Surat News: સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતની બદલી અમદાવાદ પોલીસ કમિશનર તરીકે કરવામાં આવી છે. આ બદલીને પગલે ખાલી પડેલી સુરત પોલીસ કમિશનરની મહત્વની જગ્યા ખાલી ન રહે તેવા ઉદ્દેશ્યો સાથે રાજ્ય પોલીસના વહીવટી વિભાગ દ્વારા સુરત પોલીસ કમિશ્નરનો ચાર્જ IPS વાબાંગ ઝામીરને સોંપવામાં આવ્યો છે. સુરતમાં કાયમી પોલીસ કમિશ્નરની નિમણૂંક કરવામાં નહીં આવતા પોલીસ બેડામાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.
સુરતથી પરિચિત છે વાબાંગ ઝામીર
વાબાંગ ઝામીર સુરત શહેરના પોલીસ તંત્ર અને ભૌગોલિક સ્થિતિથી ખૂબ સારી રીતે પરિચિત છે. આ પૂર્વે તેઓ સુરતમાં લાંબા સમય સુધી જોઈન્ટ પોલીસ કમિશનર (JCP) તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. થોડા સમય પહેલાં જ તેમની સુરતથી બદલી કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ તેમને નવી જગ્યાએ કોઈ નિમણૂક આપવામાં આવી નહોતી. હવે ફરી એકવાર તેઓ સુરત પોલીસમાં ઈન્ચાર્જ કમિશનર તરીકે પરત ફર્યા છે.
ભરૂચના વાલિયામાં ધોધમાર વરસાદથી ઘરોમાં ઘૂસ્યા પાણી : ચારથી વધુ પરિવારોને ભારે નુકસાન
કાયમી કમિશનર બનવા સિનિયર IPS વચ્ચે સ્પર્ધા
સુરત જેવા આર્થિક અને ભૌગોલિક દ્રષ્ટિએ મહત્વના શહેરના પોલીસ કમિશનર બનવા માટે હાલ રાજ્યના અનેક સિનિયર IPS અધિકારીઓ વચ્ચે આંતરિક સ્પર્ધા ચાલી રહી છે. લોબિંગ અને ચર્ચાઓના દોર વચ્ચે સરકારે હાલ તુરંત કોઈ કાયમી પોલીસ કમિશનરની નિમણૂક કરવાનું ટાળ્યું છે અને તેના બદલે ઇન્ચાર્જ તરીકે વાબાંગ ઝામીરના નામની જાહેરાત કરીને વહીવટી તાર સાચવી લીધા છે.
ગૃહ વિભાગને બદલે રાજ્ય પોલીસ ભવનમાંથી આદેશ
આ નિમણૂકમાં એક રસપ્રદ વહીવટી બાબત એ સામે આવી છે કે, વાબાંગ ઝામીરને ઇન્ચાર્જ પોલીસ કમિશનર બનાવવાનો આ આદેશ સામાન્ય પ્રક્રિયાની જેમ ગૃહ વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યો નથી. તેના બદલે રાજ્ય પોલીસ ભવનના વહીવટી વિભાગના પોલીસ મહાનિરીક્ષક (IGP) ગગનદીપ ગંભીરની સહી સાથે આ હુકમ જારી કરવામાં આવ્યો છે, જે પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.
મુખ્ય હાઇલાઇટ્સ
અનુપમ સિંહ ગેહલોતની અમદાવાદ બદલી થતાં સુરતની જગ્યા ખાલી પડી હતી.
પૂર્વ JCP વાબાંગ ઝામીરને સુરત ઇન્ચાર્જ CPનો ચાર્જ સોંપાયો.
વહીવટી વિભાગના IGP ગગનદીપ ગંભીરની સહીથી ઓર્ડર ઇસ્યુ કરાયો.
સુરતને હજું કાયમી પોલીસ કમિશનર માટે રાહ જોવી પડશે.
હવે જોવાનું એ રહેશે કે સુરતના પૂર્ણકાલીન કમિશનર તરીકે સરકાર કયા સિનિયર IPS અધિકારી પર પસંદગીનો કળશ ઢોળે છે!





