PM Modi El Nino Alert: નવી દિલ્હીમાં યોજાયેલી નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિકાસ, જળ સંરક્ષણ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને આબોહવા પરિવર્તન જેવા મહત્વના મુદ્દાઓ પર રાજ્યોનું ધ્યાન દોર્યું હતું. ખાસ કરીને અલ નીનો (El Nino)ની સંભવિત અસરને લઈને તેમણે રાજ્યોને અગાઉથી તૈયાર રહેવા અને પાણીના સંચાલન માટે વધુ અસરકારક પગલાં લેવા અપીલ કરી હતી. રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કેન્દ્રમાં યોજાયેલી આ બેઠકનો મુખ્ય વિષય ‘વિકસિત ભારત @2047 માટે સર્વસમાવેશક માનવ વિકાસ’ હતો. બેઠકમાં દેશના 28 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ, ઉપરાજ્યપાલો અને વહીવટી પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ખાસ વાત એ રહી કે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં પ્રથમ વખત તમામ 28 રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અલ નીનોના પડકાર સામે સજ્જ રહેવાની અપીલ
બેઠક દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ અલ નીનોની પરિસ્થિતિઓથી ઊભા થઈ શકતા પડકારો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે આબોહવામાં થતા ફેરફારો કૃષિ, જળ સંસાધનો અને અર્થવ્યવસ્થા પર અસર કરી શકે છે. તેથી રાજ્યોને જળ સંરક્ષણ અને પાણીના અસરકારક ઉપયોગ માટે લાંબા ગાળાની વ્યૂહરચના તૈયાર કરવાની જરૂર છે. તેમણે પાણી બચાવવાના અભિયાનોને વધુ મજબૂત બનાવવા અને સ્થાનિક સ્તરે જળ સંચયના પ્રયાસોને પ્રોત્સાહન આપવાની પણ અપીલ કરી હતી.
AIની તકોનો લાભ લેવા રાજ્યોને સલાહ
પ્રધાનમંત્રી મોદીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને ભવિષ્યની મહત્વપૂર્ણ તક ગણાવી હતી. તેમણે રાજ્યોને AI ટેક્નોલોજીનો વધુમાં વધુ લાભ લેવા માટે નીતિઓ અને કુશળતા વિકાસ કાર્યક્રમો પર ભાર મૂકવા જણાવ્યું હતું.
સાથે જ તેમણે ચેતવણી આપી હતી કે AIના વધતા ઉપયોગ સાથે સાયબર ફ્રોડ, ડિજિટલ ગુનાઓ અને અન્ય સામાજિક પડકારો પણ ઊભા થઈ શકે છે. તેથી ટેક્નોલોજીનો લાભ અને સુરક્ષા બંને વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે.
આ પણ વાંચો: દેશના 17થી વધુ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ: દિલ્હીમાં 5 દિવસ વરસાદની શક્યતા
વૈશ્વિક પડકારો વચ્ચે ભારતની વિકાસ ગાથા
પીએમ મોદીએ જણાવ્યું કે વિશ્વની ઘણી મોટી અર્થવ્યવસ્થાઓ હાલમાં અનિશ્ચિતતા અને આર્થિક પડકારોનો સામનો કરી રહી છે. તેમ છતાં ભારતની વિકાસ યાત્રા વિશ્વ માટે પ્રેરણારૂપ બની રહી છે. તેમણે આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને વૈશ્વિક સ્તરે સફળ સાબિત થયેલી શ્રેષ્ઠ પદ્ધતિઓને અપનાવવા માટે રાજ્યોને પ્રોત્સાહિત કર્યા.
વેપાર કરારોનો લાભ યુવાનો અને MSME સુધી પહોંચાડવાની અપીલ
તાજેતરમાં ભારતે અનેક દેશો સાથે કરેલા વેપાર કરારોનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રી મોદીએ રાજ્યોને યુવાનો અને MSME ક્ષેત્ર માટે નવા અવસર સર્જવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, આ આંતરરાષ્ટ્રીય કરારોનો મહત્તમ લાભ મેળવવા માટે રાજ્યોને ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને નાના વેપારીઓને તૈયાર કરવા પડશે. સાથે જ ભાગીદાર દેશોમાંથી વધુ રોકાણ આકર્ષવા માટે પણ રાજ્યોને સક્રિય બનવાની સલાહ આપવામાં આવી હતી.
વિકસિત ભારત માટે સહકારી સંઘવાદ જરૂરી
બેઠકના અંતમાં પ્રધાનમંત્રી મોદીએ કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સહકારને વિકસિત ભારતના લક્ષ્ય માટે અનિવાર્ય ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે 2047 સુધી ભારતને વિકસિત દેશ બનાવવાના સંકલ્પને સાકાર કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ એક ટીમ તરીકે કામ કરવું પડશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વિકાસના દરેક ક્ષેત્રમાં સંકલિત પ્રયાસો અને સહકારી સંઘવાદની ભાવના જ દેશને નવા શિખરો સુધી પહોંચાડી શકે છે.





