Banaskantha News: બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી એકવાર વહીવટીતંત્ર અને ચૂંટણી અધિકારીઓની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે જિલ્લાના કેટલાક અધિકારીઓ સત્તાધારી પક્ષના રાજકીય દબાણ હેઠળ કામ કરી રહ્યા છે, જે લોકશાહી માટે અત્યંત ચિંતાજનક છે.
અધિકારીઓ પર મનસ્વી નિર્ણયોનો આક્ષેપ
સાંસદ ગેનીબેન ઠાકોરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "અધિકારીઓ ચૂંટણી પંચના નિયમોને નેવે મૂકીને મનસ્વી રીતે નિર્ણયો લઈ રહ્યા છે." તેમણે આક્ષેપ કર્યો છે કે અધિકારીઓ તટસ્થ રહેવાને બદલે ચોક્કસ રાજકીય એજન્ડાને અનુસરી રહ્યા છે. તેમના મતે, આ પ્રકારની કામગીરીથી સામાન્ય નાગરિકો અને વિરોધ પક્ષના કાર્યકરોને અન્યાય થઈ રહ્યો છે.
આ પણ વાંચો: અધિકારીઓની મનમાની સામે ઠાકરશી રબારી આકરા પાણીએ : 'થરાદની ધરતી પર હવે યુદ્ધ ખેલાશે'
લોકશાહીનું હનન
ગેનીબેન ઠાકોરે આકરા શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું હતું કે, "અધિકારીઓ લોકશાહીનું હનન કરી રહ્યા છે. લોકો બધું જ જોઈ રહ્યા છે અને યોગ્ય સમયે તેનો જવાબ ચોક્કસ આપશે." તેમણે ઉમેર્યું હતું કે વહીવટીતંત્રનું કામ બંધારણીય મર્યાદામાં રહીને ન્યાયિક રીતે કામ કરવાનું છે, પરંતુ હાલના સંજોગોમાં તે ભય અને દબાણ હેઠળ કામ કરી રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાય છે.
હવે કોર્ટના દ્વાર ખખડાવશે કોંગ્રેસ
અધિકારીઓના આ મનસ્વી વલણ અને અન્યાયી નિર્ણયો સામે લડત આપવા માટે ગેનીબેન ઠાકોરે કાયદાકીય રસ્તો અપનાવવાનો નિર્ણય કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે તેમની પાસે અધિકારીઓની ગેરરીતિઓના મજબૂત ડોક્યુમેન્ટ્સ (પુરાવા) છે. આ પુરાવાઓના આધારે તેઓ હવે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવશે. ન્યાયતંત્ર દ્વારા સત્ય બહાર આવશે અને અધિકારીઓની મનમાની પર રોક લાગશે તેવી તેમને પૂરી આશા છે.
આ પણ વાંચો: સુરત કોંગ્રેસમાં આંતરિક વિસ્ફોટ : ઉમેદવારનું ફોર્મ રદ થતા પ્રમુખ પર ‘પૈસા ખાઈને ભાજપને જીતાડવાના’ આક્ષેપ
સાંસદના આ આકરા નિવેદને રાજકીય ગલીઓમાં ગરમાવો લાવી દીધો છે. એક તરફ જ્યાં ગેનીબેન ઠાકોર લોકશાહીની રક્ષા માટે લડત આપી રહ્યા છે, ત્યારે બીજી તરફ વહીવટીતંત્ર આ આરોપો સામે શું સ્પષ્ટતા આપે છે તે જોવું રહ્યું. આગામી સમયમાં કોર્ટમાં આ બાબતે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર ટકેલી છે.





