Gandhinagar News: ગુજરાતને વિકાસનું મોડેલ માનવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાજ્યના આર્થિક વિકાસના આધારસ્તંભ સમાન ધરતીપુત્રો ભારે મુશ્કેલી અને પીડામાંથી પસાર થઈ રહ્યા છે. ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ CM ભૂપેન્દ્ર પટેલને ઉદ્દેશીને એક પત્ર લખ્યો છે. તેમણે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર સમગ્ર રાજ્યમાં ખેડૂતો પોતાની કિંમતી જમીનો બચાવવા માટે ધરણાં અને ઉપવાસ જેવા આંદોલનોનો આશરો લઈ રહ્યા છે. સરકાર પ્રત્યેનો આ રોષ કોઈ રાજકીય મુદ્દો નથી, પરંતુ ખેડૂતોની આજીવિકા પર આવી પડેલી કટોકટીનું પરિણામ છે.
વિકાસના નામે વહીવટી તંત્રનો દુરુપયોગ?
શંકરસિંહ વાઘેલાએ પત્રમાં જણાવ્યું છે કે, આજે ખેડૂતોમાં એવો ભય અને આક્રોશ વ્યાપેલો છે કે વિકાસના નામે ખાનગી ઉદ્યોગપતિઓના હિતોને સાધવા માટે સરકારી તંત્રનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. ખેડૂતોની પરવાનગી લીધા વિના, તેમના લીલાછમ ખેતરોમાં આડેધડ હેવી વીજ-થાંભલાઓ (ટ્રાન્સમિશન ટાવર્સ) ઊભા કરવામાં આવી રહ્યા છે. આ પ્રક્રિયાથી ખેતીલાયક જમીનો કાયમ માટે બંજર બની રહી છે.
સુરત પોલીસ કમિશનરનો ચાર્જ વાબાંગ ઝામીરને સોંપાયો : કાયમી કમિશનરની રેસ વચ્ચે મહત્વનો નિર્ણય
સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે આ કામગીરી દરમિયાન કાયદા અને નિયમોનું પાલન કરવાને બદલે, મહેસુલ અને પોલીસ તંત્ર દ્વારા ખેડૂતોને ધમકાવવામાં આવી રહ્યા હોવાના અહેવાલો છે. પ્રજા દ્વારા ચૂંટાયેલી સરકાર આ સ્થિતિમાં મૂકપ્રેક્ષક બનીને આડકતરી રીતે આ અત્યાચારને સમર્થન આપી રહી હોય તેવું ચિત્ર ઊભું થયું છે.

અંકલેશ્વરના ભાદી-ખરોડ વચ્ચેના બ્રિજ પર ફરી વળ્યા વરસાદી પાણી : વાહનવ્યવહાર ખોરવાતા ગ્રામજનોમાં રોષ

કોંઢ - ધ્રાંગધ્રા ખાતે ખેડૂતોની આપવીતી
1લી જુલાઈ, 2026ના રોજ કોંઢ - ધ્રાંગધ્રા મુકામે આંદોલનરત ખેડૂતોની રૂબરૂ મુલાકાત દરમિયાન તેમની હૃદયદ્રાવક વેદના સાંભળવા મળી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક ભલા અને સંવેદનશીલ માણસ છે, પરંતુ સરકારી તંત્ર અને ખાનગી કંપનીઓની જુગલબંધીને કારણે તેમની છબી ખરડાઈ રહી છે. ધરતીપુત્રોને આવી હેરાનગતિ ન થાય અને વહીવટી તંત્ર કાયદાના દાયરામાં રહીને કામ કરે તે માટે મુખ્યમંત્રીને પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે.
ગુજરાત કિસાન સંગઠનની ન્યાયિક માંગણીઓ
ગુજરાત કિસાન સંગઠન દ્વારા અગાઉ ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ જામનગર કલેક્ટર મારફત ભારતના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૨૫ દરમિયાન કેન્દ્ર સરકારની ગેઝેટ સૂચનાઓનો હવાલો આપીને ખાનગી વીજ કંપનીઓ ટેલિગ્રામ એક્ટ અને ઇલેક્ટ્રિસિટી એક્ટનો દુરુપયોગ કરી રહી છે. આગોતરા કે યોગ્ય વળતર આપ્યા વિના, ખેડૂતોની મરજી વિરુદ્ધ જમીનો પર તરાપ મારવામાં આવી રહી છે.
