Ambedkar Jayanti 2026: ભારતીય બંધારણના શિલ્પી અને ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતી નિમિત્તે આજે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ભક્તિ અને આસ્થાનો માહોલ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા સંકુલ ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થઈને આ મહામાનવને ભાવસભર વંદના કરી હતી. સમગ્ર સચિવાલય અને વિધાનસભા વિસ્તાર 'જય ભીમ' ના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો.
વિધાનસભાના પોડિયમ અને પ્રેરણા ભૂમિ ખાતે ભાવવંદના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉજવણીના પ્રારંભે ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ, તેઓ વિધાનસભા સંકુલની સામે આવેલ 'પ્રેરણા ભૂમિ' ખાતે પહોંચ્યા હતા, જ્યાં ડૉ. આંબેડકરજીની પૂર્ણ કદની પ્રતિમાને પુષ્પહાર પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે રંગોળી ઇન્ટરનેશનલ શાળાની વિદ્યાર્થિનીઓએ બાબાસાહેબની જીવન ઝાંખી રજૂ કરતું પ્રભાવશાળી વક્તવ્ય આપી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

સાચી શ્રદ્ધાંજલિ બંધારણ મુજબ જીવવામાં છે: અધ્યક્ષ શંકર ચૌધરી
આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ એક મહત્વનો સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "બાબાસાહેબને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ કહેવાય જ્યારે દેશનો દરેક નાગરિક બંધારણે આપેલા હક્કો અને ફરજોનું નિષ્ઠાપૂર્વક પાલન કરે. આપણે સૌ સમાનતા અને સમરસતાને કેન્દ્રસ્થાને રાખીને 'હેવ એન્ડ હેવ નોટ' (અમીર-ગરીબ) વચ્ચેની ખાઈ પૂરીએ અને એક સશક્ત ભારતનું નિર્માણ કરીએ."
તેમણે વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મારો દેશ, મારો સંકલ્પ' મંત્રને યાદ કરતા કહ્યું કે, દરેક નાગરિક પોતાનું કર્તવ્ય સમજીને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે તે જ બાબાસાહેબના વિચારોને સાચું સન્માન છે.
આ પણ વાંચો: જય ભીમના નાદથી ગુંજ્યું સુરત! : નાગસેન નગરમાં મહારાષ્ટ્રીયન બેન્ડના તાલે નીકળી ભવ્ય શોભાયાત્રા
રાજકીય મહાનુભાવો અને સંતો-મહંતોની ઉપસ્થિતિ
સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે આયોજિત આ જનમેદનીમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા, મંત્રીમંડળના સદસ્યો, ધારાસભ્યો અને વિવિધ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સંતો-મહંતો અને નાગરિકોએ પણ હાજર રહીને ડૉ. આંબેડકરજીના રાષ્ટ્ર નિર્માણમાં આપેલા અતુલ્ય યોગદાનને યાદ કર્યું હતું.





