.”
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશની પ્રથમ વરસી : શહીદોની સ્મૃતિમાં 547 કરોડના આરોગ્ય અને શિક્ષણ પ્રોજેક્ટ્સ બનશે
'મૃતદેહોની ઓળખ સૌથી મોટો પડકાર હતો'
બી.જે. મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગ સાથે સંકળાયેલા ડૉ. વિપુલ આહિરે પણ તે દિવસની યાદોને શેર કરી હતી. તેમણે જણાવ્યું કે પ્લેન ક્રેશના માત્ર દસ મિનિટ પહેલાં જ તેમણે હોસ્ટેલમાં જમવાનો કાર્યક્રમ રદ કર્યો હતો. દુર્ઘટના બાદ તેઓ તરત જ બચાવ અને ઓળખ પ્રક્રિયામાં જોડાયા હતા.
ડૉ. આહિરે જણાવ્યું કે, પ્રથમ દિવસે મૃતદેહોની ઓળખ, લેબલિંગ અને સંબંધિત પ્રક્રિયાઓ અત્યંત પડકારજનક હતી. ઘણા મૃતદેહોની સ્થિતિ એવી હતી કે ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ બની રહી હતી. આજે પણ જ્યારે આંખો બંધ કરું છું ત્યારે તે દ્રશ્યો સામે આવી જાય છે.
તેમણે વધુમાં જણાવ્યું કે ગર્ભવતી મહિલાનું પોસ્ટમોર્ટમ કરવું તેમના કારકિર્દીના સૌથી દુઃખદ અને માનસિક રીતે કઠિન અનુભવોમાંનું એક હતું. આ ઘટનાએ માત્ર વ્યવસાયિક નહીં પરંતુ વ્યક્તિગત સ્તરે પણ તેમને ઝંઝોળી નાખ્યા હતા.
સમગ્ર મેડિકલ સમુદાય પર પડી હતી ઊંડી અસર
ડૉક્ટર્સના જણાવ્યા મુજબ, આ દુર્ઘટનાએ માત્ર દર્દીઓ અને તેમના પરિવારોને જ નહીં, પરંતુ મેડિકલ વિદ્યાર્થીઓ, રેસિડેન્ટ ડૉક્ટર્સ, પ્રોફેસરો અને સમગ્ર મેડિકલ કોલેજ પરિવારને ઊંડો આઘાત પહોંચાડ્યો હતો. અનેક વિદ્યાર્થીઓને લાંબા સમય સુધી માનસિક તણાવ, ડર અને ઊંઘ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
ઘટના બાદ વિવિધ તબક્કે કાઉન્સેલિંગ અને માનસિક સહાયની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેથી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ અને સ્ટાફ આ આઘાતમાંથી બહાર આવી શકે. તેમ છતાં, અનેક લોકો માટે આ ઘટના જીવનભરની યાદ બની ગઈ છે.
પ્રથમ વરસીએ શ્રદ્ધાંજલિ અને સંવેદના
દુર્ઘટનાની પ્રથમ વરસી નિમિત્તે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પરિવારજનોએ પોતાના સ્વજનોને યાદ કરીને ભાવુક ક્ષણો અનુભવી હતી. ડૉક્ટર્સે પણ આ ઘટનામાં જીવ ગુમાવનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળવા માટે સુરક્ષા વ્યવસ્થાઓ વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
એક વર્ષ વીતી ગયું છે, પરંતુ અમદાવાદની આ દુઃખદ પ્લેન ક્રેશ આજે પણ અનેક લોકોના મનમાં જીવંત છે. ખાસ કરીને તે દિવસના સાક્ષી રહેલા ડૉક્ટર્સ માટે આ માત્ર એક ઘટના નહીં, પરંતુ જીવનભર યાદ રહે એવો ઘાવ બની રહી છે.