ખેડૂતો અને સંગઠનની મુખ્ય માંગણીઓ
વૈજ્ઞાનિક ઢબે વળતર
ટાવર ઊભા કરાયેલી જમીનનું બજાર ભાવ (માર્કેટ વેલ્યુ) લક્ષમાં રાખીને ચોક્કસ વૈજ્ઞાનિક પદ્ધતિથી વળતર નક્કી થવું જોઈએ.
કોરિડોર વળતર
માત્ર ટાવર જ નહીં, પણ ટ્રાન્સમિશન લાઇન જે જમીન પરથી પસાર થાય છે તે સમગ્ર વિસ્તાર માટે વળતર નક્કી થવું જોઈએ.
માલિકી હક્કોનું રક્ષણ
ખેડૂતોના બંધારણીય અને માલિકીના અધિકારો પર તરાપ મારવાનું બંધ થવું જોઈએ અને સરકાર આમાં હસ્તક્ષેપ કરે.
ભરૂચના વાલિયામાં ધોધમાર વરસાદથી ઘરોમાં ઘૂસ્યા પાણી : ચારથી વધુ પરિવારોને ભારે નુકસાન
વળતર નીતિમાં વ્યાપક સુધારાની જરૂરિયાત
આવેદનપત્રમાં માત્ર વિરોધ નથી, પરંતુ ખૂબ જ સાયન્ટિફિક પદ્ધતિથી વળતર ચૂકવવાની ફોર્મ્યુલા સૂચવવામાં આવી છે. જમીન પરનો ઊભો પાક, જમીનની ફળદ્રુપતા અને તેના કારણે કાયમી ધોરણે ગુમાવવો પડતો આવકનો સ્ત્રોત ધ્યાને લેવો જરૂરી છે.
આ ઉપરાંત, આ કોરિડોરમાં આવતા કાચા-પાકા મકાનો, છાપરા અને બાંધકામ, બોર-કુવા અને તાર-ફેન્સિંગ અને કિંમતી વૃક્ષો.. આ તમામ નુકસાનીનું મૂલ્યાંકન કરવા માટે ગ્રામ પંચાયત સ્તરે એક સમિતિ બનાવવી જોઈએ, જે પારદર્શક સર્વે કરે. સાથે જ, હાઈ-વોલ્ટેજ લાઈનોને કારણે ભવિષ્યમાં થનારા કુદરતી પર્યાવરણના નુકસાન કે કોઈ ટેકનિકલ ખામીથી થનારી જાનહાનિ સામે વીમો (ઇન્સ્યોરન્સ) પણ નીતિનો ભાગ બનવો જોઈએ.
વિકાસ કોના ભોગે?
દેશ અને રાજ્યનો આર્થિક ઉત્કર્ષ જરૂરી છે, પરંતુ જેમના લોહી-પરસેવાથી અનાજ પાકે છે તે ધરતીપુત્રોને પાયમાલ કરીને મેળવેલો વિકાસ કઈ કામનો? માત્ર ઉદ્યોગપતિઓના ઘર ભરાય તે વિકાસ નથી. જ્યાં સુધી આ સમગ્ર વિવાદ અને વળતરની નીતિનો અભ્યાસ કરવા માટે એક તટસ્થ તજજ્ઞોની સમિતિ ન રચાય અને તે પોતાની ભલામણો ન આપે, ત્યાં સુધી ખેડૂતોની જમીનો પર વીજ પોલ નાખવાની પ્રક્રિયાને તત્કાલ પ્રભાવથી સ્થગિત (Stop) કરવામાં આવે તેવી ઉચ્ચ સ્તરે ગંભીર વિચારણા થવી જ જોઈએ. ખેડૂત બચશે તો જ દેશ બચશે.





